Corona Update: ભારત 4 મિલિયન લોકોનું સૌથી ઝડપથી કોવિડ-19 રસીકરણ કરનારો દેશ બન્યો

છેલ્લા 24 કલાકમાં 11,039 નવા કેસ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે જે છેલ્લા સાત મહિનામાં સૌથી ઓછો આંકડો છે. બીજી તરફ, સમાન સમયગાળામાં નવા 14,225 દર્દીઓ સાજા થઇ ગયા છે.

Corona Update: ભારત 4 મિલિયન લોકોનું સૌથી ઝડપથી કોવિડ-19 રસીકરણ કરનારો દેશ બન્યો

નવી દિલ્હી: વૈશ્વિક મહામારી સામેની જંગમાં ભારતે વારાફરતી એક પછી એક સીમાચિહ્નો પાર કરવાની આગેકૂચ જાળવી રાખી છે. નોંધપાત્ર સિદ્ધિરૂપે, ભારત સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી 4 મિલિયન લોકોને કોવિડ-19 વિરોધી રસી આપનારો દેશ બન્યો છે. દેશમાં માત્ર 18 દિવસમાં જ આટલી મોટી સંખ્યામાં લોકોને રસી આપવામાં આવી છે.

1 ફેબ્રુઆરી 2021ના રોજ ભારત, કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી હોય તેવા લોકોની કુલ સંખ્યાના સંદર્ભમાં સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે. ભારતે રસીકરણની આ કવાયત ઝડપી પગલે આગળ વધારવાનું ચાલુ રાખ્યું છે. કોવિડ-19 સામે ભારતની જંગમાં અન્ય મોરચે પણ નવી સફળતાઓ પ્રાપ્ત થઇ રહી છે.

છેલ્લા 24 કલાકમાં 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંદામાન અને નિકોબારના ટાપુઓ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), સિક્કિમ, મણીપુર, પુડુચેરી, ગોવા, ઓડિશા અને આસામ છે.

કોવિડ-19માંથી દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યાં છે અને મૃત્યુદરમાં પણ નોંધનીય ઘટાડો થયો છે જેના કારણે ભારતમાં સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાવાનું ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને 1,60,057 થઇ ગઇ છે. કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા 1.5%થી ઓછી (હાલમાં 1.49%) સુધી ઘટી ગઇ છે.

છેલ્લા 24 કલાકમાં 11,039 નવા કેસ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે જે છેલ્લા સાત મહિનામાં સૌથી ઓછો આંકડો છે. બીજી તરફ, સમાન સમયગાળામાં નવા 14,225 દર્દીઓ સાજા થઇ ગયા છે. એના કારણે કુલ પોઝિટીવ કેસમાં 3,296 કેસનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,04,62,631 છે. રાષ્ટ્રીય સરેરાશ સાજા થવાનો દર (97.08%) સતત સમગ્ર વિશ્વમાં સર્વાધિક પૈકી એક જળવાઇ રહ્યો છે. સક્રિય કેસ અને સાજા થયેલા દર્દીઓ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે જે, હાલમાં 1,03,02,574 છે. 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય દર્દીઓની સંખ્યા 5000થી ઓછી છે.

દેશમાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં સાપ્તાહિક પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશ (1.91%) કરતાં ઊંચો છે. કેરળમાં સૌથી વધારે સાપ્તાહિક પોઝિટીવિટી 12% છે જ્યારે છત્તીસગઢમાં 7% છે.3 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીકરણ અંતર્ગત 41 લાખથી વધારે (41,38,918) લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 3,845 સત્રોનું આયોજન કરીને 1,88,762 આરોગ્ય સંભાળ કર્મચારીઓને રસી આપવામાં આવી છે. આજદિન સુધીમાં, દેશમાં કુલ 76,576 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. દૈનિક ધોરણે કોવિડ-19 વિરોધી રસી લેનારા લાભાર્થીઓની સંખ્યામાં પ્રગતિપૂર્ણ વધારો નોંધાઇ રહ્યો છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 85.62% દર્દીઓ 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. કેરળમાં સૌથી વધુ (5,747) દર્દીઓ એક દિવસમાં સાજા થયા છે જ્યારે ત્યાર પછીના ક્રમે મહારાષ્ટ્ર (4,011) અને તમિલનાડુ (521)માં સૌથી વધુ દર્દીઓ એક દિવસમાં સાજા થયા છે. નવા નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 83.01% દર્દીઓ 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 5,716 નવા દર્દી સંક્રમિત થયા છે. ત્યારબાદ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં અનુક્રમ 1,927 અને 510 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 110 દર્દીના મૃત્યુ નોંધાયા છે. નવા દૈનિક મૃત્યુ આંકમાં 66.36% દર્દીઓ પાંચ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 30 દર્દીઓ મૃત્યુ પામ્યા છે જ્યારે કેરળમાં વધુ 16 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news