જજ દ્રારા સજા સંભળાવતાં લાલુના સમર્થકો રડી પડ્યા, ચૂપ રહી મીસા, આવો હતો માહોલ

રાંચીની વિશેષ સીબીઆઈ કોર્ટે ઘાસચારા કૌભાંડના પાંચમા કેસમાં લાલુ પ્રસાદ યાદવને દોષિત જાહેર કરતાની સાથે જ કોર્ટની બહાર એકઠા થયેલા હજારો સમર્થકોમાં ઉદાસી છવાઇ ગઇ હતી. લાંબા સમય સુધી લાલુ પ્રસાદ યાદવના અંગત સચિવ રહેલા વિનોદ શ્રીવાસ્તવના આંસુ વહેવા લાગ્યા હતા. બીજા ઘણા સમર્થકો રડવા લાગ્યા હતા.

જજ દ્રારા સજા સંભળાવતાં લાલુના સમર્થકો રડી પડ્યા, ચૂપ રહી મીસા, આવો હતો માહોલ

રાંચી: રાંચીની વિશેષ સીબીઆઈ કોર્ટે ઘાસચારા કૌભાંડના પાંચમા કેસમાં લાલુ પ્રસાદ યાદવને દોષિત જાહેર કરતાની સાથે જ કોર્ટની બહાર એકઠા થયેલા હજારો સમર્થકોમાં ઉદાસી છવાઇ ગઇ હતી. લાંબા સમય સુધી લાલુ પ્રસાદ યાદવના અંગત સચિવ રહેલા વિનોદ શ્રીવાસ્તવના આંસુ વહેવા લાગ્યા હતા. બીજા ઘણા સમર્થકો રડવા લાગ્યા હતા.

લાલુની બગડતી તબિયતને લઇને સમર્થકો ચિંતિત
કોર્ટની બહાર હાજર રહેલા રાષ્ટ્રીય જનતા દળના મુખ્ય રાષ્ટ્રીય મહાસચિવ અબ્દુલ બારી સિદ્દીકીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે લાલુ જી જીવનભર ગરીબો અને પછાત લોકો માટે લડતા રહ્યા. સિદ્દીકીએ કહ્યું કે તેઓ કોર્ટના નિર્ણય પર કોઈ ટિપ્પણી કરશે નહીં, પરંતુ અમે અમારા નેતાના બગડતા સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત છીએ.

લાલુના સમર્થકોમાં નિરાશા છવાઇ
પાર્ટીના વરિષ્ઠ નેતા અને બિહારના પૂર્વ મંત્રી શ્યામ રજક પણ કોર્ટની બહાર ઉભા હતા. લાલુ પ્રસાદની સજાના સમાચાર બહાર આવતા જ તેઓ કંઈ બોલ્યા વગર ચુપચાપ કારમાં બેસી ગયા. બાદમાં તેમણે પત્રકારોને કહ્યું કે કોર્ટના નિર્ણયનું સન્માન કરવામાં આવે છે, પરંતુ આપણે બધા જાણીએ છીએ કે લાલુ પ્રસાદ યાદવ દરેક વ્યક્તિને તેનો હક મેળવવા માટે કેવી રીતે ઈમાનદારી સાથે લડતા રહ્યા.

કોઈએ કરી નહી નારેબાજી
બિહાર અને ઝારખંડના અલગ-અલગ વિસ્તારોમાંથી લાલુ પ્રસાદના સમર્થકો સોમવારે જ રાંચી પહોંચ્યા હતા. કોર્ટે કેસની સુનાવણી માટે સાડા અગિયારનો સમય નક્કી કર્યો હતો. તેના દોઢ કલાક પહેલા લાલુના સમર્થકો કોર્ટ પરિસરની બહાર એકઠા થયા હતા. લાલુ પ્રસાદ યાદવ અને આરજેડીના વરિષ્ઠ નેતાઓએ પહેલાથી જ દરેકને સૂચના આપી દીધી હતી કે કોર્ટ પરિસરની અંદર કે બહાર કોઈ પણ નારા લગાવશે નહીં. દરેકને કહેવામાં આવ્યું હતું કે કોર્ટના નિર્ણય પર કોઈ ટિપ્પણી કરશે નહીં. બરાબર એવું જ થયું. જ્યારે ચુકાદો આવ્યો ત્યારે સમર્થકોમાં નારાજગી જોવા મળી હતી, પરંતુ કોઈએ સૂત્રોચ્ચાર કર્યા ન હતા.

મીસા ભારતી સોમવારથી રાંચીમાં
લાલુ પ્રસાદ યાદવની મોટી પુત્રી મીસા ભારતી સોમવારથી રાંચીમાં છે. તેઓ રાંચીના સ્ટેટ ગેસ્ટ હાઉસમાં છે. તેમણે સતત ટીવી પર નજર રાખી હતી. તેમના પિતાને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાના સમાચાર સાંભળીને તે નિરાશ થઈ ગઈ હતી. ચુકાદો આવ્યા બાદ તેમણે પત્રકારો સાથે વાત કરવાની ના પાડી દીધી હતી. જોકે સોમવારે રાંચી પહોંચ્યા બાદ તેમણે કહ્યું હતું કે લાલુજી હાલમાં ખૂબ જ બીમાર છે.

જામીનની માંગ પર કોર્ટે આપ્યો આ આદેશ
ચુકાદા બાદ લાલુ પ્રસાદ યાદવ વતી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે તેમની ખરાબ તબિયતને જોતા તેમને જામીન આપવામાં આવે અથવા ડોક્ટરોની દેખરેખ હેઠળ રિમ્સમાં મોકલવામાં આવે. સ્પેશિયલ સીબીઆઈ જજ એસકે શશીએ બપોરે 2 વાગ્યે આ અરજી પર સુનાવણી કરતા તેમને હોટવાર સ્થિત બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.

લાલુ યાદવને રિમ્સમાં લઈ જવામાં આવશે
કોર્ટે તેમની મેડિકલ અરજી પણ સ્વીકારી હતી. જેલમાં જરૂરી કાગળની કાર્યવાહી પૂર્ણ થયા બાદ લાલુ યાદવને રિમ્સમાં લઈ જવામાં આવશે. લાલુ પ્રસાદ યાદવને બપોરે લગભગ 2.30 વાગ્યે હોટવાર જેલમાં લઈ જવામાં આવ્યા ત્યારે સમર્થકોના વાહનોનો કાફલો તેમની પાછળ ગયો હતો. જોકે, જેલથી અડધો કિલોમીટર પહેલા તમામ બહારગામના વાહનોને અટકાવી દેવામાં આવ્યા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધી રાંચીના ખેલગાંવથી હોટવાર જેલના માર્ગ પર મોટી સંખ્યામાં લોકો હાજર છે.

139 કરોડના કૌભાંડમાં લાલુ દોષિત જાહેર
ઘાસચારા કૌભાંડનો આ કેસ ડોરંડા કોષાગારનો છે. જેમાં 139 કરોડ રૂપિયાના ગેરકાયદેસર ઉપાડની વાત સામે આવી હતી. ઘાસચારા કૌભાંડના સૌથી મોટા આરસી-47 એ/96 નો આ કેસ 1990થી 1995 વચ્ચેનો છે. જેના પર સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી ચાલુ હતી. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ આ કેસમાં મુખ્ય આરોપી છે. પૂર્વમાં ચારા કૌભાંડના અલગ અલગ કેસમાં હાલ લાલુને હાઈકોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે. 

ડોરંડા કોષાગાર કેસમાં 99 આરોપીઓ
ડોરંડા કોષાગાર સંલગ્ન કૌભાંડમાં શરૂઆતમાં 170 આરોપીઓ હતા. જેમાંથી 55 આરોપીઓના મોત થઈ ચૂક્યા છે. દીપેશ ચાંડક અને આર કે દાસ સહિત સાત આરોપીઓને સીબીઆઈએ સાક્ષી બનાવ્યા. જ્યારે સુશીલા ઝા અને પી કે જયસ્વાલે કોર્ટના ચુકાદા પહેલા જ પોતાને દોષિત માની લીધા હતા. જ્યારે કેસમાં 6 આરોપીઓ ફરાર છે. 

આ અગાઉ ચારા કૌભાંડના ચાર કેસમાં લાલુ પ્રસાદ યાદવને બધી મળીને સાડા 27 વર્ષની સજા થઈ જ્યારે એક કરોડ રૂપિયાનો દંડ પણ ભરવો પડ્યો. આ કેસમાં સજા થવાના કારણે આરજેડી સુપ્રીમોએ અડધા ડઝન કરતા વધુવાર જેલમાં જવું પડ્યું. આ તમામ કેસમાં તેમને હાઈકોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news