ગૃહ મંત્રાલય એક્શન મોડમાં: તૈયબાના સહયોગી સંગઠન TRF પર પ્રતિબંધ, તેના કમાન્ડરો આતંકવાદી જાહેર

ગૃહ મંત્રાલય એક્શન મોડમાં: તૈયબાના સહયોગી સંગઠન TRF પર પ્રતિબંધ, તેના કમાન્ડરો આતંકવાદી જાહેર

નવી દિલ્હીઃ ભારત સરકારે લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ને આતંકવાદી સંગઠન જાહેર કરીને તેના પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સંગઠન જમ્મુ-કાશ્મીરમાં અનેક ટાર્ગેટ કિલિંગમાં સંડોવાયેલું છે. ગૃહ મંત્રાલયે ગુરુવારે મોડી રાત્રે TRF પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. ગૃહ મંત્રાલયે TRF કમાન્ડર શેખ સજ્જાદ ગુલ અને લશ્કર કમાન્ડર મોહમ્મદ અમીન ઉર્ફે અબુ ખુબૈબને આતંકવાદી જાહેર કર્યો છે. UAPA હેઠળ બંને પર આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ, સપ્ટેમ્બર 2022માં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે PFI પર 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ તમામ સામે ટેરર ​​લિંકના પુરાવા મળ્યા હતા.

TRF શું છે?
જમ્મુ-કાશ્મીરના આતંકવાદી સંગઠનોમાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એક નવું નામ છે. સુરક્ષા દળોનું માનવું છે કે 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ TRFની પ્રવૃત્તીઓ વધી છે.
સુરક્ષા નિષ્ણાતો જણાવે છે કે સરહદ પારથી ISI હેન્ડલરોએ લશ્કર-એ-તૈયબાની મદદથી TRFને ઉભું કરાયું હતું. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે TRF કોઈ નવી વાત નથી પરંતુ આતંકી સંગઠન જૈશ અને લશ્કરના કેડરને નવું નામ આપવામાં આવ્યું છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIની વ્યૂહરચના હેઠળ આ નામો બદલાતા રહે છે. 1990માં જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ની રચના પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ આતંકવાદી સંગઠનને બિન-ઈસ્લામિક નામ આપવામાં આવ્યું છે.

TRF પર શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો?
ગૃહ મંત્રાલયે માહિતી આપી હતી કે TRF આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા, આતંકવાદીઓની ભરતી કરવા, આતંકવાદીઓની ઘૂસણખોરી કરવા અને પાકિસ્તાનથી જમ્મુ અને કાશ્મીરમાં શસ્ત્રો અને માદક દ્રવ્યોની દાણચોરી કરવા માટે યુવાનોની ભરતી કરે છે. TRF વર્ષ 2019માં અસ્તિત્વમાં આવ્યું. તેના પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જમ્મુ-કાશ્મીરના યુવાનોને ભારત સરકાર વિરુદ્ધ ઉશ્કેરવાનો આરોપ છે. આ સાથે જ લશ્કર-એ-તૈયબાના કમાન્ડર મોહમ્મદ અમીન ઉર્ફે અબુ ખુબૈબને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. તે જમ્મુ-કાશ્મીરનો રહેવાસી છે, હાલ તે પાકિસ્તાનમાં છે. ખુબૈબ લશ્કર-એ-તૈયબાના લોન્ચિંગ કમાન્ડર તરીકે કામ કરી રહ્યો છે, તેના પાકિસ્તાનની એજન્સીઓ સાથે પણ સંબંધ છે.

ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર ટાર્ગેટ કિલિંગ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાની પાકિસ્તાનની નવી યોજના છે. એવું માનવામાં આવે છે કે તેનો હેતુ કલમ 370 હટાવ્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના પુનર્વસન માટેની યોજનાઓ પર પાણી ફેરવવાનો છે. કલમ 370 હટાવ્યા બાદ ખાસ કરીને કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી છે, પરંતુ આતંકવાદીઓએ સરકાર કે પોલીસમાં કામ કરતા કાશ્મીરી પંડિતો, સ્થળાંતર કામદારો અને સ્થાનિક મુસ્લિમોને પણ સોફ્ટ ટાર્ગેટ બનાવ્યા છે, તેઓ તેમને ભારતની નજીકના માની રહ્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news