PM મોદીની પંજાબના ફિરોઝપુરમાં થનારી રેલી રદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પંજાબના ફિરોઝપુરમાં યોજાયેલી રેલી રદ થઈ છે.

PM મોદીની પંજાબના ફિરોઝપુરમાં થનારી રેલી રદ

નવી દિલ્હી/ચંડીગઢ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે બુધવારે પંજાબના ફિરોઝપુરમાં રેલી કરવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ થઈ ગયો. પહેલા રેલી રદ થવા પાછળનું કારણ ખરાબ હવામાન માનવામાં આવતું હતું પરંતુ હવે તેની પાછળ સુરક્ષા કારણોનો હવાલો આપવામાં આવી રહ્યો છે. ગૃહ મંત્રાલય તરફથી આ અંગે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે  જેમાં જણાવાયું છે કે પીએમ મોદીની સુરક્ષામાં ચૂક થવાના કારણે ફિરોઝપુરની રેલી રદ  કરવામાં આવી છે. તથા પંજાબ સરકાર પાસે જવાબ પણ માંગવામાં આવ્યો છે. ભાજપે આ મામલે સીએમ ચન્નીનું રાજીનામું પણ માંગ્યું છે. અત્રે જણાવવાનું કે આ વર્ષે પંજાબમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુસાફરી ખુબ મહત્વની મનાઈ રહી હતી. 

ગૃહ મંત્રાલય તરફથી જે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે તેમાં કહેવાયું છે કે પીએમ મોદી સવારે ભઠિંડા પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ હેલિકોપ્ટરથી હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. પરંતુ વરસાદ અને ઓછી વિઝિબ્લિટીના કારણે પહેલા પીએમે 20 મિનિટ રાહ જોવી પડી. ત્યારબાદ હવામાન સારું ન થતા તેમણે રોડ માર્ગે ત્યાં જવાનો નિર્ણય લીધો. જેમાં લગભગ 2 કલાક લાગવાના હતા. આ અંગે પંજાબ પોલીસના ડીજીપીને જણાવીને જરૂરી સુરક્ષા વ્યવસ્થાની મંજૂરી લેવાઈ હતી. 

May be an image of 14 people, people standing and road

આગળ જણાવવામાં આવ્યું છે કે જ્યારે કાફલો રાષ્ટ્રીય શહીદ સ્મારકથી 30 કિલોમીટર દૂર હતો ત્યારે રસ્તામાં એક ફ્લાયઓવર આવ્યો. ત્યાં રસ્તાને પ્રદર્શનકારીઓએ રોકેલો હતો. તે ફ્લાયઓવર પર પીએમ મોદીનો કાફલો 15-20 મિનિટ ફસાયેલો રહ્યો. જેને ગૃહ મંત્રાલયે પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક માની છે. 

— ANI (@ANI) January 5, 2022

ગૃહ મંત્રાલયે કહ્યું કે પીએમ મોદીના ટ્રાવેલ પ્લાન અંગે પંજાબ સરકારને પહેલેથી જણાવવામાં આવ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને તેમણે યોગ્ય તૈયારી, વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા કરવાની હતી અને આકસ્મિકતાને ધ્યાનમાં રાખીને પણ તૈયાર રહેવાનું હતું. આકસ્મિકતા પ્લાનને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે રોડ માર્ગ ઉપર પણ વધારાની પોલીસ વ્યવસ્થા કરવાની હતી જે કરવામાં આવ્યું નહીં. 

May be an image of 5 people, people standing and road

— ANI (@ANI) January 5, 2022

માંડવિયાએ સ્ટેજ પરથી આપી જાણકારી
આ બાજુ ફિરોઝપુર જનસભાને સંબોધિત કરતા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી કોઈ કારણસર સ્થગિત થઈ છે. જો કે તેઓ જલદી ફિરોઝપુરમાં ચૂંટણી રેલી સંબોધિત કરશે. અત્રે જણાવવાનું કે પીએમ મોદી 42,750 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા. આ પ્રોજેક્ટ્સમાં દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વે પણ સામેલ હતો. 

કૃષિ કાયદા રદ થયા બાદ પહેલો પંજાબ પ્રવાસ
નવા કૃષિ કાયદા રદ થયા બાદ પીએમ મોદીનો આ પહેલો પંજાબ પ્રવાસ હતો. તેઓ ફિરોઝપુર માટે રવાના પણ થઈ ગયા હતા પરંતુ સુરક્ષા કારણોસર રેલી રદ કરવી પડી. 

ભાજપના ચૂંટણી અભિયાનની શરૂઆત થવાની હતી
પીએમ મોદીની રેલીની સાથે જ પંજાબમાં ભાજપના ચૂંટણી અભિયાનની શરૂઆત થવાની હતી. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ફિરોઝપુરમાં પીજીઆઈના સેટેલાઈટ સેન્ટર સહિત લગભગ 42,750 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કરવાના હતા અને ત્યારબાદ ફિરોઝપુરમાં રેલી સંબોધિત કરવાના હતા. ભાજપના પંજાબ ચૂંટણી પ્રભારી કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતના નેતૃત્વમાં છેલ્લા કેટલાય દિવસથી રેલીની તૈયારીઓ ચાલી રહી હતી  અને પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહ પણ પીએમ મોદી સાથે સ્ટેજ પર પહોંચવાના હતા. 

ખેડૂતોનો ગુસ્સો શાંત કરવામાં લાગી બીજેપી
ભાજપને પંજાબમાં કૃષિ સુધાર કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનના કારણે ખુબ વિરોધ ઝેલવો પડી રહ્યો છે. જો કે હવે કાયદા પરત લેવાઈ ગયા છે પરંતુ આંદોલનમાં લગભગ 700 લોકોના મોતના કારણે ખેડૂતોનો ગુસ્સો યથાવત છે. જેને દૂર કરવા માટે ભાજપ કેન્દ્ર સરકાર દ્વારા શીખો માટે કરેલા કામની ગણતરી કરાવે છે. જેમાં કરતારપૂર કોરિડોર ખોલવો, શીખ વિરોધી તોફાનોના આરોપીઓ પર કાર્યવાહી, લંગરને જીએસટીમાંથી છૂટ, અફઘાનિસ્તાનમાંથી શીખોની વાપસી  સહિત અનેક કામ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news