હવે ડ્રગ્સનાં તસ્કરોને સીધી ફાંસી જ થશે : પંજાબ સરકારે મુક્યો પ્રસ્તાવ

કેપ્ટન અમરિંદર સિંહે નશાના કારોબારને જડમુળમાંથી ઉખેડી ફેંકવા માટે કડકમાં કડક સજા માટેનો પ્રસ્તાવ રજુ કર્યો

હવે ડ્રગ્સનાં તસ્કરોને સીધી ફાંસી જ થશે : પંજાબ સરકારે મુક્યો પ્રસ્તાવ

અમૃતસર : પંજાબમાં વધી રહેલા નશાના વ્યાપારને અટકાવવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. પંજાબ સરકારે નશીલા પદાર્થોની તસ્કરને ફાંસીની સજાનું પ્રાવધાન મુક્યું છે. સોમવારે મળેલી કેબિનેટ બેઠકમાં પંજાબ સરકારે આ નિર્ણય લીધો છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી અમરિંદર સિંહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, પંજાબમાં જે પ્રકારે નશાનો વ્યાપાર વધ્યો છે તેને જડમુળમાંથી ઉખેડવા માટે કડકમાં કડક પગલા ભરવા ખુબ જ જરૂરી છે. 

ખાસ કરીને તસ્કરોને ડામવા માટે તેમને કડક સજાનું પ્રાવધાન ખુબ જ જરૂરી છે. પંજાબના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારને તેમણે આ પ્રસ્તાવ મંજુરી માટે મોકલી આપ્યો છે. નશાનો વ્યાપારના કારણે પંજાબની નવી પેઢી બરબાદ થઇ રહી છે. ન માત્ર પંજાબ પરંતુ દેશમાં પણ ડ્રગ્સનો કારોબાર એક મોટી સમસ્યા બનતો જાય છે. ત્યારે તેને અટકાવવા માટે પંજાબ દ્વારા એક કડક પગલા માટેની પહેલ કરવામાં આવી છે. 

નશાના કારોબારને મુળમાંથી ઉખેડી ફેંકવા માટે તેની સાથે જોડાયેલા લોકોને આકરી સજાની જોગવાઇ કરવી જરૂરી છે. અને ફાંસીની સજા તે આકરી જોગવાઇ છે. અત્રે ઉલ્લેખીય છે કે, કેપ્ટન અમરિંદર સિંહ વિધાનસભા ચૂંટણી દરમિયાન પંજાબના લોકોને ડ્રગ્સ બંધી મુદ્દે વચનો આપી ચુક્યા છે. તેમણે સત્તામાં આવ્યા બાદ પંજાબને નશામુક્ત કરવાનું લોકોને વચન આપ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news