Republic Day 2019 : જાણો પ્રજાસત્તાક દિવસ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો

દેશમાં દર વર્ષે 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે 70મા ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરીલ રામપોસા બનવાના છે 

Republic Day 2019 : જાણો પ્રજાસત્તાક દિવસ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો

નવી દિલ્હીઃ ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ (Republic Day) ઉજવવામાં આવે છે. આ વખતે 70મા ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરીલ રામપોસા બનવાના છે. રામપોસાની સાથે તેમનાં પત્ની શેપો મોસેપે, 9 મંત્રીઓ સહિતનું ઉચ્ચસ્તરનું પ્રતિનિધિમંડળ, વરિષ્ઠ અધિકારી અને 50 સભ્યોનું વ્યવસાયિક પ્રતિનિધિમંડળ પણ હશે. દિલ્હીમાં રાજપથ ખાતે ગણતંત્ર દિવસની પરેડનું આયોજન કરવામાં આવે છે. 

આ પરેડ 8 કિમી લાંબી હોય છે. તેની શરૂઆત રાયસીના હિલ ખાતેથી થાયછે અને ત્યાર બાદ તે રાજપથ, ઈન્ડિયા ગેટ થઈને લાલ કિલ્લા ખાતે પુરી થાય છે. આઝાદી બાદ દેશના સંચાલન માટે ડો. ભીમરાવ આંબેડકરના નેતૃત્વમાં આપણા દેશનું બંધારણ લખવામાં અવ્યું હતું. જેને લખવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. આપણું બંધારણ 26 જાન્યુઆરી, 1950ના રોજ દેશમાં લાગુ થયું અને તેના કારણે જ દર વર્ષે 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

ભારતના પ્રજાસત્તાક દિવસ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો

1. 26 જાન્યુઆરી, 1950ના રોજ સવારે 10.18 મિનિટે ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. 

2. ગણતંત્ર દિવસની પ્રથમ પરેડ 1955ના રોજ દિલ્હીના રાજપથ પર યોજાઈ હતી. 

3. ભારતીય બંધારણની બે નકલ છે, જે હિન્દી અને અંગ્રેજીમાં છે. સમગ્ર વિશ્વમાં ભારતનું એકમાત્ર બંધારણ હાથે લખેલું છે. 

4. પૂર્ણ સ્વરાજ દિવસ (26 જાન્યુઆરી, 1930)ને ધ્યાનમાં રાખીને ભારતનું બંધારણ 26 જાન્યુઆરીના રોજ લાગુ કરાયું હતું. 

5. ભારતીય બંધારણની હાથ વડે લખાયેલી મૂળ નકલને સંસદ ભવન પુસ્તકાલયમાં સુરક્ષિત રાખવામાં આવી છે. 

6. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે ગવર્નમેન્ટ હાઉસમાં 26 જાન્યુઆરી, 1950ના રોજ શપથ લીધા હતા. 

7. ગણતંત્ર દિવસના પ્રસંગે રાષ્ટ્રપતિ તિરંગો લહેરાવે છે અને દર વર્ષે 21 તોપની સલામી આપવામાં આવે છે. 

8. 29 જાન્યુઆરીના રોજ વિજય ચોક ખાતે બિટીંગ રિટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળનો બેન્ડ ભાગ લે છે. આ દિવસને ગણતંત્ર દિવસના સમારોહના સમાપન તરીકે મનાવાય છે. 

9. ગણતંત્ર દિવસના પ્રસંગે વડા પ્રધાન અમર જ્યોતિ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે, જેમણે દેશની આઝાદીમાં બલિદાન આપ્યું હતું. 

10. પરેડમાં વિવિધ રાજ્યોનાં ટેબ્લો પણ પ્રદર્શિત કરાય છે. આ ટેબ્લોમાં દરેક રાજ્યનાં લોકોની વિશેષતા, તેમનાં લોકગીત અને કળાનું દૃશ્યચિત્ર રજૂ કરાય છે. દરેક પ્રદર્શનીમાં ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિના દર્શન થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news