AJMER SEX SCANDAL: 100થી વધુ યુવતીઓનો બળાત્કાર, હવે 31 વર્ષ બાદ બદલો લેવા માટે ખેલાયો ખુની ખેલ

1992માં જ્યારે અજમેરની એક પ્રખ્યાત સ્કૂલ 'ગર્લ્સ સ્કૂલ સોફિયા'ની યુવતીઓ સાથે દુષ્કર્મ કરવા અને તેને બ્લેકમેલ કરવાનો સિલસિલો શરૂ થયો હતો, ત્યારે સાપ્તાહિક સમાચાર પત્ર ચલાવનાર મદન સિંહે આ મામલાને આક્રમક રીતે ઉઠાવ્યો હતો. ત્યારબાદ આ ગુનામાં સામેલ પ્રતિષ્ઠિત લોકોએ મદન સિંહની હત્યા કરી દીધી હતી. 

AJMER SEX SCANDAL: 100થી વધુ યુવતીઓનો બળાત્કાર, હવે 31 વર્ષ બાદ બદલો લેવા માટે ખેલાયો ખુની ખેલ

જયપુરઃ  વર્ષ 1992માં રાજસ્થાનના અજમેરમાં દેશના સૌથી મોટા બળાત્કાર કાંડનો પર્દાફાશ થયો હતો. આ ધ્રુણાસ્પદ અને ચોંકાવનારા કાંડને કવર કરનાર પત્રકાર મદન સિંહની તે વર્ષે હત્યા કરી દેવામાં આવી હતી. હવે લગભગ 30 વર્ષના લાંબા સમય બાદ 7 જાન્યુઆરી 2023ના આ દિવંગત પત્રકારના બે પુત્રોએ એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરી દીધી અને જોરશોરથી જણાવ્યું કે તેણે પોતાના પિતાની મોતનો બદલો લઈ લીધો છે. 

રિપોર્ટ અનુસાર દિવંગત પત્રકાર મદન સિંહના પુત્રોએ જેની હત્યા કરી છે તે હિસ્ટ્રીશીટર અને પૂર્વ નગરસેવક સવાઈ સિંહ હતો. મદન સિંહની હત્યા મામલામાં સવાઈ સિંહ પણ આરોપી હતી. પરંતુ બાદમાં પૂરાવાના અભાવે તેને છોડી દેવામાં આવ્યો હતો. હવે 30 વર્ષ બાદ સવાઈ સિંહ પર પુષ્કરના બાંસેલી ગામ સ્થિત એક રિસોર્ટમાં હુમલો કરવામાં આવ્યો. હુમલામાં સવાઈનો મિત્ર દિનેશ તિવારી પણ ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયો છે. સવાઈ સિંહ પર હુમલો કરનાર ભાઈઓમાંથી એક સૂર્ય પ્રતાપ સિંહની રાજસ્થાન પોલીસે ધરપકડ કરી લીધી છે. જ્યારે બીજો ભાઈ ધર્મ પ્રતાપ સિંહ ફરાર છે. 

સૂર્ય પ્રતાપને ઘટનાસ્થળ પર હાજર લોકોએ પકડીને પોલીસના હવાલે કરી દીધો હતો. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે સૂર્યપ્રતાપ સિંહે પકડાયા બાદ કહ્યુ કે, સવાઈ સિંહે મારા પિતાને માર્યા, હવે મેં તેને મારી નાખ્યો. આગામી નંબર રાજકુમાર જયપાલ (કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય) નો છે. નોંધનીય છે કે રાજકુમાર જયપાલને મદન સિંહ હત્યા કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે કોર્ટમાંથી છુટી ગયો હતો. 

અજમેર સેક્સ કાંડ અને મદન સિંહની હત્યા
નોંધનીય છે કે 1992માં જ્યારે અજમેરની એક પ્રખ્યાત સ્કૂલ 'ગર્લ્સ સ્કૂલ સોફિયા'ની યુવતીઓ સાથે દુષ્કર્મ કરવા અને તેને બ્લેકમેલ કરવાનો સિલસિલો શરૂ થયો હતો, ત્યારે સાપ્તાહિક સમાચાર પત્ર ચલાવનાર મદન સિંહે આ મામલાને આક્રમક રીતે ઉઠાવ્યો હતો. પરંતુ અજમેર સેક્સ કાંડમાં ઘણા મોટા નેતા અને પ્રતિષ્ઠિત લોકોના નામ સામેલ હતા, તેથી મદન સિંહને પહેલા ચુપ રહેવા માટે ધમકી આપવામાં આવી. પરંતુ જ્યારે મદન સિંહે આ મુદ્દે લખવાનું ચાલુ રાખ્યું તો તેમની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. શ્રીનગર રોડ પર મદન સિંહ પર હુમલો થયો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયા બાદ તેમને અજમેરની JLN હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલની અંદર મદન સિંહની હત્યા કરી દેવામાં આવી. મદન સિંહની માતાના નિવેદનના આધાર પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજકુમાર જયપાલ, સવાઈ સિંહ, નરેન્દ્ર સિંહ સહિત અન્ય લોકો વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ થયો હતો. પરંતુ 20 વર્ષ સુધી ચાલેલા આ કેસમાં 2012માં કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા હતા. ત્યારબાદ એકવાર મદન સિંહના પુત્રો સૂર્યપ્રતાપ અને ધર્મ પ્રતાપે સવાઈ સિંહ અને જયપાલ પર ફાયરિંગ કર્યું હતું, પરંતુ બંને બચી ગયા હતા. 

શું છે અજમેર સેક્સ કાંડ
વર્ષ 1992માં અજમેરમાં 100થી વધુ હિન્દુ યુવતીઓને ફસાવી તેનો બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેમની સાથે અશ્લીલ ફોટા પાડીને તેમને બ્લેકમેલ કરીને અન્ય છોકરીઓને ફસાવીને તેમની પાસે લાવવાનું કહેવામાં આવતું હતું. આ રીતે, તે બળાત્કાર અને બ્લેકમેલિંગની સંપૂર્ણ સાંકળ બની ગઈ હતી. આ કેસમાં ફારૂક ચિશ્તી, નફીસ ચિશ્તી અને અનવર ચિશ્તી મુખ્ય આરોપી હતા. ત્રણેય યુથ કોંગ્રેસના અગ્રણી નેતાઓ હતા. ફારુક ચિશ્તી તે સમયે ભારતીય યુવા કોંગ્રેસના અજમેર એકમના વડા હતા. તે જ સમયે, નફીસ ચિશ્તી કોંગ્રેસના અજમેર એકમના ઉપાધ્યક્ષ હતા. અનવર ચિશ્તી અજમેરમાં કોંગ્રેસના સંયુક્ત સચિવ હતા. એટલું જ નહીં ત્રણેય આરોપીઓ અજમેરના ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહના ખાદીમ પણ હતા. એટલે કે, આરોપીઓ પાસે રાજકીય અને ધાર્મિક બંને શક્તિ હતી, જેના કારણે કોઈ તેમની સામે અવાજ ઉઠાવવાની હિંમત કરી શક્યું ન હતું. સાથે જ બળાત્કારનો ભોગ બનેલી છોકરીઓ પણ સામાન્ય છોકરીઓ નહોતી, મોટાભાગની IAS, IPS જેવા મોટા અધિકારીઓની દીકરીઓ હતી. એક રિપોર્ટ અનુસાર, અધિકારીઓને આ વિશે પહેલાથી જ ખબર હતી, પરંતુ મામલો હિંદુ-મુસ્લિમમાં ન ફેરવાય તે માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

રિપોર્ટ જણાવે છે કે આરોપીઓએ સૌથી પહેલા એક કારોબારીના પુત્ર સાથે કુકર્મ કરી તેની અશ્લીલ તસવીર ઉતારી અને તેને પોતાની ગર્લફ્રેન્ડને લાવવા મજબૂર કરવામાં આવ્યો. આરોપીઓએ તેની ગર્લફ્રેન્ડનો બળાત્કાર કર્યા બાદ તેની અશ્લીલ તસવીરો ઉતારી લીધી અને તે યુવતીને બ્લેકમેલ કરી પોતાની મિત્રને લાવવાનું કહ્યું હતું. ત્યારબાદ આ સિલસિલો શરૂ થયો હતો. એક બાદ એક યુવતીનો બળાત્કાર કરવો, તેની નગ્ન તસવીરો લેવી, પછી બ્લેકમેલ કરી તેને બીજી કોઈ યુવતી લાવવા માટે કહેવામાં આવવું. આ ચેનમાં 100થી વધુ હિન્દુ યુવતીઓ શિકાર બની હતી. તે પણ કહેવામાં આવે છે કે સ્કૂલની આ છોકરીઓ સાથે બળાત્કાર કરનારમાં નેતા, સરકારી અધિકારીઓ પણ સામેલ હતા. પરંતુ તંત્ર હિન્દુ-મુસ્લિમની ચિંતાને લઈને ચુપ હતું. 

જે યુવતીઓની બળાત્કાર બાદ તસવીરો લેવામાં આવી હતી, તેમાંથી ઘણી યુવતીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એક સાથે 6-7 છોકરાઓએ આત્મહત્યા કરી. કારણ કે ન તો વહીવટી તંત્ર તેમને બચાવવા આગળ આવતું હતું કે ન તો તેમના પરિવારના સભ્યો સમાજ અને વિસ્તારના ડરથી ચૂપ હતા. હતાશ થઈને આ છોકરીઓએ મોતને વ્હાલું કરી લીધું. અનેક મહિલા સંગઠનોના પ્રયાસો છતાં યુવતીઓના પરિવારજનો આગળ આવી રહ્યા ન હતા. આ ગેંગમાં સંડોવાયેલા આરોપીઓના મોટા નેતાઓની પહોંચને કારણે કોઈએ મોઢું ખોલ્યું ન હતું. બાદમાં એક NGOએ આ મુદ્દો ઉઠાવ્યો અને 30 છોકરીઓને ફોટા અને વીડિયો દ્વારા ઓળખવામાં આવી. પીડિતો સાથે વાત કરવામાં આવી, તેમને કેસ નોંધવા માટે કહેવામાં આવ્યું, પરંતુ સમાજમાં બદનામીના નામે ઘણા પરિવારોએ ના પાડી દીધી. માત્ર 12 છોકરીઓ જ કેસ દાખલ કરવા સંમત થઈ હતી. પરંતુ, બાદમાં ધમકીઓ મળતાં, વધુ 10 છોકરીઓ પીછેહઠ કરી હતી. માત્ર બાકીની બે પીડિતોએ કેસને આગળ વધાર્યો અને આ છોકરીઓએ 16 આરોપીઓને ઓળખી કાઢ્યા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news