Pakistan: શાહબાઝ શરીફનો ઈમરાન ખાન માટે મોટો સંદેશ 'બદલો તો નહીં લઈએ...પરંતુ કાયદો ચોક્કસપણે પોતાનું કામ કરશે'

અવિશ્વાસના પ્રસ્તાવ પર જીત મેળવ્યા બાદ પાકિસ્તાનના ભાવિ પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે સત્તામાંથી બેદખલ થયેલા ઈમરાન ખાનને મોટો સંદેશ આપ્યો છે.

Pakistan: શાહબાઝ શરીફનો ઈમરાન ખાન માટે મોટો સંદેશ 'બદલો તો નહીં લઈએ...પરંતુ કાયદો ચોક્કસપણે પોતાનું કામ કરશે'

ઈસ્લામાબાદ: અવિશ્વાસના પ્રસ્તાવ પર જીત મેળવ્યા બાદ પાકિસ્તાનના ભાવિ પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે સત્તામાંથી બેદખલ થયેલા ઈમરાન ખાનને મોટો સંદેશ આપ્યો છે. રવિવારે રાતે નેશનલ એસેમ્બલીમાં ભાષણ આપતા વિપક્ષી દળના નેતાએ કહ્યું કે અમે કોઈની સાથે ગેરવર્તણૂંક નહીં કરીએ અને કારણ વગર નિર્દોષ લોકોને જેલમાં નહીં મોકલીએ પરંતુ કાયદો પોતાનું કામ ચોક્કસપણે કરશે. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ- (PML-N) ના નેતા શાહબાઝે કહ્યું કે પાકિસ્તાનના કરોડો માતા-બહેનો, વૃદ્ધોની દુઆઓ અલ્લાહે કબૂલ કરી છે. પાકિસ્તાનમાં એક નવી શરૂઆત થવાની છે. અમે પાકિસ્તાનને કાયદે આઝમનું પાકિસ્તાન બનાવીશું. 

પોતાના  ભાષણમાં શાહબાઝે વિપક્ષી દળોના સંઘર્ષના વખાણમાં કહ્યું કે આવી મિસાલ પાકિસ્તાનમાં બહુ ઓછી જોવા મળે છે. છેલ્લે પોતાના  ભાષણને એક શેર સાથે ખતમ કરતા તેમણે કહ્યું કે 'જબ અપના કાફલા અઝ્મ-ઓ-યકી સે નિકલેગા, જ્હાં સે ચાહેંગે રાસ્તા વહીં સે નિકલેગા, વતન કી મિટ્ટી મુઝે એડિયા રગડને દે, મુજે યકી હૈ ચશ્મ વહીં સે નિકલેગા.'

અવિશ્વાસનો પ્રસ્તાવ જીત્યા બાદ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું કે એક બિનજરૂરી બોજો આપણો દેશ છેલ્લા 3 વર્ષથી ઉઠાવી રહ્યો હતો. આ સ્પષ્ટ છે કે જુલ્મ છે, વધે છે અને મટી જાય છે. હવે સમગ્ર પાકિસ્તાનને મુબારકબાદ આપું છું. જૂના પાકિસ્તાનમાં તમારું સ્વાગત છે. જેટલું મે છેલ્લા 3-4 વર્ષમાં શીખ્યું છે એટલું કદાચ જીવનમાં ક્યારેય શીખ્યો નથી. પાકિસ્તાનના યુવાઓને કહેવા ઈચ્છીશ કે અશક્ય કશું નથી. 

પાકિસ્તાનની એમક્યુએમ પાર્ટીના સાંસદ ખાલિદ મહેમૂદ સિદ્દીકીએ કહ્યું કે દુઆ કરો કે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ફક્ત ચહેરા જ નહીં પરંતુ દેશની જનતાનું નસીબ પણ બદલાય. એક એવા લોકતંત્રનું સપનું જુઓ કે પાકિસ્તાનના દરેક વર્ગના પ્રતિનિધિ સદન પહોંચે. ઈમરાન સરકારમાં આઈટી મંત્રીની ભૂમિકા ભજવનારા ખાલિદે કહ્યું કે અમે અમારું વચન પૂરું કર્યું, હવે તમારે તમારું વચન પૂરું કરવાનું છે. અત્રે જણાવવાનું કે રાજકીય ઉથલપાથલ વચ્ચે MQM એ જ પાર્ટી છે જેણે ઈમરાન ખાનની સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધુ હતું. 

આ બાજુ પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ) ના સાંસદ અલી મોહમ્મદ ખાને કહ્યું કે ઈમરાન ખાને સત્તા કુરબાન કરી, પરંતુ ગુલામી સ્વીકારી નહીં. જે ઈમરાન ખાનને યહૂદી અને અમેરિકી એજન્ટ કહેવામાં આવતા હતા તેમને છેલ્લે હટાવવા માટે અમેરિકાએ એડી  ચોટીનું જોર લગાવી દીધુ. ઈમરાન ખાન એકવાર ફરીથી બે તૃતિયાંશ બહુમતીથી સત્તામાં આવશે. પીટીઆઈ સાંસદે પોતાના ભાષણમાં કહ્યું કે ઈમરાન ખાને મુસ્લિમ બ્લોક બનાવવા અને આઝાદ પોલીસીની માગણી કરી હતી. પરંતુ તે અમેરિકાથી સહન થયું નહીં. રશિયા તો ફક્ત બહાનું છે, ઈમરાન ખાન નિશાના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news