ગુજરાત સરકાર મહિલાઓને આપશે મફત અનાજ-તેલ, જાણો બજેટમાં શુ કરાઈ જાહેરાત

ગુજરાત સરકાર મહિલાઓને આપશે મફત અનાજ-તેલ, જાણો બજેટમાં શુ કરાઈ જાહેરાત
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 4976 કરોડની જોગવાઈ
  • સગર્ભા, ધાત્રી માતા અને બાળક માટે સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજનાની જાહેરાત
  • 1 હજાર દિવસ સુધી દર મહિને મફતમાં અનાજ અને તેલ આપવામા આવશે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતનું વર્ષ 2022-23 ના વર્ષનું બજેટ રજૂ થઈ ગયુ છે. જેમાં વિવિધ ક્ષેત્રે જાહેરાતો કરવામાં આવી છે. મહિલા અને  બાળ વિકાસ વિભાગ માટે કુલ 4976 કરોડની જોગવાઈ કરાઈ છે. બાળકો સ્વસ્થ સમાજનો પાયો ગણાય છે, તેથી બાળકો તથા માતાના સ્વાસ્થયમાં વધારો થાય તે માટે ગુજરાતના બજેટમાં મોટી જાહેરાત કરાઈ છે. ગુજરાતમાં સગર્ભા, ધાત્રી માતા અને બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજનાની જાહેરાત કરાઈ છે. જે અંતર્ગત પરિવારને 1 હજાર દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિનામૂલ્યે આપવામાં આવશે. 

મહિલાઓ અને બાળકોના આરોગ્ય અને પોષણની જરૂરિયાતને ધ્યાને રાખીને સરકારે આંગણવાડી તેમજ અન્ય પાયાને સ્પર્શતી યોજનાઓ અમલમાં મૂકાયો છે. આ યોજનાઓ દ્વારા તેમના જીવનચક્રના બધા જ તબક્કાઓ પર ભાર મૂકી સંતુલિત, શારીરિક અને માનસિક વિકાસ સુનિશ્ચિત કરવાની સરકારની નેમ છે. આ વર્ગની મહત્તા જોતા, ગત વર્ષની સરખામણીએ વિભાગની જોગવાઇમાં ૪૨ ટકા જેટલો ધરખમ વધારો કરાયો છે. જેમાં સૌથી મોટી જાહેરાત સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજનાની છે.

1000 દિવસ મફતમાં અનાજ-તેલ અપાશે
ગુજરાતમાં સગર્ભા, ધાત્રી માતા અને બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને 1 હજાર દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિનામૂલ્યે આપવામાં આવશે. આ માટે આગામી વર્ષ માટે જોગવાઇ 811 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. 

આ ઉપરાંત....

  • આંગણવાડી કાર્યક્રમમાં બાળકોનાં પોષણ, પૂર્વ શિક્ષણ અને અન્ય સવલતો માટે જોગવાઇ 1153 કરોડ
  • 3 થી 6 વર્ષનાં બાળકોને ઘરે ઘરે સુખડીનું વિતરણ કરવા તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રેશન પૂરું પાડવા જોગવાઈ 1059 કરોડ
  • ગંગા સ્વરૂપા બહેનોને મદદરૂપ થવા સરકારે આર્થિક સહાય આપવા માટેનાં ધોરણો ઉદાર કર્યા છે. જેથી ત્રણ વર્ષમાં આ યોજના હેઠળ બહેનોની સંખ્યા 1.5 લાખથી વધી આજે 11 લાખ સુધી પહોંચેલ છે. આ યોજના અંતર્ગત સહાય આપવા જોગવાઇ 917 કરોડ.
  • 11 થી 18 વર્ષની કિશોરીઓ માટે પૂરક પોષણ અને આરોગ્યલક્ષી શિક્ષણ આપતી પૂર્ણા યોજના માટે જોગવાઇ 365 કરોડ.
  • આદિજાતિ વિસ્તારના 10 તાલુકાઓમાં સગર્ભા માતાઓને પૂરક પોષણ આપતી પોષણ સુધા યોજના અમલમાં છે. આ યોજનાનો વ્યાપ વધારી આદિજાતિ વસતિનું બાહુલ્ય ધરાવતા ૭૨ તાલુકામાં આ યોજના વિસ્તારવાની અને પ્રતિ વ્યકિત થતા ખર્ચમાં 50 ટકા જેટલો વધારો કરવાની, હું જાહેરાત કરું છું. આ યોજના માટે જોગવાઇ 118 કરોડ.   
  • વ્હાલી દીકરી યોજના અંતર્ગત 1 લાખ જેટલી દીકરીઓને જીવનના વિવિધ તબક્કે 
  • 1 લાખ સુધીની નાણાકીય સહાય આપવા માટે એલ.આઇ.સી.ને પ્રીમિયમ આપવા માટે જોગવાઇ 80 કરોડ.
  • ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં નંદઘર બાંધકામ અને અન્ય માળખાકીય સુવિધાઓ માટે જોગવાઈ 31 કરોડ.  
  • નારીગૃહોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ ત્યાં રહેતી બહેનોને રોજગારલક્ષી સગવડો પૂરી પાડવા આ ગૃહોને સી.સી.ટી.વી. તથા ઈન્ટરનેટથી જોડવા માટે જોગવાઇ 1 કરોડ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news