લોટરી લાગી! ગુજરાતના આ શહેરોને 455 કરોડની મળી ભેટ, 'દાદા' વરસી ગયા

મુખ્યમંત્રીએ શહેરી ક્ષેત્રોના સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના ધ્યેય સાથે અમદાવાદ સહિત 4 મહાનગરોને કુલ 519 વિવિધ જનહિત કામો માટે સમગ્રતયા રૂ. 455.35 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

લોટરી લાગી! ગુજરાતના આ શહેરોને 455 કરોડની મળી ભેટ, 'દાદા' વરસી ગયા

ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યના મહાનગરો અને નગરોમાં વસતાં નાગરિકો માટે સ્થાનિક સત્તાતંત્ર જન સુખાકારીના વ્યાપક કામો હાથ ધરીને ઈઝ ઓફ લિવિંગમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરી શકે તેવો જન હિતકારી અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ શહેરી ક્ષેત્રોના સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના ધ્યેય સાથે અમદાવાદ સહિત 4 મહાનગરોને કુલ 519 વિવિધ જનહિત કામો માટે સમગ્રતયા રૂ. 455.35 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુગ્રથિત અને આયોજનબદ્ધ શહેરી વિકાસની નેમ સાકાર કરવા ગુજરાતની સ્થાપનાના સ્વર્ણિમ જયંતી ઉજવણી વર્ષ-2010માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 455.35 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે.

તદઅનુસાર, અમદાવાદ મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામોની ૨૦૨૩-૨૪ના વર્ષની રજૂ કરેલી દરખાસ્તના સંદર્ભે રોડના 41 કામો,  ડ્રેનેજના 14 કામો, સ્ટ્રોમ વોટર ડ્રેઇનના 2 તેમજ પાણી અને લાઈટના મળી 12 કામો એમ કુલ 69 કામો માટે 185.30 કરોડ રૂપિયા ફાળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનુમોદન આપ્યું છે. એટલું જ નહીં, ભાવનગર મહાનગરપાલિકાને શહેરના આઉટગ્રોથ વિસ્તારોમાં રોડ, આર.સી.સી, પેવર રોડ, સ્ટ્રોમ વોટર પાઇપલાઇન, લેક બ્યુટીફિકેશન, બ્રીજ નિર્માણ અને રોડ સ્ટ્રેન્ધનીંગના મળીને 18 કામો માટે 20.95 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો અન્વયે મુખ્યમંત્રીએ જુનાગઢ મહાનગરને રસ્તા અને ડ્રેનેજના કામો, રોડ રીસરફેસીંગ, મુખ્ય રસ્તાની બેય બાજુ ફુટપાથ, પેવર રોડ અને સિમેન્ટ કોન્ક્રીટ બ્લોક્સ વગેરે માટે કુલ ૧૭.૬૧ કરોડ રૂપિયાના ખર્ચે ૨૧ કામો હાથ ધરવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જામનગર મહાનગરપાલિકાને પણ આઉટગ્રોથ વિસ્તારના ૯ વિકાસ કામો માટે ૧૯.૮૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તહેત ફિઝકલ ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ કામો માટે પણ નગરો-મહાનગરોને નાણાં ફાળવવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અન્‍વયે જુનાગઢ મહાનગરપાલિકાને ૫૯.૮૧ કરોડ રૂપિયા રસ્તા, ડ્રેનેજ, બ્રિજ-બિલ્ડીંગ તેમજ સ્ટ્રીટલાઇટ અને અન્ય મળી કુલ ૨૯૧ કામો માટે ફાળવવાની અનુમતિ આપી છે. ભાવનગર મહાનગરપાલિકાને ભૌતિક આંતર માળખાકીય સુવિધામાં પેવર રોડ, રોડ વાઈડનીંગ, સી.સી. રોડ અને બ્લોક પેવિંગ તેમજ પીવાના પાણીની પાઇપલાઇન અને સપ્લાય લાઈન, તળાવો-ચેકડેમની મરામત વગેરે ૬૮ કામો માટે ૧૨૦.૪૮ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે મહાનગરો-નગરોમાં રસ્તાના કામો માટે પણ આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રકમ ફાળવવામાં આવે છે.

આ યોજનામાં ભાવનગર મહાનગરપાલિકાને રોડ-રસ્તાના ૧૩ કામો માટે ૨૦.૯૫ કરોડ રૂપિયા અને જુનાગઢ મહાનગરપાલિકાને આવા 30 કામો માટે ૧૦.૪૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને આ ચાર મહાનગરપાલિકાએ કરેલી દરખાસ્તો મુખ્યમંત્રી સમક્ષ આવતાં તેમણે તેને અનુમોદન આપ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાર મહાનગરોને વિકાસ કામો માટે નાણાં ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી સાથે બે નગરપાલિકાઓમાં જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશન બનાવવા માટે પણ રકમ ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આના પરિણામે પોરબંદર-છાયા નગરપાલિકાને જિલ્લા કક્ષાનું મોડલ ફાયર સ્ટેશન આશરે પાંચ હજાર ચોરસ મીટર વિસ્તારમાં બનાવવા રૂ. ૮.૯૧ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

એટલું જ નહીં, જામનગર જિલ્લાની કાલાવાડ નગરપાલિકાને પણ પાંચ હજાર ચોરસ મીટર જમીન પર આવા ફાયર સ્ટેશનનું બાંધકામ કરવા ૯.૬૪ કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બધા કામો માટે આપેલી સૈદ્ધાંતિક મંજૂરીના પરિણામ સ્વરૂપે નગરો-મહાનગરોમાં લાંબા ગાળાના વિકાસ કામોથી શહેરી જનજીવન વધુ સુવિધાસભર બનશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news