‘હમ સાથ સાથ હૈ’ નું પિક્ચર બતાવતા ભાજપના આ નેતા સાથે ‘હમ આપકે હૈ કોન’ થઈ ગયું

Gujarat BJP : કચ્છમાં અમિત શાહનો કાર્યક્રમ હોય, અને કચ્છના જ સાંસદ ગેરહાજર હોય... ગુજરાત ભાજપમાં આંતરિક ડખાની ફરી ચર્ચા વહેતી થઈ
 

‘હમ સાથ સાથ હૈ’ નું પિક્ચર બતાવતા ભાજપના આ નેતા સાથે ‘હમ આપકે હૈ કોન’ થઈ ગયું

Gujarat Politics : ગુજરાત ભાજપ ભલે બહારથી ‘હમ સાથ સાથ હૈ’ નું પિક્ચર બચાવી રહી હોય, પરંતું હકીકત તો એવી છે કે, ઘરમાં ફૂટ તો પડી છે. ઘરમાં પડેલી દરાર હજી ભરાઈ નથી. ગુજરાત ભાજપના પત્રિકાકાંડનો રેલો દિલ્હી સુધી પહોંચ્યો, તેના બાદ એવુ બતાવવામાં આવ્યું કે, બધુ સારું છે. પરંતુ અમિત શાહના ગુજરાત પ્રવાસમાં ફરી કંઈક એવુ દેખાયુ કે બધુ બરાબર નથી. શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છમાં હતા, પરંતું તેના કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા ગાયબ હતા. તેમની ગેરહાજરીથી અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. 

ભાજપના પત્રિકાકાંડે બધા રાઝ ખોલ્યા છે. પત્રિકાકાંડમાં ઘરમાં પડેલી ફાટફૂટ ખુલ્લી પડી ગઈ છે. એક જોતા ભાજપમાં કોલ્ડવોર ચાલી રહ્યો હોય તેવું દેખાય છે. લોકસભાની ચૂંટણી સાવ નજીક છે, ત્યારે ભાજપના આંતરિક ડખા બહાર આવી રહ્યાં છે. અમદાવાદમાં પત્રિકાકાંડે પ્રદીપસિંહ વાઘેલાનો ભોગ લીધો. તો પ્રદેશ મહામંત્રી ભાગર્વ ભટ્ટને રવાના કરી દેવાયા હતા. જેના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા હતા. દિલ્હીથી એવુ પિક્ચર બતાવવામાં આવ્યું કે, સંગઠનમાં કોઈ ડખા નથી. 

પરંતું પત્રિકાકાંડનો રેલો કચ્છ સુધી પહોંચ્યો છે. ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છના પ્રવાસે હતા. જેમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ગેરહાજરી આંખે ઉડીને વળગે તેવી હતી. જ્યારે પોતાના જિલ્લામાં સરકારી કાર્યક્રમ હોય અને કચ્છના સાંસદ જ ગાયબ હોય ત્યારે ફરી એકવાર વાતો વહેતી થઈ છે કે, વિનોદ ચાવડાને સાઈડલાઈન કરવામાં આવી રહ્યાં છે. અમિત શાહના આગમનથી લઈને તેમના કાર્યક્રમમાં ક્યાંય વિનોદ ચાવડા જોવા મળ્યા ન હતા. જે બતાવે છે કે, ભાજપનો કોલ્ડવોર હજી શાંત થયો નથી. 

લોકસભા પહેલા ગુજરાત ભાજપમા નવાજૂની થાય તો નવાઈ નહિ. પત્રિકાકાંડે દિલ્હીની ગાદી હચમચાવી દીધી છે. આવામાં, ગઢ કહેવાતા ગુજરાતમાં જ ભાજપના પાયા હલી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી નજીક છે, ત્યારે ગુજરાત ભાજપમાં નેતાઓનો ભોગ, નેતાઓને સાઈડલાઈન કરવાથી લઈને ઘણુંબધુ થઈ રહ્યુ છે. પત્રિકાકાંડ ભાજપમાં અનેક ગાબડા પાડી શકે છે. આ માટે પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરને દિલ્હીનું તેડુ પણ આવ્યુ હતું. જ્યાંથી તેઓ ‘હમ સાથ સાથ હૈ’ નો નારો લઈને આવ્યા હતા. પરંતું હવે એવુ દેખાતુ નથી. ટૂંક સમયમાં જ ભાજપ સંગઠનમાં નવી નિયુક્તિ થઈ શેક છે. તે જોતા ફરીથી રિસામણા-મનામણા જોવા મળી શકે છે. પરંતુ હાલ તો વિનોદ ચાવડા પર લટકતી તલવાર છે. જો વિનોદ ચાવડાને ખરેખર સાઈડલાઈન કરાયા હોય તો લોકસભામાં તેમની ટિકિટ પર દાવ થઈ શકે છે. બીજી તરફ, વિનોદ ચાવડાનો રાજકીય દબદબો ઘટ્યો હોય તેવું ખુદ કાર્યકરોને લાગી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news