ડી.જી વણજારા પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાના માસ્ટરમાઇન્ડ: આઝમ ખાન

હરેન પંડ્યાની હત્યા અંગે સૌથી મોટો ઘટસ્ફોટ સ્પેશિયલ CBI કૉર્ટમાં સાક્ષીનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. 

ડી.જી વણજારા પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાના માસ્ટરમાઇન્ડ: આઝમ ખાન

અમદાવાદ: સોહરાબુદ્દીન-તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં આજે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. શનિવારે મુંબઇની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં મુખ્ય સાક્ષી આઝમ ખાને એક સ્ફોટક નિવેદન આપ્યું છે. આઝમ ખાને અદાલતને કહ્યું હતું કે, ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા ડીજી વણઝારાએ સોહરાબુદ્દીન શેખ દ્વારા કરાવી હતી. આઝમ ખાને સીબીઆઇ કોર્ટને કહ્યું કે, સોહરાબુદ્દીન અને તુલસી તેના સારા મિત્રો હતા અને સોહરાબુદ્દીને મને કહ્યું હતું કે તેણે નઇમુદ્દીન ઉર્ફે કલીમુદ્દીન અને શાહિદ સાથે મળીને હરેન પંડ્યાની હત્યા કરી હતી. આઝમ ખાને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અંગે કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે,તેણે જ સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસરબી અને તુલસીને પોતાની ફઇના મલ્લાતલાઇ સ્થિત મકાનની જગ્યામાં આશરો આપ્યો હતો. આ ત્રણેય લોકો અહીં જ રહેતા હતા.

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના મોટિવ બદલાયા
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અનુસંધાનમાં સીબીઆઇએ જે ચાર્જશીટ રજૂ કરી હતી, તેમાં એન્કાઉન્ટરનો મોટિવ અલગ છે. આ ચાર્જશીટ મુજબ, સોહરાબુદ્દીને માર્બલના વેપારી વિમલ પટ્ટણી અને સંગમ ટેક્સટાઇલના એક વેપારીને ધમકી આપી ખંડણી માંગી હતી. આ વેપારીઓએ તેની જાણકારી રાજકીય નેતાઓને આપી હતી. ત્યાર બાદ ડીજી વણઝારા, રાજકુમાર પાંડિયન અને દિનેશ એમએનએ મળીને સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ આઝમ ખાને ટ્રાયલ કોર્ટમાં આપેલા નિવેદનમાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનો મોટિવ હરેન પંડ્યા હત્યા કેસ સાથે જોડાઇ ગયો છે. ચાર્જશીટમાં એન્કાઉન્ટર પાવર હાઉસ પાસે બતાવ્યું છે, જ્યારે આઝમે કહ્યું કે, સોહરાબુદ્દીન અને કૌસરબીની હત્યા તો ફાર્મ હાઉસમાં જ કરવામાં આવી હતી.

સોહરાબુદ્દીન અને નઇમુદ્દીન જાણતા એકબીજાના રહસ્યો
આઝમ ખાને કોર્ટને જણાવ્યું કે, એકવાર સોહરાબુદ્દીને તેને જણાવ્યું કે, આ નઇમુદ્દીનને મળવા માટે હૈદરાબાદ ગયો હતો. નઇમુદ્દીન દાઉદ ઇબ્રાહીમ સાથે વાત કરવા માગતો હતો. પરંતુ મેં તેને એમ કહીને મનાઇ કરી દીધી કે, દાઉદ તો કોઇ સાથે વાત કરતો નથી. હાં તેની છોટા શકીલ સાથે વાત કરાવી શકે છે. આ સમયે આઝમે સોહરાબુદ્દીનને ચેતવ્યો હતો કે, નઇમુદ્દીન સારો માણસ નથી તો સોહરાબુદ્દીને આઝમને વિશ્વાસ અપાવ્યો હતો કે, નઇમુદ્દીન તેની સાથે દગો કરી શકે નહીં કારણ કે, તે એકબીજાના રહસ્યો જાણે છે અને અમે જ હરેન પંડ્યાની હત્યા કરી હતી. જેના માટે અમને ડીજી વણઝારાએ સોપારી આપી હતી.

પહેલા અને હાલના નિવેદનમાં અલગ-અલગ સ્ટોરી
ઉલ્લેખનીય છે કે, જ્યારે સીબીઆઇ સોહરાબુદ્દીન-તુલસી એન્કાઉન્ટર કેસની તપાસ કરી રહી હતી ત્યારે સીબીઆઇ ઇન્સ્પેક્ટર પવાર, વિશ્વાસ મીણા અને એનએસ રાજુએ અલગ-અલગ ત્રણવાર તેના સીઆરપીસીની કલમ 161 હેઠળ નિવેદનો લીધા હતા અને આઝમ આ કેસનો એક માત્ર એવો સાક્ષી છે જેના સીઆરપીસીની કલમ 164 હેઠળ કોર્ટમાં બેવાર નિવેદન લેવાઇ ચૂક્યા છે. જેમાં આઝમે જે સ્ટોરી કહી છે તે શનિવાર(3 નવેમ્બર)ના રોજ ટ્રાયલ કોર્ટમાં આપેલા નિવેદનોથી અલગ છે. આમ છતાં સીબીઆઇના સ્પેશિયલ વકીલ બીપી રાજુએ આ અંગે ના તો કોઇ સવાલ પૂછ્યો કે ના તો તેને હોસ્ટાઇલ જાહેર કર્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news