દ્વારકામાં ભારે વરસાદથી જગત મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવાઈ, કલ્યાણપુરમાં સૌથી વધુ 6.6 ઈંચ

Dwarka Rain Update: દ્વારકાના કલ્યાણપુર પંથકમાં મેઘરાજાએ મન મૂકીને વરસ્યા... સાડા 6 ઈંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણી... ભારે વરસાદથી નદી-નાળા છલકાયા...

દ્વારકામાં ભારે વરસાદથી જગત મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવાઈ, કલ્યાણપુરમાં સૌથી વધુ 6.6 ઈંચ

દ્વારકા :દ્વારકામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુરમાં 6.6 ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે સમગ્ર દ્વારકા જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. જેને કારણે દ્વારકામાં જગત મંદિરનાં શિખરે અડધી કાઠીએ ધજા ફરકાવાઈ છે. અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ નિર્ણય લીધો હતો. વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી અડધી કાઠીએ ધજા ફરકાવાશે.

કલ્યાણપુર 6.6 ઈંચ વરસાદ
કલ્યાણપુરમાં સાડા છ ઈંચ વરસાદથી પાણી પાણી બની ગયુ છે. તો દ્વારકામાં 4 અને ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ તૂટી પડ્યો છે. મૂશળધાર વરસાદથી દ્વારકા જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઈ ગયુ છે. દ્વારકામાં અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થયા થયા છે. રાવલ-સુર્યાવદર વચ્ચેનો રસ્તો પાણીમાં ગરકાવ થતા બંધ થયો છે. સાની નદીમાં પૂર આવતા રસ્તાઓ બંધ થયા છે. લોકો જીવના જોખમે રસ્તાઓ પાર કરી રહ્યા છે. ભારે વરસાદથી જિલ્લાના નદી, નાળા અને ચેકડેમો છલકાયા છે. તો બીજી તરફ સીમાની કાલાવડથી બારા તરફ જતાં માર્ગ પર પુલ પર પાણી ફરી વળતા લોકોને જીવના જોખમે દોરડા વડે પુલ પાર કરવાનો વારો આવ્યો છે.

ધજા અડધી કાઠીએ ફરકાવાઈ
દ્વારકામાં જગત મંદિરનાં શિખરે ધજા અડધી કાઠીએ ફરકાવાઈ છે. અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ નિર્ણય લેવાયો છે. ખરાબ હવામાન, વરસાદની આગાહીને પગલે વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી ધજા અડધી કાઠીએ ફરકાવાશે. મહત્વનું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.. હાલમાં સતત ભારે વરસાદ પણ વરસી રહ્યો છે.  જેના પગલે સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરના શિખર પર ફરકાવવામાં આવતી ધજાને અડધી કાઠીએ ફરકાવવામાં આવી છે.

ભારે વરસાદથી ખેતરો પાણી પાણી 
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાથી જિલ્લાના ખેતરો પાણી-પાણી બન્યા છે. ખંભાળિયાથી દ્વારકા જતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. ભારે વરસાદને લીધે ખેતરો તળાવ જેવા બની ગયા છે. વધુ વરસાદ પડે તો ખેડૂતોને નુકસાન થઈ શકે છે. આમ, સતત વરસી રહેલા ભારે વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. 

24 કલાકમાં 219 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદીની આગાહી વચ્ચે રાજ્યના 219 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં 6.5 ઈંચ, કોડીનાર અને કલ્યાણપુરમાં 6-6 ઈંચ વરસાદ, કડાણામાં 5.75 ઈંચ, માંગરોળમાં 4.75 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત 26 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ છે, તો 30 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news