કટોકટીમાં વડાપ્રધાન મોદીની ભૂમિકા : પંજાબી વેશ ધારણ કર્યો, પણ પકડાયા વગર ગુપ્ત રીતે કામ કર્યું

Emergency in India: કટોકટીના સમયે નરેન્દ્ર મોદી ક્યાં હતા અને તેઓ શુ જવાબદારી નિભાવતા હતા... રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે નરેન્દ્ર મોદીને એ વખતે શું જવાબદારીઓ સોંપી હતી... કટોકટી સમયે પણ કેવી રીતે ધરપકડથી બચી ગયા હતા નરેન્દ્ર મોદી... જાણીએ એ સમયની ખાસ વાત...

કટોકટીમાં વડાપ્રધાન મોદીની ભૂમિકા : પંજાબી વેશ ધારણ કર્યો, પણ પકડાયા વગર ગુપ્ત રીતે કામ કર્યું

ચિંતન ભોગાયતા/અમદાવાદ :1975માં આજની તારીખે લોકશાહીનું ચીરહરણ થયું હતું. 25 જૂન 1975માં ઈન્દિરા ગાંધીએ કટોકટી લગાવી હતી. જે ભારતના ઈતિહાસમાં આજનો કાળો દિવસ ગણાય છે. 25 જૂન 1975 થી 21 માર્ચ 1977 સુધી કટોકટી ચાલી હતી. પ્રજાની આઝાદી કટોકટીમાં છીનવી લેવાઈ હતી. અનેક લોકોને જેલના સળિયા પાછળ ધકેલાયા હતા. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે નરેન્દ્ર મોદી ક્યાં હતા અને તેમણે તે સમયે શુ કર્યુ તે આજે જાણીએ. 

એ સમયની વાત છે જ્યારે દેશમાં કૉંગ્રેસની સરકાર હતી અને પ્રધાનમંત્રી હતાં ઈન્દિરા ગાંધી. તારીખ હતી 26 જૂન 1975. આ દિવસને લોકશાહી માટે કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ એ જ દિવસ છે જ્યારે ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી. વિરોધ પક્ષના મોટા નેતા જેવા કે જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, ચરણસિંહ, લાલકૃષ્ણ અડવાણી, અટલબિહારી વાજપાઈની ધરપકડ કરાઈ હતી. આ સમયે ગુજરાતમાં RSSએ ગુજરાત લોકસંઘર્ષ સમિતિની રચના કરી. લક્ષ્મણરાવ ઈનામદારના નેજા હેઠળ ગોઠવાયેલી મીટીંગમાં નક્કી કરાયું કે કટોકટીનો સંઘર્ષ કરવા ભૂગર્ભ આંદોલન શરૂ કરવું. RSSના કાર્યકરોને અલગ અલગ જવાબદારીઓ સોંપાઈ. જેમાં નરેન્દ્ર મોદી પણ જોડાયા હતા. 

મોદીને સોંપાઈ હતી આ જવાબદારી
બહુ ઓછા લોકોને ખબર હતી કે નરેન્દ્ર મોદી પણ એ સમયે ભૂગર્ભવાસમાં જતા રહ્યા હતા. મોદીના શીરે જવાબદારી હતી કે તેમણે સ્વંયસેવકોની અને સંઘપરિવારની દેખભાળ કરવાની છે. બીજા રાજ્યમાંથી લોકો આવતા હોય તેમના માટે સુરક્ષિત રહેઠાણની વ્યવસ્થા કરી આપવાની. સમાચાર ભેગા કરવા, છપાવાની વ્યવસ્થા કરવી, પત્રિકાઓ વહેંચવી, મીટિંગો માટે સ્થળ બદલતા રહેવું જેથી પોલીસને શંકા ન થાય. આવાં ઘણાં કામો નરેન્દ્ર મોદી કરતા. કટોકટી દરમિયાન નરેન્દ્ર મોદીની જવાબદારીઓમાંથી એક એ પણ હતી કે પરદેશમાં રહેતા ભારતીયો સાથે કડીરૂપ બની રહેવું.

ઓક્ટોબર 1975 લોકસંઘર્ષ સમિતિની એક મીટિંગ મળી હતી. જેમાં નક્કી કરાયું કે 14 નવેમ્બરે એટલે કે નેહરૂના જન્મદિવસે સત્યાગ્રહ કરવો. સરકારને આની ખબર ન પડે એટલે એક કોડવર્ડ નક્કી કરાયો લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. મીટિંગમાં નિર્ણય લીધા પછી બધા કાર્યકરોને ફોનથી સૂચના અપાઈ કે લગ્નની તારીખ 14 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. આ સમયે નરેન્દ્ર મોદી સહિતના કાર્યકરોને જે જવાબદારી સોંપાઈ તે બખૂબી નિભાવી એટલે 14 નવેમ્બરનો તે સત્યાગ્રહ યોજના મુજબ સફળ રહ્યો.. 

એ સમયનો એક કિસ્સો...
એક વખત તો એવું થયું કે શંકરસિંહ વાઘેલા અને વિષ્ણુ પંડ્યા ભાવનગર જેલમાં બંધ હતા અને એમને મળવું જરૂરી હતું. એક બહેન જે હંમેશાં મુલાકાતી તરીકે જતાં એમનો સાથ લઈને નરેન્દ્ર મોદી જેલમાં પહોંચી ગયા અને જરૂરી વાતચીત પતાવીને પાછા આવ્યા. 

નરેન્દ્ર મોદીને વારંવાર વેશ બદલવા પડતા
ભૂગર્ભ કાર્યકર તરીકે નરેન્દ્ર મોદીને વારંવાર વેશ બદલવા પડતા હતા. કોઈવાર ભગવાં કપડાં પહેરી સંન્યાસીના વેશમાં તો કોઈવાર દાઢી વધારી માથે સાફો બાંધી આબેહૂબ સરદારજીના વેશમાં આવી જતા. નરેન્દ્ર મોદી જે પરિવેશ ધારણ કરે તેના વ્યક્તિત્વનો અભ્યાસ કરતા.

જાણવા જેવું 
દેશમાં 21 મહિના સુધી કટોકટી રહી. 22 માર્ચ 1977ના દિવસે કટોકટી સત્તાવાર રીતે પાછી ખેંચી લેવામાં આવી. દેશભરમાંથી ધરપકડ કરાયેલા લોકોને મુક્તિ મળી. ફક્ત ગુજરાતમાં જ કુલ 540 આંદોલનકારીઓની ધરપકડ કરાઈ હતી, જેમાંથી 435 RSS સાથે જોડાયેલા હતા. કટોકટી દરમિયાન જ નરેન્દ્ર મોદીનું હીર બહાર આવ્યું અને એમની આયોજનશક્તિની પણ પરખ થઈ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news