સામે આવ્યું મોટું કારણ! ગુજરાતમાં હવે પરંપરાગત ખેતી છોડી ખેડૂતો કેમ કરી રહ્યા છે સુરણની ખેતી, કમાઈ રહ્યા છે લાખો

ખેડૂતોના મત પ્રમાણે સુરણની ખેતીમાં ખાતર બિયારણ અને દવાનો ખર્ચ ઓછો થવા ઉપરાંત પાકની ઉપજ જમીનમાં અંદર થતી હોવાથી જાળવણી અને સાચવણી માટે ઓછી તકલીફ પડતી હોય છે.

સામે આવ્યું મોટું કારણ! ગુજરાતમાં હવે પરંપરાગત ખેતી છોડી ખેડૂતો કેમ કરી રહ્યા છે સુરણની ખેતી, કમાઈ રહ્યા છે લાખો

ઝી બ્યુરો/પંચમહાલ: જંગલી પશુઓની રંજાડ થકી પાકને થતાં નુકશાન અને સતત વાતાવરણમાં આવતા બદલાવને લઈ પંચમહાલ જિલ્લાના કાલોલ પંથકના ખેડૂતો હવે ચોમાસાની પરંપરાગત ખેતીમાંથી સુરણની ખેતી કરવા તરફ વળ્યા છે. ખેડૂતોના મત પ્રમાણે સુરણની ખેતીમાં ખાતર બિયારણ અને દવાનો ખર્ચ ઓછો થવા ઉપરાંત પાકની ઉપજ જમીનમાં અંદર થતી હોવાથી જાળવણી અને સાચવણી માટે ઓછી તકલીફ પડતી હોય છે સાથે જ આવક પણ સારી મળતી હોવાથી હવે કાલોલ તાલુકાના જોડિયા કુવા સહિતના આજુબાજુના ખેડૂતો પણ હવે સુરણની ખેતી કરી રહ્યા છે. 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં વેજલપુર પંથકની આજુબાજુના ખેડૂતો જંગલી ભૂંડ અને નીલગાયની રંજાડ અને પાકને થતાં નુકશાનથી ત્રાહીમામ પોકારી હવે ચોમાસા અને શિયાળા દરમિયાન કરવામાં આવતી પરંપરાગત ખેતી પદ્ધતિ લાવી રહ્યા છે. દર વર્ષે ઉત્સાહભેર ખેતી કર્યા બાદ જંગલી પશુઓથી પાકને થતાં નુકશાન સામે હવે ખેડૂતોએ સુરણની ખેતીનો વિકલ્પ શોધી કાઢ્યો છે. ખેડૂતો એક વીઘા જમીનમાં 50 મણ સુરણનું વાવેતર કર્યા બાદ તેઓને અંદાજિત 300થી 400 મણ સુરણનું ઉત્પાદન મળી રહે છે, વળી જેના પોષણક્ષમ ભાવ પણ મળી રહ્યા છે. 

પ્રતિ 20 કિલો સુરણ 700 થી 800 રૂપિયાના ભાવે વડોદરામાં વેચાણ થતું હોય છે, જેથી ખેડૂતોને ખર્ચના પ્રમાણમાં આવક સારી થતી હોય છે. જેથી હવે આ વિસ્તારના ખેડૂતો એક બીજા ખેડૂતને સુરણની ખેતીમાં મળી રહેલી સફળતાને નિહાળી સુરણની ખેતી કરવા તરફ વળ્યા છે. અહીંના ખેડૂતો અન્ય ખેડૂતોને પણ પ્રેરણાદાયી બની સુરણની ખેતી કરવા માટે જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વેજલપુર પંથકમાં સિંચાઈની અપૂરતી સુવિધા છે. વળી ખેડૂતો કુવા કે બોરના મારફતે સિંચાઈ સુવિધા ઉપલબ્ધ બનાવી ખેતી કરતા હોય છે, જેમાં પણ વીજ પુરવઠો રેગ્યુલર નહીં મળતા ખેડૂતો ખૂબ જ કંટાળી ગયા હતા. જેની સામે હાલ સુરણની ખેતી તેઓ માટે એક સારો વિકલ્પ બની રહ્યું છે. 

કાલોલ પંથકના ખેડૂતોએ જંગલી ભૂંડ અને નીલ ગાયની રંજાડમાંથી મુક્તિ મેળવી સુરણની ખેતીનો વિકલ્પ અપનાવ્યો છે. પરંતુ ખેડૂતો વેચાણ માટે હાલ પણ એક મોટી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. નજીકના વિસ્તારમાં સુરણની ખરીદી માટેનું યોગ્ય માર્કેટ નથી, વળી ગોધરા ખાતે ખેડૂતો પાસેથી વેપારીઓ દ્વારા સુરણની ખરીદી કરવામાં આવે છે. પરંતુ ઓછી માત્રામાં ખરીદી કરવામાં આવતી હોવાથી ખેડૂતોને અન્ય સુરણ વેચવા માટે છેક વડોદરા સુધી લાંબા થવું પડતું હોય છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોના પાકના ઉત્પાદનને ધ્યાનમાં રાખી ગોધરા ખાતે સુરણની ખરીદી કરવામાં આવે એવી અહીંના ખેડૂતો માંગ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news