ભાવનગરના ખેડૂતો બહુ બાહોશ, એક ટ્રીક અને કરે છે જબરદસ્ત કમાણી

ભાવનગર જીલ્લાના અનેક ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. જે વિસ્તારના તળમાં પાણી ઓછું હોય તેવા વિસ્તારોમાં ખેડૂતો ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવી વધુ સારો પાક લઇ રહ્યા છે. 

ભાવનગરના ખેડૂતો બહુ બાહોશ, એક ટ્રીક અને કરે છે જબરદસ્ત કમાણી

નવનીત દલવાડી, ભાવનગર : ભાવનગર જીલ્લાના અનેક ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. જે વિસ્તારના તળમાં પાણી ઓછું હોય તેવા વિસ્તારોમાં ખેડૂતો ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવી વધુ સારો પાક લઇ રહ્યા છે. જોકે સરકાર દ્વારા જે સબસીડી ડ્રીપ અંગે આપવામાં આવે છે તેનું યોગ્ય અમલીકરણ થાય તો વધુ ને વધુ ખેડૂતો આ પદ્ધતિ દ્વારા ખેતી કરી ઓછી મહેનતે અને પાણીએ વધુ સારો પાક લઇ શકે છે ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોની આ માંગ અને વેદના સમજે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

ભાવનગર જીલ્લાના અનેક તાલુકાઓમાં ખેડૂતો ટપક સિંચાઈ પધ્ધતિ દ્વારા ખેતી કરી રહ્યા છે. ગત ચોમાસામાં ભાવનગર જીલ્લાના મોટાભાગના મથકો પર અતિ સારા વરસાદને લઇ કુવાના તળ પણ ઊંચા આવી ગયા છે અને ખેડૂતો શિયાળુ પાક હાલ લઇ રહ્યા છે. ખેડૂત પણ હવે આધુનિક બન્યા છે અને ઓછી મહેનત, પાણીની બચત સાથે ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવી રહ્યા છે. સરકાર દ્વારા ખેડૂતોને ૮૦ % સબસીડી સાથે ટપક સિંચાઈ માટે જરૂરી નળીઓ આપવામાં આવી રહી છે. જેને ખેડૂતો પોતાના ખેતરોમાં પાથરી અને તેમાં જરૂરિયાત મુજબ પાણીના પ્રવાહ ને છોડે છે. ઉપરાંત ખેતરોમાં ઉંચાઈ વાળા કે નીચાણ વાળા વિસ્તારોમાં પણ એકસરખું અને પૂરતા પ્રમાણ પાણી મળી રહી છે, ઉપરાંત ખેતીની જમીન પણ સાવ પોચી રહે છે અને પાણી સીધું છોડના મૂળ સુધી પહોચે છે. ખેડૂતો શિયાળામાં હાલ ટપક સિંચાઈ પધ્ધતિ દ્વારા જુવાર-બાજરી-ઘઉં જેવા પાકોનું વાવેતર કરી તેની માવજત કરી રહ્યા છે. જયારે ખેડૂતો ને આ પધ્ધતિ દ્વારા ખેતીથી બમણી આવક થઇ રહી છે.

સરકાર દ્વારા ડ્રીપ પદ્ધતિમાં ત્રણ પ્રકારે સબસીડી આપવામાં આવી રહી છે. જેમાં નાના સીમાંત, મોટા સીમાંત અને એસસી-એસટી હેઠળ આવતા ખેડૂતો નો સમાવેશ થાય છે. જેમાં નાના સીમાંત ખેડૂતોને ૭૦% સબસીડી અથવા ૮૦,૦૦૦ રૂ. બંને પૈકી જે ઓછુ હોય તે, મોટા સીમાંત ખેડૂતોને ૭૦% સબસીડી અથવા ૭૦,૦૦૦ રૂ. માંથી જે ઓછુ હોય તે અને એસસી-એસટી  હેઠળ આવતા ખેડૂતોને ૮૫% સબસીડી અથવા ૧,૦૦,૦૦૦ રૂ માંથી જે ઓછું હોય તે મુજબ લાભ આપવામાં આવે છે. જયારે ખેડૂતે એકવાર આ સબસીડી નો લાભ લીધા બાદ ૭ વર્ષ સુધી ફરી સબસીડીનો આ બાબતે લાભ મળતો નથી પરંતુ કોઈ ખેડૂત અન્ય સર્વે નંબર પર ખેતી ધરાવતો હોય તેને ફરી ત્યાં મળવાપાત્ર છે.

ડ્રીપ પદ્ધતિમાં આપવામાં આવતી સબસીડીમાં કાપ મુકાતો હોવાનું તેમજ સબસીડીનો નિયમ મુજબનો લાભ ના મળતો હોવાની પણ ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે. બીજીબાજુ એકવાર ડ્રીપ લેનાર ખેડૂતને ફરી વખત સબસીડીવાળી ડ્રીપ લેવા માટે સાત વર્ષ સુધી રાહ જોવી પડે છે જેથી આવા નિયમોમાં પણ ફેરબદલ કરી જરૂર પડે ત્યારે ખેડૂતોને ડ્રીપ અંગેની સબસીડી મળી શકે તેવી માંગ કરી રહ્યા છે. ડ્રીપની લાઈનો ને ઉંદરો દ્વારા ભારે નુકશાન કરવામાં આવતું હોવાથી ખેડૂતો ને ફરી ખરીદી કરવા મજબુર બનવું પડે છે જે સરકારમાં બેઠેલા અધિકારીઓ જાણી શકતા નથી. નિયમ અનુસાર સબસીડી આપવામાં આવે અને ફરી જરૂર પડે ડ્રીપની લાઈનો ખેડૂતો મેળવી શકે તો ખેતીમાં ખેડૂતોને ખુબ મોટો ફાયદો થઇ શકે છે  તેમજ વધુમાં વધુ ખેડૂતો તેનો લાભ મેળવી ઓછા ખર્ચે વધુ નીપજ મેળવી શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news