દિવાળીના રાતે ઠેરઠેર આગના બનાવ બન્યા, અમદાવાદમાં 11 મકાનોમાં આગ લાગી

Diwali 2022 : ગુજરાતના મોટા શહેરોમાં દિવાળીની રાતે આગના બનાવો બન્યા. અમદાવાદના માણેકપુરની ચાલીના આવેલા 11 મકાનોમાં આગ લાગી હતી... સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં 53 આગના બનાવ બન્યા હતા 

દિવાળીના રાતે ઠેરઠેર આગના બનાવ બન્યા, અમદાવાદમાં 11 મકાનોમાં આગ લાગી

અમદાવાદ :દિવાળીની રાતે ગુજરાતભરમાં ખુશીનો માહોલ હતો. લોકો ઉત્સાહથી ફટકડા ફોડીને પરિવાર સાથે આનંદ કરતા જોવા મળ્યા હતા. પરંતુ બીજી તરફ, ફટાકડા ફોડવાનો આનંદે આગના બનાવને આમંત્રણ આપ્યુ હતું. ગુજરાતના અનેક શહેરોમાં દિવાળીની રાતે આગનો બનાવ બન્યો હતો. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર, પંચમહાલમાં આગના બનાવ બન્યા હતા. જોકે, સદનસીબે આ બનાવોમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જાણી લઈએ કે ક્યાં ક્યાં આગ લાગી હતી.

અમદાવાદમાં 11 મકાનોમાં આગ
અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો. માણેકપુરની ચાલીના આવેલા 11 મકાનોમાં આગ લાગી હતી. મકાનમાં આગ લાગ્યા બાદ 5 ગેસ સિલિન્ડર ફાટ્યા હતા. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગના બનાવ બાદ ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. 

સુરતમાં આગ
સુરતના વેસુ વિસ્તારમાં ઓફિરા બિલ્ડીંગના ત્રીજા માળે ગેલેરીના ભાગમાં આગ લાગી હતી. ફ્લેટમાં રહેતો પરિવાર બે દિવસ પહેલા જ દુબઈ અને થાઇલેન્ડ ગય હતો. ત્યારે મકાનમાં આગ લાગતે દોડધામ મચી હતી.  આગને પગલે ફાયર ટીમે ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. દિવાળીની રજા હોવાથી પરિવાર દુબઈ ગયો હતો. બંધ ફ્લેટ હોવાથી મોટી દુર્ઘટના બનતા અટકી હતી. જોકે, ફટાકડાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં 53 આગના બનાવ બન્યા હતા. આ તમામ બનાવ ફભટાકડાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. જોકે, તમામ ઘટનામાં જાણ જાનહાની થઈ નથી.

રાજકોટમાં ફટાકડાની દુકાનમાં આગ
રાજકોટના મોરબી રોડ પર ફટાકડાની દુકાનમાં આગ લાગી હતી. ફટાકડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

વડોદરામાં 3 ગોડાઉનમાં આગ
વડોદરામાં દિવાળીની રાત્રે એકસાથે 3 ગોડાઉનમાં આગના બનાવો બન્યા હતા. ગોત્રી ગાયત્રી સ્કૂલ પાસે 3 ગોડાઉનમાં આગ લાગી હતી. ફરાસખાના, પ્લાયવુડ અને કાંચના ગોડાઉનમાં આગ લાગતા સ્થાનિકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. પરંતું ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના બનાવમાં ત્રણેય ગોડાઉન બળીને ખાખ થયા હતા. તો બીજી તરફ, ખિસકોલી સર્કલ પાસે વુડાના મકાનમાં પણ આગ લાગી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. 

હાલોલમાં ટાયરના ગોડાઉનમાં આગ
હાલોલના પાવાગઢ રોડ પર આવેલ ટાયરના ગોડાઉનમાં ફટાકડાના તણખલાને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. મોડી રાત્રે આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રહેણાંક વિસ્તારની નજીક ગોડાઉન આવેલુ હોવાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. આગ લાગતા મોટું જોખમ ઉભું થયું હતું. ટાયરનું ગોડાઉન હોવાથી આગ ભીષણ અને વિકરાળ બની હતી. દૂર દૂર સુધી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા. હાલોલ ફાયર ફાયટરે ભારે જહેમત સાથે 4 કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. 

સુરેન્દ્રનગરમાં કારખાનામાં આગ
સુરેન્દ્રનગર ઉદ્યોગનગરમાં આવેલ એક કારખાનામાં ભયંકર આગ લાગી હતી. કારખાનામાં રહેલો તમામ સામાન અને મુદ્દામાલ બળીને ખાખ થયો હતો. જેને પગલે પાલિકા ટીમના 4 ફાયર ફાઇટર આગને બૂઝવવાની કામગીરીમાં લાગ્યા હતા. જોકે, થોડા સમય બાદ આગ કાબૂમાં આવી હતી. આગ કયા કારણોસર લાગી એ કારણ હજી જાણી શકાયુ નથી. જોકે, આગે ભયંકર સ્વરૂપ ધારણ કરતાં આજુબાજુના વિસ્તારોમાં અસર થવાની શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news