પંચમહાલના પૂર્વ MP પ્રભાતસિંહ ચૌહાણનું 83 વર્ષની વયે નિધન, ગુજકાતના રાજકારણમાં શોકનો માહોલ

પંચમહાલના બાહુબલી નેતા અને માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું 83 વર્ષની વયે નિધન થયું છે. પોતાની મુછો અને આગવી અદાથી ઓળખાતા પ્રભાતસિંહ ચૌહાણનું ટૂંકી માંદગી બાદ નિધન થતા રાજકીય ક્ષેત્રે મોટી ખોટ પડી છે.

પંચમહાલના પૂર્વ MP પ્રભાતસિંહ ચૌહાણનું 83 વર્ષની વયે નિધન, ગુજકાતના રાજકારણમાં શોકનો માહોલ

ઝી બ્યુરો/પંચમહાલ: પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન થયું છે. પંચમહાલના બાહુબલી નેતા અને માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું 83 વર્ષની વયે નિધન થયું છે. પોતાની મુછો અને આગવી અદાથી ઓળખાતા પ્રભાતસિંહ ચૌહાણનું ટૂંકી માંદગી બાદ નિધન થતા રાજકીય ક્ષેત્રે મોટી ખોટ પડી છે. પૂર્વ સાંસદ પ્રભાતસિંહના નિધનથી ગુજકાતના રાજકારણમાં શોકનો માહોલ છે. તમને જણાવી દઈએ કે પ્રભાતસિંહ ચૌહાણ સતત પાંચ ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. બે ટર્મ સાંસદ રહી ચૂક્યા છે. 

જાણો પ્રભાતસિંહ ચૌહાણની રાજકીય સફર
પ્રભાતસિંહ ચૌહાણ પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચેલા ખૂબ જ લોકપ્રિય નેતા હતા. પ્રભાતસિંહ ચૌહાણ 5 ટર્મ ધારાસભ્ય અને 2 ટર્મ સાંસદ રહ્યા હતા. પ્રભાતસિંહ ચૌહાણે શંકરસિંહ વાઘેલા જેવા કદાવર નેતાને હરાવી સાંસદ બન્યા હતા. તેમના નિધનથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી છે. વર્ષ 1974માં રાજકારણમાં એન્ટ્રી કરનાર પ્રભાતસિંહ ચૌહાણ પોતાની 49 વર્ષની રાજકીય કારકિર્દીમાં 3 વખત મંત્રી રહી ચૂક્યા છે. પ્રભાતસિંહ ચૌહાણ અંતિમ શ્વાસ સુધી શારીરિક રીતે સ્વસ્થ રહ્યા હતા. પ્રભાતસિંહ પોતે જ્યોતિષના જાણકાર અને સામાજિક બાબતો નિષ્ણાત હતા. 

પ્રભાતસિંહ ચૌહાણે 1980 અને 1985માં પ્રથમ બે વિધાનસભા ચૂંટણી કાલોલ બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પરથી લડી હતી અને બંને વખત તેઓએ જીત મેળવી હતી. 1990માં કૉંગ્રેસે ટિકિટ ન આપતાં તેઓ ભાજપમાં જોડાયા અને ભાજપમાંથી તેઓએ 1995, 1998 અને 2002માં ચૂંટણી લડીને જીત પણ મેળવી હતી. પ્રભાતસિંહ ચૌહાણ પોતાના કાર્યકાળ દરમિયાન મંત્રી પણ રહી ચૂક્યા છે. પ્રભાતસિંહ ગુજરાત સરકારમાં પર્યાવરણ, આદિવાસી વિકાસ અને યાત્રાધામ વિકાસ મંત્રાલયમાં મંત્રી તરીકેની સેવા આપી હતી.

ગત વર્ષે નવેમ્બરમાં પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા
2007માં પ્રભાતસિંહ ચૌહાણ કૉંગ્રેસના સી. કે. રાઉલજી સામે હારી ગયા હતા. આ સમયે તેમના પુત્ર પણ કાલોલથી અપક્ષ ઉમેવાદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતા. જો કે તેઓ પણ હારી ગયા હતા. તેઓ 2009 અને 2014માં લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા. પ્રભાતસિંહ ચૌહાણ પંચમહાલના સાંસદ પદે પણ 2 ટર્મ સુધી રહ્યાં હતાં. 2019માં ભાજપે લોકસભાની ટિકિટ ન આપતાં તેઓ નારાજ થયા હતા. ગત વર્ષ સુધી તેઓ રાજકીય જગતમાં સક્રિય હતા. ભાજપથી નારાજ થઈને તેઓ ગત વર્ષે નવેમ્બરમાં કોંગ્રેસમાં જોડાયા હતા.    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news