ડેડીયાપાડામાં ભાજપના નેતા ફૂટ્યા : ચૈતર વસાવાને કરી રહ્યાં છે મદદ, હવે મનસુખ વસાવાના વળતાં પાણી

FIR against Aap Gujarat MLA Chiatar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા સજ્જડ બંધ... ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાતા વેપારીએ સજ્જડ બંધ પાળ્યો... ફોરેસ્ટ વિભાગના કર્મચારી સાથેની માથાકૂટ બાદ નોંધાયો છે ગુનો... 
 

ડેડીયાપાડામાં ભાજપના નેતા ફૂટ્યા : ચૈતર વસાવાને કરી રહ્યાં છે મદદ, હવે મનસુખ વસાવાના વળતાં પાણી

Gujarat Politics નર્મદા : ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગુનો નોંધાતા રાજકારણ ગરમાયું છે. અત્યારથી જ ગુજરાતમાં લોકસભાની જંગ શરૂ થઈ ગઈ છે. MLA ચૈતર વસાવા સામે ફરિયાદ થતા તેમના સમર્થકોએ બંધનું એલાન આપ્યું હતું. ત્યારે આજે આખું ડેડીયાપાડા સજ્જડ બંધ જોવા મળ્યું છે. જે આડકતરી રીતે સાબિત કરે છે કે, ડેડીયાપાડાના લોકો ચૈતર વસાવાને સમર્થન આપી રહ્યાં છે. તો બીજી તરફ, ભાજપના દિગ્ગજ નેતાના વળતા પાણી જોવા મળ્યાં છે. મનસુખ વસાવાની અપીલ બાદ પણ વેપારીઓએ દુકાનો ખોલી નથી, અને બંધ પાળ્યો છે. જે બતાવે છે કે, મનસુખ વસાવાનો જાદુ ઓસરી રહ્યો છે. યુવા નેતા દિગ્ગજ નેતાને રાજકારણમાં હંફાવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી આક્ષેપ લગાવી ચૂક્યા છે કે, ચૈતર વસાવા લોકસભા લડવા માટે અમારા મજબૂત આગેવાન છે. AAP ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી લડાવવા ગંભીરતા વિચારણા કરી રહ્યું છે. ચૈતર વસાવા ચૂંટણી ના લડે એવા પ્રયત્નો ભાજપ કરી રહ્યું છે. વસાવાને યેનકેન દબાવી ભાજપમાં લઇ જવા પ્રયત્ન કરી રહ્યું છે. પરંતું અમે INDIA ગઠબંધન હેઠળ જ ગુજરાતમાં ચૂંટણી લડીશું. ખુદ ભાજપના નેતા મનસુખ વસાવાએ જ સ્વીકાર્યું કે, ચૈતર વસાવાને ભાજપમાં આવવાના અભરખા તો છે જ અને અમારા નેતાઓ તેને ભાજપમાં લેવા તૈયાર છે. 

ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા સજ્જડ બંધ
આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં શાંતિપૂર્ણ રીતે બંધ પાળવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના MLA  અને અન્ય ત્રણ લોકો વિરુદ્ધની એફઆરઆઈના વિરોધમાં બંધનું એલાન કરાયુ હતું. ત્યારે આદિવાસીઓ દ્વારા આપવામાં આવેલ બંધને કારણે હાલ ડેડીયાપાડામાં શાંતિપૂર્ણ બંધ જોવા મળ્યો. અનિચ્છિય ઘટના ન સર્જાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વેપારીઓ જોડાયા છે. વહેલી સવારથી જ ડેડીયાપાડા સજજડ બંધ છે. અનેક દુકાનો પર ખંભાતી તાળા લટકાવાયા છે. તો બીજી તરફ, ચૈતર વસાવાના સમર્થનમાં ડેડીયાપાડા બંધ રહેતા મનસુખ વસાવાએ દેડીયાપાડા ગામમાં ફરી વેપારીઓને દુકાનો ખોલવા કહ્યુ હતું. સાથે જ તેઓએ વેપારીઓને આશ્વાશન આપ્યું કે, દુકાનો ખુલ્લી રાખો પોલીસ તમારી સાથે છે. 

મનસુખ વસાવાના નિવેદનથી હડકંપ 
ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ડેડીયાપાડા બજાર સજ્જડ બંધ બાબતે નિવેદન આપ્યું કે, ભાજપના જ કાર્યકરોએ ચૈતર વસાવાને સમર્થન કર્યું છે. જેથી ડેડીયાપાડા સજ્જડ બંધ છે. ચૈતર વસાવાએ પેહલા પણ આવી રીતે અધિકારીઓ સાથે ઝઘડો કર્યો હતો. વન વિભાગ સાથેની ઘટનામાં જો ચૈતર વસાવા નિર્દોષ હોય તો સામે આવી જવું જોઈએ, એ ભાગતો કેમ ફરે છે. ચૈતર વસાવાને ભાજપમાં આવવાના અભરખા તો છે જ અને અમારા નેતાઓ તેને ભાજપમાં લેવા તૈયાર છે. આ ઉપરાંત મનસુખ વસાવાએ કહ્યું કે વેપારીઓ મને મળ્યા છે. વેપારીઓએ કહ્યું કે ભાજપના જ નેતાઓ ચૈતર વસાવા સાથે જોડાયેલા છે, એટલે બજાર સજ્જડ બન્ધ છે. 

ઈસુદાનના આક્ષેપ પર ભાજપનો જવાબ 
તો બીજી તરફ, ઈસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ લગાવ્યા છે કે, ભાજપ ચૈતર વસાવાને યેનકેન પ્રકારે પોતાની પાર્ટીમાં લેવા માંગે છે. તેથી ડરાવી ધમકવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના આ આક્ષેપો પર ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે, આપ પાર્ટી આમ આદમી પાર્ટી નથી, અતિ અપરાધિક પાર્ટી છે. ઇસુદાન ગઢવીએ આક્ષેપ લગાવવા પહેલાં વિચારવું જોઈએ કે એમને પણ દારૂ પીને પાર્ટી ઓફિસ પર હુમલો કર્યો હતો, જે એફએસએલમાં સાબિત થયું છે. તેમના મુખ્યમંત્રી પર ED એ કેસ દાખલ કર્યો છે, તેમના નાયબ મુખયપ્રધાન જેલમાં છે. તેમની અડધી કેબિનેટ જેલમાં છે, એ લોકો આક્ષેપ ના લગાવે. તો ચૈતર વસાવાના લોકસભા ચૂંટણી લડવાના મુદ્દે કહ્યું કે, પેલા બેઠક કરીને નક્કી કરે કે કોંગ્રેસ તેમની સાથે ચૂંટણી લડવા માંગે છે કે નહિ. 

ચૈતર વસાવા સામે ગુનો નોંધાયો 
ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત ચાર લોકો સામે ગુનો નોંધાયો છે. વનવિભાગની જમીન ખેડાણ બાબતે થયેલ બબાલ બાદ બીટ ગાર્ડ દ્વારા ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે. તેમજ ધારાસભ્યએ ફાયરિંગ પણ કર્યું હોવાનો દાવો કરાયો છે. આ કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન, ધારાસભ્યનો પી. એ. સહિત અન્ય એક એમ ત્રણની અટકાયત કરાઈ છે. તો બીજી તરફ, પોલીસે ધારાસભ્યની શોધખોળ ચક્રો ગતિમન કર્યા છે. ચૈતર વસાવાની પત્ની અને અંગત મદદનીશના ૧૦ દિવસના રિમાન્ડની પોલીસે માંગણી કરી હતી, પરંતુ ચૈતર વસાવાના વકીલોની દલીલના આધારે કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા હાલ ચૈતર વસાવાની પત્ની અને અન્ય બે પોલીસ કસ્ટડીમાં છે. તેઓના જામીન માટેની કાર્યવાહી કરવામાં આવશે. ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઈટાલિયાએ આ અંગે જણાવાયું કે, ધારાસભ્ય ચૈતર વસાવાની છબી ખરાબ કરવા ફરિયાદ કરાઈ છે. પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. નામદાર કોર્ટે વકીલોની દલીલના આધારે રિમાન્ડ નામંજૂર કર્યા છે. ચૈતર વસાવાના પત્ની, PA સહિત ત્રણ લોકો પોલીસ કસ્ટડીમાં છે. તેમના જામીન માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચૈતર વસાવાના પત્નીને પણ ખોટી રીતે હેરાન કરી રહ્યા છે. ચૈતર વસાવાના પત્નીએ કાયદા વિરુદ્ધ કોઈ કામ કર્યુ જ નથી. 

મહત્વનું છે કે વન વિભાગની જમીન ખેડાણ બાબતે માથાકૂટ થયા પછી બીટ ગાર્ડ દ્વારા ડેડિયાપાડાના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. આ દરમિયાન પોલીસ વડાએ દાવો કર્યો છેકે ધારાસભ્ય દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news