ગુજરાત સરકારને સરકારી શાળાઓમાં કોઈ રસ નથી, રાજ્યમાં 1,657 સરકારી શાળા માત્ર એક જ શિક્ષકથી ચાલે છે

Government Schools : ગુજરાતની 1 હજાર 657 સરકારી શાળામાં માત્ર એક જ શિક્ષક.... શહેરો કરતા ગામડાઓની શાળાઓમાં સ્થિતિ વધુ ખરાબ.... શિક્ષકોની ઘટના લીધે શિક્ષણ પર ગંભીર અસર...ગામડાઓની 1 હજાર 363 શાળામાં માત્ર એક જ શિક્ષક....2 હજારથી વધુ સરકારી શાળા હજુ ઈન્ટરનેટની સુવિધાથી વંચિત
 

ગુજરાત સરકારને સરકારી શાળાઓમાં કોઈ રસ નથી, રાજ્યમાં 1,657 સરકારી શાળા માત્ર એક જ શિક્ષકથી ચાલે છે

Gujarat Education અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાતમાં સરકારી શિક્ષણ વ્યવસ્થા વેન્ટિલેટર પર છે એવુ કહી શકાય. કારણ કે, એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. રાજ્યની 1,657 સરકારી શાળાઓ માત્ર એક જ શિક્ષકના હવાલે છે. ગુજરાત સરકાર પ્રવેશોત્સવના નામે કરોડોનો ધુમાડો કરે છે, પણ સરકારી શાળાઓમાં ભણાવનાર જ કોઈ નથી. શહેરો કરતા ગામડાઓની શાળાઓમાં સ્થિતિ વધુ ખરાબ છે. શિક્ષકોની ઘટના લીધે શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. હાલ સ્થિતિ એવી છે કે, શાળામાં ચાલતા અલગ અલગ વર્ગના વિદ્યાર્થીઓને એક જ શિક્ષક ભણાવે છે. તો 2 હજારથી વધુ સરકારી શાળા હજુ પણ ઈન્ટરનેટની સુવિધાથી વંચિત છે. 

ગામડાઓની સ્થિતિ વધુ વિકટ
આ જે આંકડો સામે આવ્યો છે, તેમાં ગામડાના શાળાની સ્થિતિ વધુ ખરાબ છે. કારણ કે, ગામડાઓની 1,363 શાળામાં માત્ર એક જ શિક્ષક છે. શહેર કરતા ગ્રામ્ય વિસ્તારોની સરકારી શાળાઓની હાલત વધારે કફોડી બની છે. 1,363 ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં એક જ શિક્ષક બાળકોને અભ્યાસ કરાવે છે. 

  • વર્ષ 2017-18માં 996 શાળામાં એક જ શિક્ષક
  • વર્ષ 2018-19માં 1,275 શાળામાં એક જ શિક્ષક
  • વર્ષ 2019-20માં 1,540 શાળામાં એક જ શિક્ષક
  • વર્ષ 2020-21માં 1,369 શાળામાં એક જ શિક્ષક
  • વર્ષ 2021-22માં 1,657 શાળામાં એક જ શિક્ષક

વીઘા જમીનો છે, પણ પરણવા કન્યા નથી : મધ્ય ગુજરાત પાટીદાર સમાજે લીધો મોટો નિર્ણય

વર્ષે 2021-22 ના સરકારી આંકડાઓ મુજબ રાજ્યની 1,657 સરકારી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક કાર્યરત છે. વર્ષ 2017 - 18 માં એક જ શિક્ષક હોય તેવી સરકારી શાળાઓની સંખ્યા 996 હતી, જે પાંચ વર્ષમાં વધીને લગભગ બમણી એટલે કે 1,657 થઈ ગઈ છે. ધોરણ 1 થી 8 ના વર્ગોમાં અભ્યાસ કરતા બાળકોને એક જ શિક્ષક એક સાથે કેવી રીતે અભ્યાસ કરાવી શકે તે સવાલ ઉઠ્યો છે. 

રાજ્યમાં અંદાજે 32 હજાર શિક્ષકોની સરકારી શાળાઓમાં ઘટ હોવાનું નગર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મનોજ પટેલે જણાવ્યું. તેમણે કહ્યું કે, શિક્ષકોની ઘટને પરિણામે વાલીઓ ખાનગી શાળાઓમાં મોંઘી ફી ભરી બાળકોને અભ્યાસ કરાવવા મજબૂર બની રહ્યાં છે. એક જ શિક્ષક બાળકોને ભણાવે, પરીક્ષા યોજે, પરિણામ તૈયાર કરે, ઓનલાઈન ડેટા અપલોડ કરે એ તમામ કામ શક્ય જ નથી બનતા. સરકાર પાસે આ તમામ માહિતીઓ પણ છે, સતત અમે રજુઆત કરી છે પણ કોઈ ઉકેલ નથી આવતો. શિક્ષકોની અછત અંગે સરકારની નિરસ્તાની સીધી અસર બાળકોના અભ્યાસ અને તેમના ભવિષ્ય પર થાય છે.

શાળાઓમાં શિક્ષકોની ઘટ અંગે વાત કરતા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, પ્રવાસી શિક્ષકના નામે શિક્ષણ વ્યવસ્થા ચાલી રહી છે. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે 8 હજાર શિક્ષકોની ઘટ છે. છેલ્લા 5 વર્ષથી પ્રિન્સિપલની પણ ભરતી થઈ નથી, અંદાજે 3 હજાર શિક્ષકોની ઘટ છે. આ તમામ આંકડાઓ વિશે શિક્ષણ વિભાગ અવગત છે, વારંવાર રજૂઆત છતાંય શિક્ષકોની ઘટ પુરી કરવા કોઈ આયોજન નથી થઈ રહ્યું. શાળાઓમાં શિક્ષકોની ઘટ હોય એટલે તેની સીધી અસર બાળકોના અભ્યાસ પર પડે, સારા બાળકો મજબૂરીમાં ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવા મજબૂર બને છે. શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરી થાય તો શિક્ષણ વ્યવસ્થામાં લાંબા સમયથી રહેલી સમસ્યાનો અંત આવે પણ હાલ જેટલી મોટી સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી છે એ ભરવા અંગે સરકાર તરફથી કોઈ આયોજન દેખાઈ રહ્યું નથી. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સરકારી શાળાઓની સંખ્યા પણ ગુજરાત કરતા વધારે છે, જેનો સ્પષ્ટ અર્થ છે કે રાજ્યના સતત વધતા ખાનગીકરણની સીધી અસર સરકારી શિક્ષણ વ્યવસ્થા પર દેખાઈ રહી છે. તો શું ગુજરાત સરકાર ખાનગીકરણને વધુ પ્રોત્સાહન આપી રહ્યું છે? તો શુ સરકાર શિક્ષણના ખાનગીકરણ પર વધુ ધ્યાન આપી રહી છે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news