30 વર્ષથી શાસન કરતી સરકાર પીવાનું ચોખ્ખુ પાણી પણ આપી શક્તી નથી, ઉંદર-બિલાડીની રમતમાં જનતા પીસાઈ

Ahmeabad Water Pollution : સ્માર્ટ સિટી અમદાવાદમાં એપ્રિલમાં પાણીજન્ય રોગચાળો વકર્યો... ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ, કમળો અને કોલેરાના સેંકડો કેસ નોંધાયા... કોર્પોરેશનના સત્તાધારી પક્ષ વચ્ચે ચાલતી ઉંદર-બિલાડીની રમતમાં 70 લાખથી વધુ શહેરીજનોને પીવાનુ પાણી શુધ્ધ મળી શક્તુ નથી

30 વર્ષથી શાસન કરતી સરકાર પીવાનું ચોખ્ખુ પાણી પણ આપી શક્તી નથી, ઉંદર-બિલાડીની રમતમાં જનતા પીસાઈ

Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : બાર હજાર કરોડથી વધુનુ વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો તથા વહીવટી તંત્ર અવારનવાર મેગાસિટી અને સ્માર્ટ સિટીની દુહાઈ આપે છે. કડવી વાસ્તવિકતા એ છે કે,એક વર્ષમાં શહેરના ૪૮ વોર્ડમાંથી પાણીના પોલ્યુશન અંગેની ૩૩૧૩૯ ફરિયાદ મ્યુનિસિપલ વહીવટી તંત્રને મળી છે. પાણીમાં પોલ્યુશન આવવા અંગેની સૌથી વધુ ફરિયાદ ખાડીયામાંથી ૨૨૫૫, સરસપુરમાંથી ૨૦૨૭ ઉપરાંત નવાવાડજમાંથી ૧૮૧૦ તથા દાણીલીમડા વોર્ડમાંથી ૧૨૭૭ ફરિયાદ એક વર્ષ દરમિયાન તંત્રને મળી હતી. લિવેબલ સિટી જેવા સ્લોગન અપાય છે. પરંતુ શહેરીજનોને એક ટાઈમ પીવાનુ શુધ્ધ પાણી પણ વહીવટીતંત્ર કે સત્તાધારી પક્ષ આપી શક્તું નથી. નોંધનીય છેકે દૂષિત પાણી કે તેનાથી થતા રોગચાળાને અટકાવવા મ્યુનિસિપલ કમિશ્નર એમ.થેન્નારસને 3 જુલાઇ 2023 ના રોજ એક મહત્વનો ઓફીસ ઓર્ડર કર્યો હતો. જેમાં એએમસીના ઇજનેર અને હેલ્થ વિભાગના વોર્ડથી લઇને ઝોન, તેમજ પ્રોજેક્ટ અને તેનાથી ઉપરના ઉચ્ચ અધિકારીઓની કામગીરી તથા જવાબદારી નક્કી કરાઇ છે. પરંતુ ગંભીર બાબત એ છે કે રોગચાળાના સતત વધી રહેલા આંકડા કમિશ્નરના આદેશનુ પાલન થાય છે કે નહી એની સામે જ પ્રશ્નાર્થ ઉઠાવી રહ્યા છે. 

  • સ્માર્ટસિટી અમદાવાદમાં ગંભીર રીતે વધી રહ્યો છે પાણીજન્ય રોગચાળો
  • રોગચાળાનુ સૌથી મોટુ કારણ લોકોને મળતુ પીવાનું પ્રદૂષિત પાણી
  • આંતરિક સંકલનના અભાવે કરાતા આડેધડ ખોદકામ દૂષિત પાણી માટેનું સૌથી મોટું કારણ
  • વિવિધ ઠેકાણે ભંગાણ અને પાણી-ડ્રેનેજ લાઈન મિક્સ થવાથી દુષિત પાણીની સમસ્યા ગંભીર બની 
  • સ્માર્ટસિટી, લીવેબલ સિટી સિટીના સ્લોગનો વચ્ચે શહેરની વર્તમાન સ્થિતી તંત્ર માટે ચિંતાનો વિષય
  • એએમસી ચોપડે નોંધાઇ રહી છે પ્રદૂષિત પાણીની સેંકડોની સંખ્યામાં ફરીયાદ
  • ઝાડાઊલટી , ટાઇફોઇડ , કમળો અને કોલેરાના સેંકડો કેસ નોંધાયા

અમદાવાદ હવે રહેવાલાયક શહેર નથી રહ્યું 
અમદાવાદમાં ચાલુ મહીને 20 એપ્રિલ સુધીમાં ઝાડા ઉલ્ટી 1045, કમળો 115, ટાઇફોઇડ 231 અને કોલેરાના 13 કેસ નોંધાયા છે. તો જાન્યુઆરીથી 20 એપ્રિલ સુધી ઝાડાઉલ્ટી 2633, કમળો 459, ટાઇફોઇડ 964, અને કોલેરાના 35 કેસ નોંધાયા છે. જાન્યુઆરીથી 20 એપ્રિલ સુધી શહેરમાં 14461 પાણીના સેમ્પલ લેવાયા, જેમાંથી 287 સેમ્પલ અનફિટ આવ્યા છે. લિવેબલ સિટીના દાવા વચ્ચે શહેરમાં પીવાના પાાણીના સેંકડો સેમ્પલ અનફીટ આવી રહ્યાં છે. મ્યુનિસિપલ કમિશ્નરની સતત તાકીદ છતા ઇજનેર-હેલ્થ વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે. દૂષિત પાણીની સમસ્યાને આગોતરી રીતે રોકવા મ્યુનિ.કમિશ્નરે એક મહત્વનો ઓર્ડર પણ કર્યો હતો. 3 જુલાઇ 2023 ના ઓફિસ ઓર્ડર મુજબ રોગચાળો અટકાવવા સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર નક્કી કરાઈ છે. જેમાં ઓફિસ ઓર્ડરમા દૂષિત પાણી મામલે ઇજનેર અને હેલ્થ વિભાગની કામગીરી મામલે ખાસ સ્પષ્ટતા કરાઈ છે. જાન્યુઆરીથી ડિસેમ્બર દરમ્યાન મહીના મુજબ ઇજનેર-હેલ્થ વિભાગે કરવાની થતી કામગીરીનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે. કર્મચારીથી લઇ ઉચ્ચ અધિકારી સુધીની જવાબદારી કમિશ્નરે નક્કી કરી હોવા છતા આદેશના અમલ મામલે કોઈ કંઈ કરતુ નથી. ઈજનેર ખાતામાં વોર્ડ, ઝોન તેમજ વોટર-ડ્રેનેજ પ્રોજેક્ટના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા નક્કી કરાઇ છે, તો હેલ્થ વિભાગમાં પણ વોર્ડથી લઇને ઝોન તેમજ ખાતાના વડા જવાબદારી નક્કી કરાઈ છે. 

દૂષિત પાણીની ફરિયાદો વધી 
અમદાવાદમાં પ્રદૂષિત પાણીની વધતી ફરિયાદોની સાથે પાણીજન્ય રોગના કેસમા પણ વધારો થઈ રહ્યો છે. ઝાડા ઉલટી, કમળો તથા ટાઈફોઈડની સાથે કોલેરાના પણ એપ્રિલ મહિનામા તેર કેસ નોંધાઈ ગયા છે. મ્યુનિસિપલ વહીવટી તંત્ર તરફથી દર વર્ષે પાણીમા પોલ્યુશન આવવા અંગે મળતી ફરિયાદનો ઉકેલ લાવવા લાખ્ખો રુપિયાનો ખર્ચ કરવામા આવે છે. આમ છતાં જે સ્પોટ ઉપરથી પાણીમા પોલ્યુશન આવવા અંગેની ફરિયાદ તંત્રને મળી હોય એ જ સ્થળે અમુક દિવસ બાદ ફરી પાણીમા પોલ્યુશન આવવા અંગેની ફરિયાદ તંત્રને મળતી હોય છે. કોટ વિસ્તાર સહિત મધ્યઝોનના છ વોર્ડમાં વર્ષો જુની પાણી અને ડ્રેનેજની લાઈન બદલવાની છેલ્લા બે વર્ષથી એકની એક વાત વહીવટીતંત્ર અને શાસકપક્ષ દ્વારા કરાઈ રહી છે. 

એક નજર કરીએ એએમસી ચોપડે દૂષિત પાણી મામલે નોંધાયેલી ઝોન મુજબની ફરીયાદના આંકડા પર....

ઝોન વાઈઝ કુલ ફરિયાદ

  • મધ્ય - ૮૪૦૪
  • પશ્ચિમ - ૫૬૪૭
  • ઉત્તર પશ્ચિમ - ૧૧૯૪
  • દક્ષિણ પશ્ચિમ - ૯૫૯
  • પૂર્વ - ૩૬૩૧
  • દક્ષિણ - ૫૯૭૪
  • ઉત્તર - ૭૩૩૦

અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદ

સત્તાધારી પક્ષ વચ્ચે ચાલતી ઉંદર-બિલાડીની રમત
થોડા દિવસ અગાઉ રુપિયા ૩૩૩ કરોડના ખર્ચે મધ્યઝોનના છ વોર્ડમાં પાણી અને ડ્રેનેજની લાઈન બદલવા ટેન્ડર કરાશે એવી જાહેરાત કરાઈ છે. વાસ્તવિકતા એ છે કે, આ જાહેરાત વર્ષ-૨૦૨૩-૨૪ના વાર્ષિક બજેટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. વહીવટીતંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધારી પક્ષ વચ્ચે ચાલતી ઉંદર-બિલાડીની રમતમાં સિત્તેર લાખથી વધુ શહેરીજનોને પીવાનુ પાણી શુધ્ધ મળી શક્તુ નથી એ હકીકત છે. દર વર્ષે પાણી તથા ડ્રેનેજ કામગીરી પાછળ કરવામા આવતા કરોડો રુપિયાના આયોજન કાગળ ઉપર કરવામા આવતા હોવાની બાબત શહેરીજનોમા ચર્ચાનો વિષય બની છે. મહત્વનુ છે કે શહેરમાં ગંભીર રીતે વકરેલા પાણીજન્ય રોગચાળાની સ્થિતી તેમજ તંત્રની કામગીરી સામે વિપક્ષ કોંગ્રેસે 22 એપ્રિલની માસિક સામાન્ય સભામાં પોસ્ટર બેનરો દર્શાવી ભારે હોબાળો કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news