રાજકારણ! હરખપદૂડા થઈ વિરોધ કરવા ગયા પણ મંત્રી જગદીશ પંચાલ ભોંઠા પડ્યા

Gujarat Vidhansabha : ભાજપ સરકારના મંત્રી જગદીશ પંચાલ ભાજપનો બચાવ કરવા ગયા હતા પણ ભરાઈ ગયા હતા. એ વિધાનસભામાં બેઠા બેઠા એવું બોલ્યા કે, ગઈ કાલે અગત્યની ચર્ચા વખતે કોંગ્રેસના નેતાઓ હાજર નહોતા, રાહુલ ગાંધી ગુજરાતમાં હોવાથી ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ સુરત પહોંચ્યા હતા

રાજકારણ! હરખપદૂડા થઈ વિરોધ કરવા ગયા પણ મંત્રી જગદીશ પંચાલ ભોંઠા પડ્યા

Gujarat Politics : ભાજપ હોય કે કોંગ્રેસ હાલમાં વિધાનસભામાં એકબીજાને પછાડવાની એક તક પણ છોડતા નથી. કોંગ્રેસ પાસે હાલમાં વિરોધપક્ષનું પદ નથી, પણ કોંગ્રેસ વિધાનસભામાં વિરોધપક્ષનું પદ નિભાવવાનો ટ્રાય કરે છે. હાલમાં રાહુલ ગાંધીની સદસ્યતા મામલે દેશભરમાં બબાલ છે. રાહુલની સદસ્યતા જતાં વાયનાડમાં ચૂંટણી યોજાઈ શકે છે. કોંગ્રેસ હાલમાં આ મામલામાં વધારે વ્યસ્ત દેખાઈ રહી છે. ગુજરાતની કોર્ટે ચુકાદો આપ્યો હોવાથી ગુજરાત કોંગ્રેસ આ મામલે સતત વિરોધ કરી રહી છે. હાલમાં સરકારના પણ અલગ અલગ કાર્યક્રમો ચાલી રહ્યાં છે. જેને પગલે ઘણા નેતાઓ હાલમાં વિધાનસભામાં ગેરહાજર રહે છે. જે પણ નેતાઓ ગેરહાજર રહે એ એડવાન્સમાં ધ્યાન દોરતા હોય છે. 

મહાઠગ કિરણ ફરી ગૃહમાં ચમક્યો
ગઈકાલે વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની માગણી પરની ચર્ચા ચાલી રહી હતી. ત્યારે ભાજપ સરકારના મોટા ભાગના મંત્રીઓ ગૃહમાં ગેરહાજર હતા, આ તબક્કે ગૃહમાં કોંગ્રેસમાંથી કોઈએ બેઠા બેઠા કોમેન્ટ કરી હતી કે, કિરણ પટેલે મિટિંગ બોલાવી છે એટલે કોઈ દેખાતાં નથી! આમ મહાઠગ કિરણ ફરી ગૃહમાં ચમક્યો હતો. હાલમાં કિરણ પટેલનો મામલો ગુજરાતમાં ચર્ચાસ્પદ છે. ભાજપના નેતાઓના પગતળે રેલો આવવાની સંભાવના વચ્ચે ભાજપે અમિત પંડ્યાને તો ઘરભેગા કરી દીધા છે અને સીએમઓમાં 2 દાયકાથી અડિંગો જમાવનાર હિતેશ પંડ્યાનું પણ રાજીનામું લઈ લેવાયું છે કે એમને આપી દીધું છે. હાલમાં વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે ગૃહમાં અધ્યક્ષનું ધ્યાન દોર્યું હતું કે, ગૃહમાં સરકારના મોટા ભાગના મંત્રી ગેરહાજર છે, તૂર્ત જ અધ્યક્ષે કહ્યું કે, આ અંગે મેં શાસક પક્ષના દંડક સાથે વાત કરી છે, રાજ્ય સરકારના અગત્યના કાર્યક્રમમાં મંત્રીઓ ગયા છે. 

જગદીશ પંચાલ કંઈ બોલી ન શક્યા
આ સમયે ભાજપ સરકારના મંત્રી જગદીશ પંચાલ ભાજપનો બચાવ કરવા ગયા હતા પણ ભરાઈ ગયા હતા. એ વિધાનસભામાં બેઠા બેઠા એવું બોલ્યા કે, ગઈ કાલે અગત્યની ચર્ચા વખતે કોંગ્રેસના નેતાઓ હાજર નહોતા, રાહુલ ગાંધી ગુજરાતમાં હોવાથી ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ સુરત પહોંચ્યા હતા. આ મામલાને પંચાલે ઉઠાવવાની કોશિષ કરી હતી. આ સમયે તૂર્ત જ વિપક્ષે વળતો પ્રહાર કરતાં પહેલેથી જાણ કરવામાં આવી હતી, આમ મંત્રી જગદીશ પંચાલ ગૃહમાં રીતસર ભોઠા પડ્યા હતા અને કંઈપણ બોલી શક્યા નહોતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news