અમૂલની અનોખી સિદ્ધિ: ૭૫માં વર્ષમાં હાંસલ કર્યું રૂ. ૬૧,૦૦૦ કરોડનું ટર્નઓવર, આગામી બે વર્ષમાં છે આ પ્લાન

અમે તાજા ઉત્પાદનો (દૂધ, દહીં અને છાશ)ના ક્ષેત્રે પણ વિસ્તરણ કરી રહ્યા છીએ. નજીકના ભવિષ્યમાં રૂ. ૫૦૦ કરોડના રોકાણ સાથે રાજકોટમાં નવો ડેરી પ્લાન્ટ બનશે અને આગામી બે વર્ષની અંદર દિલ્હી, વારાણસી, રોહતક અને કોલકાતા, બાગપતમાં પણ મોટા ડેરી પ્લાન્ટ્સ શરૂ થઈ જશે.

અમૂલની અનોખી સિદ્ધિ: ૭૫માં વર્ષમાં હાંસલ કર્યું રૂ. ૬૧,૦૦૦ કરોડનું ટર્નઓવર, આગામી બે વર્ષમાં છે આ પ્લાન

આણંદ: અમૂલ સહકારી ચળવળે તેની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી રૂ. ૬૧,૦૦૦ કરોડનું જૂથ ટર્નઓવર હાંસલ કરીને કરી છે. આ સિદ્ધિ સાથે જ અમૂલે ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી (FMCG) બ્રાન્ડ તરીકેનું પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું હતું. અમૂલ હાલમાં વિશ્વના ૮મા સૌથી મોટાં ડેરી સંગઠન તરીકેનું સ્થાન ધરાવે છે અને આ વર્ષે ૧૨ વર્ષના સંયુક્ત સરેરાશ વૃદ્ધિ દર કરતાં વધુ ઝડપી વૃદ્ધિ દર્શાવી વર્ષ ૨૦૨૧-૨૨ માં તેના જૂથના ટર્નઓવરમાં ગત વર્ષ (૨૦૨૦-૨૧) કરતાં રૂ. ૮૦૦૦ કરોડનો ઉમેરો કર્યો છે. આ વૃદ્ધિ કોરોના મહામારી બાદ આઉટ ઓફ હોમ વપરાશ અને રેસ્ટોરન્ટ્સ, કેટરિંગ, ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સેગમેન્ટની માંગમાં થયેલી ઝડપી રિકવરીને આભારી છે.

તારીખ ૧૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ યોજાયેલી જીસીએમએમએફ (અમૂલ ફેડરેશન)ની ૪૮મી વાર્ષિક સાધારણ સભા (અમૂલ બ્રાન્ડ હેઠળ ઉત્પાદનોની માલિકી ધરાવતી અને તેનું માર્કેટિંગ કરતી સંસ્થા) બાદ જીસીએમએમએફના ચેરમેન શામળભાઈ પટેલે માહિતી આપી હતી કે, અમૂલ ફેડરેશન દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં ગત વર્ષની સરખામણીમાં ટર્નઓવરમાં ૧૮.૪૬ ટકાની વૃદ્ધિ હાંસલ કરી છે, જે છેલ્લાં ૧૨ વર્ષના ટર્નઓવરમાં 16 ટકા સીએજીઆરથી પણ વધારે છે. 

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, "છેલ્લાં ૧૨ વર્ષમાં આપણી દૂધની ખરીદીમાં ૧૯૦ ટકાનો અસાધારણ વધારો થયો છે. આ નોંધપાત્ર વૃદ્ધિ, દૂધની ખરીદી માટે આપણા ખેડૂત-સભ્યોને ચૂકવાયેલી ઉંચી કિંમતને કારણે જોવાઈ છે, જેમાં આ ૧૨ વર્ષના સમયગાળા દરમિયાન ૧૪૩ ટકાનો વધારો થયો છે. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે દૂધના વ્યાજબી ભાવ મળવાને કારણે દૂધ ઉત્પાદન ક્ષેત્રે ખેડૂતોનો રસ જાળવી રાખવામાં મદદ થઈ છે અને ડેરી ઉદ્યોગમાંથી વધુ સારા વળતરથી તેમને આ ક્ષેત્રમાં રોકાણ વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. 

"અમારી વિસ્તરણ યોજનાઓ દૂધના સંપાદન ઉપર આધારિત છે. સામાન્ય રીતે દર વર્ષે અંદાજે રૂ. ૮૦૦ કરોડથી રૂ. ૧૦૦૦ કરોડના રોકાણ દ્વારા પ્રોસેસિંગ ક્ષમતાનું વિસ્તરણ થાય છે. અમે તાજા ઉત્પાદનો (દૂધ, દહીં અને છાશ)ના ક્ષેત્રે પણ વિસ્તરણ કરી રહ્યા છીએ. નજીકના ભવિષ્યમાં રૂ. ૫૦૦ કરોડના રોકાણ સાથે રાજકોટમાં નવો ડેરી પ્લાન્ટ બનશે અને આગામી બે વર્ષની અંદર દિલ્હી, વારાણસી, રોહતક અને કોલકાતા, બાગપતમાં પણ મોટા ડેરી પ્લાન્ટ્સ શરૂ થઈ જશે.

જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોઢીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, "અમારી સમર્પિત ટીમે કોવિડ વોરિયર્સ તરીકે કામ કર્યું હતું અને સૌથી પડકારજનક સમયમાં પણ સપ્લાય ચેઇનને અકબંધ રાખી હતી. આપણે મહામારીમાંથી આગળ વધી  રહ્યાં છીએ અને ગ્રાહકો બ્રાન્ડ અમૂલને વધુને વધુ પ્રમાણમાં અપનાવી અમને પુરસ્કાર આપી રહ્યા છે. આઉટ ઓફ હોમ વપરાશ પૂર્વવત સામાન્ય સ્થિતિમાં પાછો ફરવાની સાથે જ રેસ્ટોરાંમાં લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, મુસાફરી અને પ્રવાસ ફરીથી ધમધમતાં થયાં છે અને તેથી વિવિધ ફંક્શન્સ અને મેળાવડાં પણ યોજાઈ રહ્યાં છે. આ બધાં પરિબળોની સંયુક્ત અસરના પરિણામે મોટાભાગની ડેરી કેટેગરીમાં ઉંચી વૃદ્ધિ થઈ રહી છે. 

વર્ષ ૨૦૨૧ની ઉનાળાની પીક સીઝન કોવિડની બીજી લહેરથી પ્રભાવિત હોવા છતાં, અમારા દૂધ-આધારિત પીણાંના વ્યવસાયમાં મૂલ્યની દ્રષ્ટિએ ૩૬ ટકાનો વધારો થયો હતો. વર્ષ ૨૦૨૨માં ૫૦ટકાથી વધુની મૂલ્ય વૃદ્ધિ સાથે અમારા આઇસક્રીમ બિઝનેસમાં પણ નોંધપાત્ર પુનઃવૃદ્ધિ જોવા મળી હતી. મૂલ્યની દૃષ્ટિએ અમારી ફ્લેગશિપ બ્રાન્ડ અમૂલ બટરમાં ૧૭ ટકાનો વધારો થયો છે, જ્યારે ઘીનો અમારો કારોબાર ૧૯ ટકાથી વધુ વધ્યો છે. અમે અમૂલના લોંગ લાઇફ મિલ્કમાં ૧૭ ટકા મૂલ્ય વૃદ્ધિ, અમૂલ ક્રીમમાં ૪૪ ટકા મૂલ્ય વૃદ્ધિ, અમૂલ દહીંમાં ૨૪ ટકા મૂલ્ય વૃદ્ધિ, છાશમાં ૧૮ ટકા મૂલ્ય વૃદ્ધિ અને અમારી સૌથી મોટી ઉત્પાદન કેટેગરી અમૂલ તાજા દૂધમાં ૧૨ ટકાની નોંધપાત્ર મૂલ્ય વૃદ્ધિ હાંસલ કરી છે. 

નવા ઉત્પાદનનું સંશોધન અમારા ડીએનએમાં વણાયેલું છે. અમે વિવિધ બજારોમાં હાઈ પ્રોટીન લસ્સી, હાઈ પ્રોટીન છાશ, સ્પેશિયાલિટી ચીઝ, અમૂલ પીનટ સ્પ્રેડ, દૂધ આધારિત પરંપરાગત તાજી ભારતીય મીઠાઈ તથા અમૂલ બટર આધારિત બ્રેડ, કૂકી તથા બેકરી પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી જેવી કેટલીક નવી અને આકર્ષક પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. 

અમૂલ દ્વારા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી અને કુદરતી ખેતી અપનાવવા પ્રોત્સાહન પૂરું પાડવાની નવીનતમ પહેલ શરૂ કરેલ છે અને તે અંતર્ગત આવા ખેડૂતોને બજાર સાથેનું જોડાણ તથા ટેક્નિકલ સહાય આપવા “અમૂલ” બ્રાન્ડ હેઠળ ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદનોની શ્રેણી લોન્ચ કરવાની કરવામાં આવી છે. વધુમાં ટૂંક સમયમાં જ ઓર્ગનિક શાકભાજી અને ફળો પણ બજારમાં મૂકવામાં આવશે. ઓર્ગેનિક અને કુદરતી ખેતી સાથે જોડાયેલ તમામ ખેડૂતોને ભરોસાપાત્ર અને સસ્તા દરે તેમની ખેત પેદાશોની ચકાસણી કરી શકે તે માટે અમૂલ દ્વારા ખાસ પ્રકારની પરીક્ષણ લેબ ભારતભરમાં સ્થાપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news