INS વાલસુરાને મળ્યું અનોખુ સન્માન, એવું સન્માન કે જે આપવા માટે રાષ્ટ્રપતિ પોતે જામનગર આવ્યા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે INS વાલસુરાને પ્રેસિડેન્ટસ કલર એવોર્ડથી સન્માનિત કર્યા હતા. રાષ્ટ્રીય ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા અને સક્ષમ સમુદ્રી યોદ્ધાઓનું નિર્માણ કરવા માટે વાલસુરા દ્વારા સતત પ્રયાસોની રાષ્ટ્રપતિએ પ્રશંસા કરી હતી. નેવીના ૨૪ ટુકડીઓના ૧૫૦ જવાનો દ્વારા વિશેષ પરેડનું આયોજન કરી ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. રાષ્ટ્રપતિ તથા રાજ્યપાલના વરદ હસ્તે પોસ્ટલ કવર તેમજ INS વાલસુરાની કોમેમોરેટીવ બુકનું વિમોચન કરાયુ હતું. 

INS વાલસુરાને મળ્યું અનોખુ સન્માન, એવું સન્માન કે જે આપવા માટે રાષ્ટ્રપતિ પોતે જામનગર આવ્યા

જામનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે INS વાલસુરાને પ્રેસિડેન્ટસ કલર એવોર્ડથી સન્માનિત કર્યા હતા. રાષ્ટ્રીય ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા અને સક્ષમ સમુદ્રી યોદ્ધાઓનું નિર્માણ કરવા માટે વાલસુરા દ્વારા સતત પ્રયાસોની રાષ્ટ્રપતિએ પ્રશંસા કરી હતી. નેવીના ૨૪ ટુકડીઓના ૧૫૦ જવાનો દ્વારા વિશેષ પરેડનું આયોજન કરી ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. રાષ્ટ્રપતિ તથા રાજ્યપાલના વરદ હસ્તે પોસ્ટલ કવર તેમજ INS વાલસુરાની કોમેમોરેટીવ બુકનું વિમોચન કરાયુ હતું. 

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે INS વાલસુરાને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટસ કલર અવોર્ડ એનાયત કર્યો હતો. જેમાં યોજવામાં આવેલ પરેડમાં 'નિશાન અધિકારી' લેફ્ટનન્ટ અરુણ સિંહ સાંબ્યાલે યુનિટ વતી રાષ્ટ્રપતિના હસ્તે આ એવોર્ડ મેળવ્યો હતો. આ પ્રસંગે નેવીના ૧૫૦ જવાનો દ્વારા રાષ્ટ્રપતિ માટે ગાર્ડ ઓફ ઓનર પરેડ યોજી હતી અને નેવલ બેન્ડની ધૂન પર ગર્વથી કૂચ કરી હતી. શાંતિ અને યુદ્ધ બંનેમાં રાષ્ટ્રને આપેલી અસાધારણ સેવાની માન્યતામાં લશ્કરી એકમને રાષ્ટ્રપતિનું નિશાન આપવામાં આવે છે. ભારતીય નૌકાદળએ પ્રથમ ભારતીય સશસ્ત્ર દળ હતું, જેને અગાઉ ૨૭ મે ૧૯૫૧ના રોજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રેસિડેન્ટસ કલર એનાયત કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિએ પ્રસંગોચિત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની પ્રગતિ સાથે ગતિ જાળવી રાખવા ઉપરાંત વધુને વધુ જટિલ શસ્ત્રો અને ઈલેક્ટ્રોનિક સિસ્ટમ્સની લડાઈ યોગ્યતા જાળવવા અને સુનિશ્ચિત કરવા માટે ભારતીય નૌકાદળના અધિકારીઓ અને ખલાસીઓને જરૂરી કૌશલ્ય-સેટ્સથી સજ્જ કરવા માટે યુનિટ હંમેશા આગળ રહે છે, તેમજ આ એકમ તાલીમ માળખાના પ્રગતિશીલ વૃદ્ધિ દ્વારા સમકાલીન અને વિશિષ્ટ તકનીકો પર ગુણવત્તાયુક્ત તાલીમ આપે છે. 

તાજેતરના વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિગ ડેટા અને મીડિયમ વોલ્ટેજ લેબની સ્થાપના, અધિકારીઓ અને ખલાસીઓને તાલીમ આપવામાં સમકાલીન તકનીકી શ્રેષ્ઠતા માટે તેની શોધનું ઉદાહરણ અપાય છે. INS વાલસુરા મૈત્રીપૂર્ણ વિદેશી નૌકાદળ માટે પસંદગીના તાલીમ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. ૧૫ મિત્રદેશોના નૌકાદળના ૧૮૦૦ તાલીમાર્થીઓને આ અગ્રણી સંસ્થામાંથી અત્યાર સુધીમાં તાલીમ આપવામાં આવી છે. આ સીમાચિહ્ન ઘટના પર, ભારતના રાષ્ટ્રપતિએ INS વાલસુરાના અધિકારીઓ અને ખલાસીઓને દરિયાઈ સરહદોની સુરક્ષા માટે તેમની વ્યાવસાયિકતા અને સમર્પણની પ્રશંસા કરી હતી. તેમણે INS વાલસુરાના જવાનોને ભૂતકાળ અને વર્તમાન એમ બંને રીતે છેલ્લા ૭૯ વર્ષથી રાષ્ટ્રને આપેલી સરાહનીય સેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે બોલતા, તેમણે રાષ્ટ્રીય ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા અને સક્ષમ સમુદ્રી યોદ્ધાઓનું નિર્માણ કરવા માટે વાલસુરા દ્વારા કરાતા સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી.

હિંદ મહાસાગર ક્ષેત્રમાં ‘પ્રિફર્ડ સિક્યુરિટી પાર્ટનર’ તરીકે ભારતીય નૌકાદળની મહત્વપૂર્ણ ભૂમિકા પર વધુ પ્રકાશ પાડ્યો અને નૌસૈનિકોને રાષ્ટ્ર માટે તેમની નિઃસ્વાર્થ અને સમર્પિત સેવા ચાલુ રાખવા અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિએ INS વાલસુરાના તમામ કર્મચારીઓને ઝડપથી બદલાતી ટેક્નોલોજીના યુગમાં વધુ ઊંચાઈ સુધી પહોંચવા માટે પ્રોત્સાહિત કરી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગની યાદમાં રાષ્ટ્રપતિ દ્વારા એક ખાસ પોસ્ટલ કવર બહાર પાડવામાં આવ્યું હતું તેમજ વાલસુરાના ઇતિહાસની ગૌરવપૂર્ણ ગાથા રજૂ કરતી મેમોરેટીવ બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

આઇ.એન.એસ વાલસુરાનો ઇતિહાસ...

  • INS વાલસુરાનો વારસો ૧૯૪૨નો છે, જ્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રોયલ ઈન્ડિયન નેવીની ફાયરપાવરને વધારવા માટે ઓપરેશનલ આવશ્યકતાએ અદ્યતન ટોરપિડો તાલીમ સુવિધાનું નિર્માણ ફરજિયાત કર્યું હતું. * ભારત પ્રજાસત્તાક બન્યા પછી, ૦૧ જુલાઇ ૧૯૫૦ના રોજ એકમનું નામ બદલીને INS વાલસુરા રાખવામાં આવ્યું. ત્યારબાદ, INS વાલસુરાએ પોતાને વ્યાવસાયિક ટેકનિકલ તાલીમના રૂપમાં રૂપાંતરિત કર્યું છે અને ભારતીય નૌકાદળની આધુનિકીકરણ યોજનાઓ સાથે તાલમેલ જાળવી રાખવા માટે ઝડપથી વિકસિત થઇ રહ્યું છે. આઇ.એન.એસ. વાલસુરા ખાતે ૨૬૨ થી વધુ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે અને ૭૫૦ થી વધુ અધિકારીઓ અને ૪૨૦૦ ખલાસીઓની વાર્ષિક તાલીમ અહીં યોજાઇ છે
  • સૌરાષ્ટ્ર વિસ્તારમાં સામાજિક પહોંચના કાર્યક્રમોના ભાગરૂપે, INS વાલસુરાએ સંખ્યાબંધ કલ્યાણકારી પગલાં શરૂ કર્યા છે. ૨૦૦૧ ના વિનાશક ભૂકંપ પછી નેવી મોડા ગામનું પુનઃનિર્માણ એ સમુદાય સેવા તરફનો પ્રશંસનીય પ્રયાસ હતો. સપ્ટેમ્બર ૨૦૨૧ માં, જામનગરમાં પૂર દરમિયાન, INS વાલસુરાની ટીમો દ્વારા વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત ૪૦૦ થી વધુ નાગરિકોને બચાવી લેવામાં આવ્યા હતા.
  • આઈએનએસ વાલસુરાના ઈતિહાસમાં પ્રેસિડેન્ટસ કલરનો એવોર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. નૌકાદળની પરંપરાઓ અનુસાર INS વાલસુરા ખાતે તમામ ઔપચારિક પરેડમાં રાષ્ટ્રપતિ નિશાનનો એવોર્ડ ગર્વથી દર્શાવવામાં આવશે. આ પ્રતીક ભારતીય નૌકાદળના અધિકારીઓ તથા જવાનોને પ્રોત્સાહિત કરશે.
  • આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રત, ભારતીય નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર.હરીકુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર વાઇસ એડમીરલ એમ.એમ.હમ્પીહોલી, કોમોડોર ગૌતમ મારવાહ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય આર.સી.ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, રેન્જ આઇ.જી. સંદિપ સિંઘ, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી તથા અન્ય મહાનુભાવો તથા સેનાની ત્રણેય પાંખના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news