એવું શું થયું હતું જયંતી ભાનુશાળી અને મનીષા વચ્ચે કે, જેથી તેને 5 કરોડ ચૂકવવાની વાત આવી હતી

મનીષા અને જયંતિ ભાનુશાળી  વચ્ચેના સંબંધોની વાત કરીએ તો થોડા વર્ષ પહેલા જયંતિ ભાનુશાળીના પુત્રનું અકસ્માતમાં નિધન થયું હતું. તે સમયે જયંતિ ભાનુશાળી અને મનીષા ગોસ્વામી એકબીજાની નજીક આવ્યા હતા. સૂત્રોનું માનીએ તો સમય જતાં બન્ને વચ્ચે પ્રેમ થયો અને શારીરિક સંબંધ પણ બંધાયા

એવું શું થયું હતું જયંતી ભાનુશાળી અને મનીષા વચ્ચે કે, જેથી તેને 5 કરોડ ચૂકવવાની વાત આવી હતી

ગુજરાત : અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યામાં હાલ શંકાની સોઈ એક જ વ્યક્તિ તરફ છે, અને તે છે મનીષા ગોસ્વામી. મૂળ વાપીની આ મહિલા અને જયંતી ભાનુશાળી વચ્ચે વર્ષો પહેલા પ્રણયફાગ રચાયો હતો. બાદમાં મામલો વણસતા બંને અલગ થયા હતા. હાલ જયંતી ભાનુશાળીની હત્યાના સમયથી જ મનીષા ગોસ્વામી ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. હાલ પણ મનીષા ક્યાં છે તે તેના પતિ અને માતા-પિતાને પણ ખબર નથી. ત્યારે મનીષા અને જયંતી ભાનુશાળી વચ્ચે કેવો પ્રણય રચાયો હતો તે જાણી લો...

કોણ છે આ મનિષા?
જયંતિ ભાનુશાળીની હત્યા પાછળ મનીષા ગોસ્વામીનો હાથ હોવાની પણ શંકા વ્યક્ત થઈ રહી છે. કારણ કે મનીષાએ જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ પણ કરી હતી. જો કે મામલો ઘણો ચગ્યા બાદ અંતે સમાધાન થયું હતું અને ફરિયાદ પાછી ખેંચવામાં આવી હતી. જો કે હવે જયંતિ ભાનુશાળીની હત્યા થતાં મનીષા સામે શંકા ઉપજી રહી છે. અત્યંત વિવાદાસ્પદ ઈતિહાસ ધરાવતી મનીષા ગોસ્વામી મૂળ વાપીની વતની છે. આમ તો તે પરીણિત છે અને બે સંતાનોની માતા છે. જો કે ત્યાર બાદ તેના છૂટાછેડા થયા હોવાની વાત પણ જાણવા મળી છે. પરંતુ તેના પતિએ કરેલા ખુલાસા મુજબ તેઓના છૂટાછેડા થયા જ નથી. 

જયંતિ ભાનુશાળી સાથે શું હતાં સંબંધો?
મનીષા અને જયંતિ ભાનુશાળી  વચ્ચેના સંબંધોની વાત કરીએ તો થોડા વર્ષ પહેલા જયંતિ ભાનુશાળીના પુત્રનું અકસ્માતમાં નિધન થયું હતું. તે સમયે જયંતિ ભાનુશાળી અને મનીષા ગોસ્વામી એકબીજાની નજીક આવ્યા હતા. સૂત્રોનું માનીએ તો સમય જતાં બન્ને વચ્ચે પ્રેમ થયો અને શારીરિક સંબંધ પણ બંધાયા. આ જ સમયગાળા દરમિયાન જયંતિ ભાનુશાળી કચ્છના અબડાસા બેઠક પરથી ધારાસભ્ય બન્યાં. ધારાસભ્ય બનતા જયંતી ભાનુશાળીએ મનીષા ગોસ્વામીનો રાજકીય ઉપયોગ કરવાનું શરૂ કર્યુ. મનીષા ગોસ્વામીએ પ્લાનિંગ મુજબ ઘણાં વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને આ સંબંધોની સીડી બનાવી બન્નેએ ઘણાં લોકોને બ્લેકમેઈલ કરી પૈસા પડાવ્યા. તેમજ રાજકીય હેતુ સિદ્ધ કર્યા. પણ સમય જતાં જયંતિ ભાનુશાળી અને મનિષા ગોસ્વામી વચ્ચે નાના મોટા ઝઘડા થવા લાગ્યા. એક તરફ જયંતિ ભાનુશાળી ધારાસભ્ય ન રહેતા તેમનો પ્રભાવ ઓછો થયો, અને બીજી તરફ મનિષા ગોસ્વામી સાથે તેમનો ઝઘડો ઉગ્ર બન્યો.

5 કરોડમાં થયું હતું સમાધાન!
2016 સુધીમાં તો બન્ને વચ્ચે બોલવાના સંબંધો પણ ન રહ્યા. પણ મનજી બાપુ નામના ભાનુશાળી સમાજના એક અગ્રણીએ 2017માં બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. સમાધાન પેટે જયંતિ ભાનુશાળીએ મનીષાને 5 કરોડ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. પણ જયંતિ ભાનુશાળીએ મનીષાને 5 કરોડ ન આપતા મનિષા ઉશ્કેરાઈ હતી. આ ઉપરાંત ખંડણીના એક મામલામાં 2018માં બન્ને વચ્ચે ફરી માથાકૂટ થઈ હતી. જયંતી ભાનુશાળી સાથે સંબંધો બગડ્યા બાદ મનીષા ગોસ્વામીએ અંડરવર્લ્ડ સાથે સંબંધ ધરાવતા પુણેના સુરજિત ભાઉ નામના વ્યક્તિ સાથે દોસ્તી કરી હતી. આ બન્ને ભેગા મળીને છોકરીઓનો ઉપયોગ કરી લોકોને બ્લેકમેઈલ કરી પૈસા પડાવતા હતા.

મનીષા કચ્છથી મુંબઈ ગઈ હતી
જયંતી ભાનુશાળીની પૂર્વ પ્રેમિકા કહેવાતી મનીષા ગોસ્વામીનો તબેલો જયંતી ભાનુશાળીના ફાર્મહાઉસને અડીને આવેલો છે. જયંતી ભાનુશાળી અને મનીષા ગોસ્વામી વચ્ચે સંબંધો વણસ્યા બાદ આ તબેલાની માલિકી મેળવવા માટે પણ જયંતી ભાનુશાળીની હત્યા કરાઈ હોઈ તેવું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ મામલે વધુ એક માહિતી સામે આવી છે કે, શું મનીષા ગોસ્વામી જયંતીની હત્યાના પહેલા અને હત્યાના આગામી દિવસે કચ્છમાં હતી? ચર્ચા છે કે, 1થી 3 જાન્યુઆરી વચ્ચે કચ્છના આર્થિક કૌભાંડોમાં વગોવાયેલા કૌભાંડી નેતા સાથે તે પ્લેનથી મુંબઈ ગઈ હતી અને મુંબઈના કેટલાક લોકો સાથે તેણે મીટિંગ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, વાપીની મનીષા ગોસ્વામી એ 6 લોકોમાંની એક છે, જેમની સામે જયંતી ભાનુશાળીની હત્યાના આરોપની ફરિયાદ કરાઈ છે. કહેવાય છે કે, મનીષા મુંબઈથી પરત કચ્છ ફરી હતી. અહીંથી તે વાપી પરત ફરી હતી. 

હાલમાં જ કહ્યું હતું કે કોઈ પણ ભોગે જયંતિ ભાનુશાળીને ખતમ કરીને રહેશે
સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે 3 જાન્યુઆરીના દિવસે મુંબઈ એરપોર્ટ પર મનિષા ગોસ્વામી એક વ્યક્તિને મળી હતી..આ મુલાકાત વખતે જ મનિષા ગોસ્વામીએ તે વ્યક્તિને ગુસ્સામાં કહ્યું હતું કે તે કોઈ પણ ભોગે જયંતિ ભાનુશાળીને ખતમ કરીને જ રહેશે.  આ સિવાય પણ મનીષા સામે પણ કેટલાક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. 2018માં મનિષા ગોસ્વામીએ જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનીલને બદનામ કરવાની ધમકી આપી 10 કરોડની ખંડણી માગી હતી. આ મુદ્દે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં મનિષા સામે ફરિયાદ પણ દાખલ થઈ હતી. જો કે આ કેસમાં પણ બન્ને પક્ષો વચ્ચે સમાધાન થતાં ફરિયાદ પાછી ખેંચાઈ હતી. તો અન્ય એક કેસમાં જયંતી ભાનુશાળીના ભાભી સરસ્વતીબહેનની બોગસ પાવર ઓફ એટર્ની બનાવી તેમની જમીન બારોબાર વેંચવા મુદ્દે પણ મનિષા સામે ફરિયાદ થઈ હતી.

આમ વિવાદિત ઈતિહાસ ધરાવતી અને ભાનુશાળીને ખતમ કરવાની વાત કરનાર મનીષાએ શું ખરેખર પોતાની ઈચ્છા પૂરી કરી? અને ભાનુશાળીની હત્યા કરી તે સવાલ છે....પોલીસે મનીષા અને તેના સાગરિત સુરજીત ભાઉ સામે પણ આ કેસમાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news