દેશમાં ક્યાંય ન ઉજવાતુ તેવુ નવુ વર્ષ કચ્છીઓ એક સમયે ઉજવતા, રાજાના આયુષ્ય માટે તોપોની સલામી અપાતી

Kutch New Year : દેશના ખુણેખુણે વિસ્તરેલા કચ્છીઓ માટે આ દિવસ ખુબ મોટો છે. ‘કચ્છી નયે વરે - અષાઢી બીજ જો મેડે કચ્છી ભા ભેણે કે લખ લખ વધાઇયુ...’ સાથે કચ્છીઓ એકબીજાને આ દિવસે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે

દેશમાં ક્યાંય ન ઉજવાતુ તેવુ નવુ વર્ષ કચ્છીઓ એક સમયે ઉજવતા, રાજાના આયુષ્ય માટે તોપોની સલામી અપાતી

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, પાંજો કચ્છડો બારે માસ... અષાઢી બીજ એટલે કે કચ્છીઓનું નવું વર્ષ. આ દિવસની કચ્છીઓ ઉત્સાહપૂર્વક રાહ જોતા હોય છે અને ધામધુમપૂર્વક ઉજવણી કરતાં હોય છે. કચ્છી નવા વર્ષ તરીકે, દેશના ખુણેખુણે વિસ્તરેલા કચ્છીઓ માટે આ દિવસ ખુબ મોટો છે. ‘કચ્છી નયે વરે - અષાઢી બીજ જો મેડે કચ્છી ભા ભેણે કે લખ લખ વધાઇયુ...’ સાથે કચ્છીઓ એકબીજાને આ દિવસે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે.

કચ્છમાં અષાઢી બીજને નવા વર્ષ તરીકે લોકો ઉજવે છે. એક સમય હતો જ્યારે કચ્છમાં રાજાશાહી સમયમાં તેની ધામધુમપુર્વકની ઉજવણી થતી, વિશાળ યાત્રા નિકળતી, રાજાને મળવા માટે દરબાર ભરાતો, જે ઉજવણી આજે ફીકી પડી છે. પરંતુ આજે પણ ઘણા કચ્છીઓ દેશ-વિદેશથી પણ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અષાઢીબીજની નવા વર્ષ તરીકે ઉજવણી કરે છે.

કચ્છી નવા વર્ષનો ઇતિહાસ
જામ રાયધણજીના કચ્છ વિજય સાથે જોડાયેલા ઇતિહાસની પુંજાજી ચાવડાના શાસન સમયે જામ રાયધણજીએ તેમની પાસેથી શાસન લીધું અને ગુરૂ ગોરખનાથે તેમને અષાઢી બીજના દિવસે ગુરૂમંત્ર આપ્યો હોવાથી આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું. જોકે તેની કથામાં પણ વરસાદની વાત છે. જોકે તે માત્ર ઇતિહાસ છે. પરંતુ ત્યાર બાદના રાજવીઓ ભુજની સ્થાપના સમયથી આ દિવસને નવા વર્ષ તરીકે મનાવે છે. આ તો ઇતિહાસના પાનાં પર લખાયેલુ છે. તો કેટલાક ઇતિહાસકારો આ નવા વર્ષની ઉજવણીની પરંપરાને તેનાથી પણ જુની ગણાવે છે. દેશવટો ભોગવી કચ્છના કુશળ શાસક લાખો ફુલાણી દેશવટો ભોગવી કચ્છ પરત ફર્યા અને તે દિવસે કચ્છમાં મનભરીને વરસાદ વરસ્યો અને તરસ્યા કચ્છના લોકો આંનદિત થઇ આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ. તેના પણ ઇતિહાસમાં કેટલાક દાખલા છે. 

અષાઢી બીજ, કચ્છી નવા વર્ષ અંગેના ઇતિહાસ સાથે પાણીનો મહિમા પણ જોડાયેલો છે. દરિયાખેડુઓ આ દિવસો દરમ્યાન દરિયો ખેડી પાછા આવતા હોવાથી પણ તેમના પરિવારમાં ખુશી છવાય છે. તેથી પણ અષાઢીબીજને નવા વર્ષ તરીકે ઉજવવા પાછળનું કારણ ગણાય છે. તો ખેડુતો આ દિવસો દરમ્યાન ખેતીના મંડાણ કરતા હોવાથી પણ આ દિવસ વિશેષ બને છે.

કચ્છ ઈતિહાસ પરિષદના પ્રમુખ સાવજસિંહ જાડેજા કહે છે કે, દાયકા પહેલા આ દિવસ અનોખી રીતે ઉજવાતો નવા વર્ષના નવા સિક્કા બહાર પડાતા, નવું પંચાગ બહાર પડતું, અને વિવિધ આકર્ષણો સાથે શહેરમાં નગરયાત્રા નીકળતી, દરબાર ભરાતો અને સૌ નગરજનો તેમાં ભાગ લેતા અને રાજા માટે ભેટ સોગાદો લઈ આવતા હતા. જોકે રાજાશાહી સમયની ઉજવણી આજે બંધ છે. તેમાંય અષાઢી બીજના દિવસે જો વરસાદ આવે તો આ અષાઢી બીજની ઉજવણી વિશેષ બને છે. 

રાજાશાહી વખતમાં અહીં ટંકશાળ હતી અને જે 562 રજવાડા પૈકી 13 રજવાડાંઓને જ સિક્કા બહાર પાડવાની મંજૂરી હતી. ટંકશાળ એટલે કે જ્યાં ચલણી નાણું છાપવામાં આવે એ જગ્યા. 300 વર્ષ અગાઉ દરબાર ગઢની બહાર જુની ટંકશાળ હતી. ત્યાં કચ્છ રાજનું તત્કાલીન ચલણી નાણું છપાતું અને દર અષાઢી બીજે અહીં નવા સિક્કા બહાર પાડવામાં આવતા હતા. એક સદી પહેલાં મહાદેવ નાકા પાસે નવી ટંકશાળ શરૂ કરવામાં આવી હતી. પછી ત્યાં મામલતદાર ઓફિસ અને તિજોરી કચેરી બેસતી. આજે અહી બોર્ડર વિંગની કચેરી અને પેન્શનર્સ એસોસિયેશનનની ઓફિસ આવેલી છે.

ઉપરાંત કચ્છના રાજવી જ્યારે દિલ્હી જતાં ત્યારે તેમને 17 તોપોની સલામી આપવામાં આવી હતી. અને દરરોજ રાજાનું આયુષ્ય જળવાઈ રહે તે માટે કરીને બપોરે 12 વાગ્યે 1 તોપ છોડવામાં આવતું હતું. આ ઉપરાંત દર અષાઢી વર્ષે એટલે કે કચ્છી નવા વર્ષે ભુજના હૃદય સમાં હમીરસર તળાવના કિનારેથી રાજા માટે 17 તોપની સલામી આપવામાં આવતી હતી.

કચ્છ હોય કે કચ્છ બહાર જ્યાં જ્યાં કચ્છીઓ વસે છે ત્યાં આ દિવસે ચોક્કસ નવા વર્ષની ઉજવણી કરે છે. ભલે પહેલા જેવી ઉજવણી આજે થતી નથી. પરંતુ વર્ષો પહેલા શરૂ થયેલી આ ઉજવણી આજે પણ થાય ચોક્કસ છે. આજે પણ લોકો એક બીજાને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે અને પ્રાર્થના કરે છે કે કચ્છડો બારે માસ રહે અને કુદરતની મહેર કચ્છ પર કાયમ રહે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news