મહા વાવાઝોડાની દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર દેખાવાની શરૂઆત થઈ

તારીખ 6 થી 7 નવેમ્બર સુધીમાં ગુજરાત (Gujarat) દરિયા કિનારે વાવાઝોડું ટકરાઈ શકે છે. ત્યારે હાલ વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મહા વાવાઝોડાનું વ્યાપક અસર જોવા મળી રહી છે. 

મહા વાવાઝોડાની દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર દેખાવાની શરૂઆત થઈ

અમદાવાદ :મહા વાવાઝોડું (maha cyclone) હવે સીવીયર સાયકલોન બની રહ્યું છે. હવામાન વિભાગે હવે આગાહી કરી છે કે, તારીખ 6 થી 7 નવેમ્બર સુધીમાં ગુજરાત (Gujarat) દરિયા કિનારે વાવાઝોડું ટકરાઈ શકે છે. ત્યારે હાલ વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મહા વાવાઝોડાનું વ્યાપક અસર જોવા મળી રહી છે. 6 તારીખે સવારે પવનની ગતિ 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેમજ 7 તારીખે 70 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 7 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ (Rain) ની આગાહી પણ કરવામાં આવી છે.

હાલ મહા વાવાઝોડુ વેરાવળથી લગભગ 500 કિલોમીટર દૂર છે. 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આગામી 24 કલાકમાં ઉત્તર પશ્વિમ તરફ આગળ મહા વાવાઝોડું વધશે. રાજ્યના અનેક જિલ્લામાં હજુ પણ વરસાદ પડવાનો બંધ નથી થઈ રહ્યો. શુક્રવારે અનેક પંથકમાં કમોસમી વરસાદ પડ્યો. બનાસકાંઠાના થરાદ પંથકમાં માવઠું થયું. તો દેવભૂમિ દ્વારકાના હડમતિયા ગામે પણ માવઠુ થયું. નવસારીના વાંસદા પંથકમાં, વલસાડ શહેરમાં કમોસમી વરસાદ પડ્યો. રાજ્યમાં લીલા દુષ્કાળ પછી પણ વરસાદ બંધ ન થતાં ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જવા પામ્યો છે. ખેડૂતોના પાક માટે સરકાર ટોલ ફ્રી નંબર જેવા અનેક પગલા ભરી રહી છે. પણ કોઈ ખાસ લાભ હજુ સુધી ખેડૂતોને નથી થયો. આ બધાની વચ્ચે મહારાષ્ટ્રના મુંબઈમાં પણ માવઠુ થયું.

વલસાડ જિલ્લામાં ચોમાસા જેવો માહોલ
મહા વાવાઝોડાને કારણે અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. છેલ્લા 12 કલાકમાં વલસાડ જિલ્લાના 6 માંથી 5 તાલુકાઓમાં રાત આખી વરસાદ પડ્યો છે. આશરે તમામ તાલુકાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. માત્ર કપરાડામાં વરસાદ નહિવત વરસાદ હતો. 

  • વલસાડ -  1 ઈંચ
  • ઉમરગામ - 0.78 ઈંચ 
  • ધરમપુર -  1.18 ઈંચ 
  • પારડી - 1.14 ઈંચ 
  • વાપી -  0.90 ઈંચ 

ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો, કોડીનાર માર્કેટ યાર્ડમાં હરાજી માટેની 8000 ગુણ મગફળી પલળી

ગીર સોમનાથમાં મહા વાવાઝોડાની અસર શરૂ....
ગીર સોમનાથનાં ઉના તેમજ કોડીનારમાં ભારે વરસાદ નોંધાયો છે. કોડીનારમાં 30 મિનિટમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થતા લોકો આ કમોસમી વરસાદથી ગભરાયા હતા. અચાનક ભારે પવન અને વરસાદ શરૂ થતા લોકો વરસાદથી બચવા દોડ્યા હતા. બીજી તરફ, કોડીનારમાં ભારે વરસાદને કારણે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી પલળી ગઈ છે. આશરે 8 હજાર ગુણી મગફળી હરાજી માટે આવી હતી તે ભારે વરસાદનાં કારણે પલળતા ખેડૂતોને ફટકો પડ્યો છે. 

સુરત જિલ્લાના વાતાવરણમાં ફરી વાર પલટો...
સુરતના અનેક તાલુકામાં ધીમીધારે  વરસાદ શરૂ થયો છે. તો ઓલપાડ તાલુકામાં કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદને કારણે ડાંગર પકવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

અમરેલીમાં ઠેરઠેર વરસાદ
અમરેલીના રાજુલા-જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં પવન સાથે વરસાદનું આગમન થયું છે. સરોવડા, કડીયાળી, બલાણામાં વરસાદ નોંધાયો છે. તો જાફરાબાદ બંદર પર શિયાળબેટ, પીપાવાવ પોર્ટ સહિત વિસ્તારમા દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, મહા વાવાઝોડા પહેલાં સાવચેતીની તમામ તૈયારીઓ પૂર્ણ કરવા રાહત કમિશનરે દરેક જિલ્લાના કલેક્ટરોને પત્ર લખ્યો છે. 6 અને 7 નવેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરાઈ છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news