સાસરિયાને વહુ નહિ પણ નોકરાણી જોઈએ છે... તેવું ચિઠ્ઠીમાં લખી પરિણીતાએ આપઘાત કર્યો

Ahmedabad News : દહેજના ખપ્પરમાં વધુ એક ગુજરાતી વહુની જિંદગી હોમાઈ... પોલીસ પરિવારમાં પરણેલી યુવતીએ લગ્નના બે વર્ષમાં જ આત્મહત્યા કરીને મોત વ્હાલુ કર્યું
 

સાસરિયાને વહુ નહિ પણ નોકરાણી જોઈએ છે... તેવું ચિઠ્ઠીમાં લખી પરિણીતાએ આપઘાત કર્યો

Married Woman Suicide ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદ ના રામોલમાં એક પરિણીતાએ સાસરીયાના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે. સમગ્ર બાબતને લઈને મૃતક મહિલા પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવતા પોલીસે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે. પરિણીતાએ આપઘાત કરતા પહેલા દુખભરી કહાની લખી હતી. જે પુરાવા આધારે તમામ ગુનામાં સામેલ લોકોની સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. 

અમદાવાદના રામોલ વિસ્તારમાં પરણિતાને તેના સાસરિયાઓએ દહેજને લઈને માનસિક ત્રાસ આપતા આપઘાત કર્યો છે. લગ્નના 4 માસ બાદથી જ પતિએ તેને માર મારવાનું શરૂ કર્યું હતું. બીજા લગ્ન બાદ પણ પતિનો ત્રાસ મળતા પરિણીતાએ મોત વ્હાલુ કર્યું. સાથે જ પરિણીતાએ અંતિમ ચિઠ્ઠી પણ લખી હતી. તેમણે કહ્યુ હતું કે, સાસરિયાને વહુ નહિ પણ નોકરાણી જોઈએ છે. 

આ પણ વાંચો : 

પરિણીતાના આપઘાત બાદ રામોલ પોલીસે પરિણીતાના પતિ અને સસરાની ધરપકડ કરી છે. આરોપીઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. રામોલના ઉમિયા નગરમાં રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ ચૌહાણ સાથે આપઘાત કરનાર યુવતીના લગ્ન 2020 માં થયા હતા, લગ્નના 4 મહિના બાદથી તેના પતિ, સાસુ સસરા દ્વારા અવારનવાર તેની સાથે ઝઘડો કરીને દહેજની માંગ કરવામાં આવતી હતી અને તેને શારીરિક માનસિક ત્રાસ પણ અપાતો. ‘તારો ભાઈ આર્મીમાં નોકરી કરતો હોય અને છતાં પણ દહેજમાં કંઈ ન આપ્યું...’ હોય તેવા મહેણા મારીને તેના પતિ સાસુ અને સસરા તેને અવારનવાર હેરાન કરતા હતા. જેના કારણે 30 ડિસેમ્બર 2022 ના રોજ રાત્રિના સમયે પરિણીતાએ પોતાના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

જોકે આત્મહત્યા પહેલા પરિણીતાએ સ્યૂસાઈડ નોટ લખી હતી. જે પોલીસને મળી આવી હતી. જેમાં તેણે સાસરિયા ઓના ત્રાસથી કંટાળી આ પગલું ભરતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સ્યૂસાઈડ નોટના આઘારે રામોલ પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રસિંહ ચૌહાણ, ગુલાબસિંહ ચૌહાણ અને સુશીલાબેન ચૌહાણ સામે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધાતા પોલીસે યુવતીના પતિ અને સસરાની ધરપકડ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ ગુનામાં ઝડપાયેલા પરિણીતાના સસરા ગુલાબસિંહ ચૌહાણ ગુજરાત પોલીસમાં પીઆઇ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હાલ નિવૃત્ત જીવન ગુજારે છે. જ્યારે તેનો પતિ ટોલટેક્સમાં નોકરી કરે છે. હાલ તો પોલીસે બંને આરોપીઓની ધરપકડ બાદની વધુ તપાસ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news