બે દિવસ બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું કહે છે આગાહી?

24 અને 25 જૂને વલસાડ, નવસારી, ડાંગ, વાપી, સુરત અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

બે દિવસ બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું કહે છે આગાહી?

અતુલ તિવારી/રાજકોટ: રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની શક્યતા નહિવત છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચેક દિવસથી દૈનિક છુટાછવાયા સાથે સારો વરસાદ પડી રહ્યો છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરાઈ છે. બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 

24 અને 25 જૂને વલસાડ, નવસારી, ડાંગ, વાપી, સુરત અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત આવતા 28 કલાક દરમ્યાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, અને દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પુરી શકયતા છે. 24મી જૂને થંડરસ્ટ્રોમ સાથે વરસાદની સંભાવના છે. 

બીજી બાજુ અમદાવાદમાં વરસાદની વાત કરીએ તો એ માટે હજુ રાહ જોવી પડશે. એટલે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આગામી 27 જૂન બાદ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં 22 જૂન સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે સામાન્ય ઝાપટાં પડી શકે છે. 

ગાંધીનગર ખાતે રાહત કમિશ્નરશ્રીના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં IMDના અધિકારી શ્રી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે વલસાડ જિલ્લામાં આગામી તા.24મી જૂનથી 26મી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. રાહત કમિશનરશ્રીએ નવસારી જિલ્લામાં એક તથા અન્ય જિલ્લાઓમાંએન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ.ની ટીમોને વરસાદની આગાહી મુજબ મૂકવા સૂચન કર્યું હતું.

કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલું વર્ષે અંદાજીત 10,24,422 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૨૦/૦૬/૨૦૨૨ સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 6,89,472 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૧૧.૮૭ ટકા વધુ વાવેતર થયું છે.

સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં 1,49,972 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 44.89 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 1,88,241 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના ૩૩.૭૨ ટકા છે. હાલમાં રાજ્યમાં બે જળાશયો વોર્નિંગ પર છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતની દમણગંગા નદીમાં વરસાદના કારણે પાણીની સારી આવક થઇ છે.

આ બેઠકમાં એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ., ઉર્જા, માર્ગ અને મકાન, આરોગ્ય, વન વિભાગ, સી.ડબલ્યુ.સી, ઇસરો સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અઘિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી વિગતો પૂરી પાડી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news