જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર દરમિયાન વધુ બે સિંહના મોત, અત્યાર સુધી કુલ 23ના મોત

જસાધાર એનિમલ કેર સેન્ટરમાં હજુ પણ 20થી વધુ સિંહની સારવાર ચાલી રહી છે.
 

  જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર દરમિયાન વધુ બે સિંહના મોત, અત્યાર સુધી કુલ 23ના મોત

જૂનાગઢઃ સિંહના મોતનો સિલસિલો હજુ પણ યથાવત છે. વધુ બે સિંહના મોત થયા છે. જેથી સિંહનો મૃત્યુંઆંક 23 પર પહોંચી ગયો છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર દરમિયાન વધુ બે સિંહ મોતને ભેટ્યા છે. તો જસાધાર એનિમલ કેર સેન્ટરમાં હજુ પણ 20થી વધુ સિંહની સારવાર ચાલી રહી છે. એક બાદ એક સિંહના મોતથી વન વિભાગ અને સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં દિલ્હીના બે નિષ્ણાંતોની નજર હેઠળ સિંહોની સારવાર ચાલી રહી છે. 

છેલ્લા 20 દિવસમાં 21 સિંહના મોત
વન વિભાગ દ્વારા સિંહના મોતનો ગઈકાલે આંકડો જાહેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી કુલ 21 સિંહના મોત થયા છે. 12 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુદી 11 સિંહના મોત થયા હતા. તો 20 થી 30 સપ્ટેમ્બર વચ્ચે 10 સિંહના મોત થયા છે. આજે વધુ બે સિંહના મોત થતા કુલ આંકડો 23 પર પહોંચી ગયો છે.  

સરકાર જાગી
સિંહના ટપોટપ મોત બાદ વનવિભાગ અને સરકાર સફાળા જાગ્યા છે. હવે વધુ સિંહના મોત ન થાય તે માટે વનવિભાગ કામે લાગી ગયું છે. આ માટે વનવિભાગે કહ્યું કે, દેશભરમાંથી ઝૂના નિષ્ણાંતોને જૂનાગઢ બોલાવવામાં આવશે. અમેરિકાથી સિંહ માટે રસી મંગાવવામાં આવશે. અમરેલી જિલ્લાના દલખાણીયા અને જસાધાર રેન્જમાંથી 21 સિંહના મોત થયા છે. 

7 સિંહના મૃત જંગલમાંથી મળી આવ્યા હતા તેમ વનવિભાગે જણાવ્યું છે. સિંહોના જુદા જુદા સેમ્પલો લઈ NIV પુના મોકલવામાં આવ્યા છે. તેમાંથી ચાર સિંહોના શરીરમાં વાયરસનું પ્રમાણ જોવા મળ્યું હતું. તા. 24 સપ્ટેમ્બરથી 550 કર્મીઓની 140 જેટલી ટીમે 600 જેટલા સિંહોનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં
9 સિંહ બીમાર જોવા મળ્યા હતા. તો 5 ને રેસ્ક્યૂ કરી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ચાર સિંહને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news