મૃતક સ્વજનોના અસ્થિ અહીંના પાણીમાં પધરાવવાથી મળે છે મોક્ષ, પાંડવોનું દૂર થયું હતું કલંક

પાંડવોએ ભાદરવા મહિનામાં અમાસની રાતે આ મંદિરની સ્થાપના કરાવી હતી. તેથી દર વર્ષે આ મંદિર ખાતે ભાદરવી મેળો યોજાય છે.

મૃતક સ્વજનોના અસ્થિ અહીંના પાણીમાં પધરાવવાથી મળે છે મોક્ષ, પાંડવોનું દૂર થયું હતું કલંક

નીતિન ગોહેલ/ ભાવનગર: સૌરાષ્ટ્રમાં ભરાતાં મેળાઓમાં ભાવનગરના કોળિયાકનો મેળો જાણીતો છે. જે ભાદરવી અમાસના દિવસે ભરાય છે. આ પરંપરાગત મેળો છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર મહાભારતના યુદ્ધ પછી પાંડવો અહીં આવ્યા હતા. કોળિયાક ગામના સમુદ્ર કિનારે દેવાધિદેવ મહાદેવની સ્થાપના કરી હતી. તેમજ વેદોક્ત વિધિથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરી જેનાથી યુદ્ધમાં કરેલ હિંસાના પરિણામે લાગેલા કલંકથી તેમને મુક્તિ મળતાં તેઓ નિષ્કલંક થયા. અને તેથી જ આ મહાદેવ નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે.

આ શિવલીંગ સમુદ્રમાં આવેલ હોવાથી માત્ર ઓટના સમયે જ તેના દર્શન થઇ શકે છે. દર વર્ષે શ્રાવણ વદ ચૌદશે તથા ભાદરવી અમાસને દિવસે અહીં પરંપરાગત રીતે જ લોકમેળો યોજાય છે. અહીં માનવ મહેરામણ સ્વંયભૂ રીતે ઉમટી પડે છે. આ દિવસે નિષ્કલંક મહાદેવજીના મંદિરને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. અને મંદિરના મુહૂર્ત પ્રમાણે લાખોની સંખ્યામાં ભાવિકો અને શ્રધ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન કરે છે અને ત્યારબાદ ભગવાનના દર્શન તથા પૂજા-અર્ચના કરે છે. આ સ્થળ ભાવનગર શહેરથી આશરે ૩૧ કિલોમીટર અંતરે આવેલું છે.
Nishkalank-Mahadev-Bhavnagar

ભગવાને આપી હતી કાળો ધ્વજ અને કાળી ગાય 
લોકવાયકા અનુસાર, મહાભારતનું યુદ્ધ જ્યારે સમાપ્ત થયું હતું ત્યારે પાંડવો દુખી થઈ ગયા હતા. પોતા ના જ સગાંઓને મારી નાખવાનું તેમણે પાપ કર્યું હતું એટલે એમનો આત્મા એમને ડંખતો હતો. તેથી તેમણે ભગવાન શ્રીકૃષ્ણને મળવાનું નક્કી કર્યું અને તેમની આ સમસ્યાનો ઉકેલ લાવવાની તેમને વિનંતી કરી હતી. 

ભગવાને પાંડવોને એક કાળો ધ્વજ અને એક કાળી ગાય આપ્યા હતા અને એમને કહ્યું હતું કે તમારે આ ધ્વજ સાથે રાખીને ગાયની પાછળ જવું. જ્યારે આ ગાય અને ધ્વજ સફેદ થઈ જશે ત્યારે તમને એમ સમજવાનું કે માફી મળી ગઈ. વધુમાં, ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોને એવી સલાહ પણ આપી હતી કે તેમણે ભગવાન શંકરનું પ્રાયશ્ચિત તપ કરવું. પાંડવો ત્યારબાદ ગાયની પાછળ પાછળ, પેલો કાળ ધ્વજ લઈને ગયા હતા. જ્યારે તેઓ ગુજરાતનાં ભાવનગર નજીકના કોળિયાક ગામના સમુદ્ર કિનારે પર પહોંચ્યા ત્યારે ગાય અને ધ્વજનો રંગ બદલાઈને સફેદ થઈ ગયો હતો. એમણે ત્યાં ભગવાન શંકરની પૂજા-અર્ચના કરી હતી. 

દર વર્ષે ભરાઇ છે મેળો
ભગવાન શંકર પાંડવોની ભક્તિથી પ્રભાવિત થઈ ગયા હતા અને દરેક ભાઈ માટે લિંગના સ્વરૂપમાં ઉપસ્થિત થયા હતા. પાંચ સ્વયંભૂ લિંગ એ પાંચેય ભાઈઓની સામે આવી ગયા હતા અને આમ, તેને નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. નિષ્કલંકનો અર્થ એટલે સ્વચ્છ, શુધ્ધ અને નિરપરાધ. એવું કહેવાય છે કે પાંડવોએ ભાદરવા મહિનામાં અમાસની રાતે આ મંદિરની સ્થાપના કરાવી હતી. તેથી દર વર્ષે આ મંદિર ખાતે ભાદરવી મેળો યોજાય છે.
Nishkalank-Mahadev-Bhav

ભાવનગરથી 31 કિમી દૂર આવેલું છે આ સ્થળ
આ મંદિર-સ્થળ ભાવનગર શહેરથી આશરે ૩૧ કિલોમીટરના અંતરે આવેલું છે. કોળિયાક ગામથી આશરે ૩ કિ.મી. પૂર્વ તરફ સમુદ્રમાં સંકરની મૂર્તિનું સ્થાપન કરાયું છે. આ સ્થળે સુદ અથવા વદ એકમે સવાર ના ૯ થી બપોરના ૧૨ સુધી ત્યાં જઈ શકાય છે. પરંતુ ભરતીના પાણી હેઠળ આ સ્થળ ડૂબમાં જાય તે પહેલાં બપોરે ૧ વાગ્યા સુધીમાં પાછા ફરવાનું હોય છે. ત્યાં દરેક લિંગને એક નંદી છે. ત્યાં એક તળાવ પણ છે જ્યાં ભક્તો ભગવાન શંકરની પૂજા કરતાં પહેલા પોતાના હાથ-પગ ધુવે છે. 

અસ્થિ આ પાણીમાં પધરાવવાથી મળે છે મોક્ષ
આ મંદિરની એક ખાસ રસપ્રદ વાત એ છે કે તે દરિયામાં વચ્ચે આવેલું છે અને દરિયાનાં મોજાં પણ તેની આસપાસ ઉછળતાં રહેતા હોય છે. ભકતો મંદિરમાં જવા માટે દરિયામાં ઓટ આવે એની રાહ જોતા હોય છે. દરિયા નું પાણી અમુક કલાકો પૂરતું જ ઉતરતું હોય છે. એ જ સમયમાં ભક્તો નિષ્કલંક મહાદેવ મંદિરમાં જઈને દર્શન કરી આવે છે. સાંજે સાત વાગ્યા પછી ભરતી શરૂ થતાં મંદિર ફરી પાણીમાં ડૂબી જાય છે. લોકોનું માનવું છે કે મૃત્યુ પામતા સ્વજનોના અસ્થિ આ પાણીમાં પધરાવવાથી મૃતક વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
Nishkalank-Mahadev-koliyak
 
માત્ર મંદિરના મહોત્સવના દિવસે જ બદલવામાં આવે છે ધ્વજ
બીજી એક રસપ્રદ વાત એ છે કે મંદિર પર ચડાવાયેલો ધ્વજ ૩૬૪ દિવસ સુધી યથાવત્ રહે છે અને માત્ર મંદિરના મહોત્સવના દિવસે જ તેને બદલવામાં આવે છે. તે ધ્વજ ક્યારેય નીચે પડતો નથી કે સમુદ્રનાં મોજાંમાં ખેંચાઈ પણ જતો નથી. આ મંદિરની મુલાકાત ખરેખર લેવા જેવી છે. નિષ્‍કલંક મહાદેવ નજીક કોળીયાકના દરીયામાં સમુદ્રજળમાં ખતરનાક વમળો વાળો પ્રવાહ વહે છે અને તે આ પ્રકારનો વિશ્વનો બીજા ક્રમનો ભયંકર કરંટ હોવાનું સમુદ્ર વિજ્ઞાનના અભ્‍યાસીઓનું માનવું છે. ૨૫ વર્ષ પુર્વે તા.૧૩ સપ્‍ટેમ્‍બર-૧૯૭૭ની ભાદરવી અમાસના દિવસે સ્‍થાન વિધીમાં અધીરા થયેલા ૧૫ ભાવિકો તણાઇ જવાની દુર્ઘટના પછી તંત્ર દ્વારા જડબેસલાક બંદોબસ્‍ત ગોઠવવામાં આવે છે અને નિયત સમયે, નિયત સ્‍થળે જ ભાવિકોને સ્‍નાન માટે મંજુરી આપી દુર્ઘટના નિવારવાના પ્રસંશનીય પ્રયત્‍ન થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news