ગુજરાતમાં 2023 માં નવા નિયમથી જ ધોરણ-1મા એડમિશન મળશે, ફરી એકવાર શાળાઓને ટકોર કરાઈ

ગુજરાતમાં 2023 માં નવા નિયમથી જ ધોરણ-1મા એડમિશન મળશે, ફરી એકવાર શાળાઓને ટકોર કરાઈ
  • પહેલી જૂને જે બાળકોનાં 6 વર્ષ પૂર્ણ ના થયાં હોય તેમને પહેલા ધોરણમાં એડમિશન નહીં આપી શકાય
  • સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ DEOને પત્ર લખીને પ્રાથમિક શાળાઓમાં જાણ કરવાની આપી સૂચના 

અતુલ તિવારી/અમદાવાદ :હવેથી ગુજરાતમાં બાળકોના એડમિશનનો નિયમ બદલાયો છે. નવા વર્ષથી શરૂ થતા શૈક્ષણિક વર્ષથી જે બાળકો 6 વર્ષનાં ના થયાં હોય એવાં બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ નહિ મળે. રાજ્યના સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને તમામ પ્રાથમિક શાળાઓને આ નિયમની જાણકારી આપવાની સૂચના આપી છે. 1 જૂને જે બાળકને છઠ્ઠું વર્ષ પૂર્ણ ના થયું હોય તે બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ નહીં અપાય. સંયુક્ત શિક્ષણ નિયામકના પરિપત્ર મુજબ બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને ધોરણ 1માં પ્રવેશની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ 2023-24 માં પહેલી જૂનના રોજ 6 વર્ષની ઉંમર પૂર્ણ થવી જરૂરી રહેશે. બાળકની ઉંમર 1 જૂનના રોજ 6 વર્ષ કરતા ઓછી હશે તો પ્રવેશ આપી શકાશે નહિ.

હાલ ખાનગી શાળાઓમાં એડમિશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. અનેક વિદ્યાર્થીઓ એવા છે જેઓ ધોરણ-1 માં પ્રવેશ કરે છે. ત્યારે ગુજરાતમાં ધોરણ 1 ના એડમિશન માટે નિયમ બદલાઈ ગયો છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામા આવી છે કે, 2023 થી ધોરણ-1મા એડમિશનનો નિયમો બદલાયો છે. જે મુજબ 1 જૂને 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ ધોરણ-1માં પ્રવેશ મળશે. ત્યારે હવે એડમિશન લેવા જનારા વાલીઓ આ બાબતનું ખાસ ધ્યાન રાખે. 

બાળકમાં પ્રવેશ મામલે અનેક કિસ્સાઓમાં વાલીઓ અને શાળાઓ વચ્ચે ઘર્ષણ થતું હોય છે, ઘર્ષણ ના થાય, કોઈ વાલીએ ફરી પોતાના બાળકને કોઈ એક જ વર્ગમાં અભ્યાસ ના કરાવવો પડે એ માટે શિક્ષણ વિભાગે ફરી એકવાર તમામ જિલ્લાશિક્ષણાધિકારીને નોટિફિકેશન અંગે તમામ શાળાઓને માહિતગાર કરવા જાણ કરી છે

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગત 31 જાન્યુઆરી 2020ના રોજ નોટિફિકેશન જાહેર કરી RTI રૂલ્સ અંતર્ગત નવા નિયમનો ખુલાસો કર્યો હતો. જેમાં જણાવાયુ હતુ કે, નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ-1મા બાળકને ત્યારે જ પ્રવેશ મળશે જ્યારે તેણે 6 વર્ષ પૂરા કર્યા હોય. નહિ તો બાળક પ્રવેશને પાત્ર ગણાશે નહિ. 

ઉલ્લેખનીય છે કે, ખાનગી સ્કૂલ દ્વારા આડેધડ નિયમોનું ઉલ્લંઘન કરીને બાળકોન પ્રવેશ અપાતો હતો. જેને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ગત ડિસેમ્બર મહિનામા જ શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટતા કરી હતી. એટલે કે ચાલુ વર્ષ 2023 માં ધોરણ-1મા એ જ બાળકને પ્રવેશ મળશે જેના 6 વર્ષ પૂરા થયા હોય. એટલે કે, શૈક્ષણિક વર્ષ 2020-21, 2021-22, અને 2022-23 દરમિયાન કોઈ બાળક તે શૈક્ષણિક વર્ષમાં 1 જૂનના રોજ 5 વર્ષ પૂર્ણ કરેલા હશે તો તેમને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news