કોરોનાને અટકાવવાની જગ્યાએ સરકાર 'તોડોના'ની રાજનીતિમાં વ્યસ્તઃ કોંગ્રેસનો આરોપ

કોંગ્રેસે કહ્યું કે, કોરોના, કમળ અને કેકેની ત્રીપુટીએ ધમણની કમાણીથી ધારાસભ્યોની ખરીદી કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે કાળા ધનની કમાણીથી માથા ખરીદી શકાય છે. કોંગ્રેસે કહ્યું કે, કોરોના સંકટમાં સરકાર નિષ્ફળ રહી છે. 

કોરોનાને અટકાવવાની જગ્યાએ સરકાર 'તોડોના'ની રાજનીતિમાં વ્યસ્તઃ કોંગ્રેસનો આરોપ

ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી નજીક આવતા ફરી તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આજે કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા રાજ્યના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. કોંગ્રેસ પાર્ટીના બે ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામા આપ્યા અને તેનો સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો છે. તો સામા પક્ષે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસના એક પ્રતિનિધિમંડળે કેટલાક મુદ્દા બાબતે રજૂઆત કરવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત પણ કરી હતી. 

રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ કોંગ્રેસે કહ્યું કે, કોરોના, કમળ અને કેકેની ત્રીપુટીએ ધમણની કમાણીથી ધારાસભ્યોની ખરીદી કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે કાળા ધનની કમાણીથી માથા ખરીદી શકાય છે. કોંગ્રેસે કહ્યું કે, કોરોના સંકટમાં સરકાર નિષ્ફળ રહી છે. કોરોના મહામારીમાં કોંગ્રેસ પોતાની લડાઈ લડી રહ્યું હતું. કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને કાર્યકર્તા સામાન્ય વ્યક્તિ સાથે ઊભા હતા. કોંગ્રેસે કહ્યું કે, અમે સામાન્ય માણસની વેદનાને વાચા આપવાનું કામ કર્યું છે. 100 કરતા વધુ પત્રો સરકારને લખવામાં આવ્યા પણ તેને કચરા પેટીમાં નાખી દેવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતાઓએ કહ્યુ કે, કોરોના, કમળ અને કેકેની ત્રિપુટીઓએ ધણણની ખરીદીની કમાણી ધારાસભ્યોમાં સમાવી દીધી છે. 

વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યુ કે, કોરોનાને અટકાવવામાં સરકાર નિષ્ફળ રહી પરંતુ વિપક્ષના ધારાસભ્યોને ખેરવામાં સફળ રહી છે. આ પહેલા પણ વિપક્ષ દ્વારા કોરોના બાબતે સરકારને રજૂઆત કરવામાં આવી પણ સરકાર તોડોનાને કારણે વ્યસ્ત હતી. 

અમદાવાદમાં કોરોના ફેલાવા પર કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, ટ્રમ્પના કાર્યક્રમને કારણે સંક્રમણ ફેલાયુ છે. લોકો સરકારી હોસ્પિટલ અને ધમણ વેન્ટિલેટરથી ડરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, બે ધારાસભ્યોને ધમણની કમાણીથી ખરીદવામાં આવ્યા છે. 

આવિવાસીઓ અંગે વાત કરતા કોંગ્રેસે કહ્યું કે, કોરોના સંકટ વચ્ચે આદિવાસી જીવી રહ્યાં છે. તેમણે આદિજાતિની ગ્રાન્ટનો ઉપયોગ કરવાનું પણ કહ્યું છે. ધાનાણીએ કહ્યુ કે, અમે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સમગ્ર માહિતીથી તેમને અવગત કરાવ્યા છે. વિવિધ રજૂઆત પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. તો કોંગ્રેસે શાળા કોલેજોની ફી માફ કરવાની પણ માગ કરી છે. 

તો કોંગ્રેસે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, 9 વિધાનસભાની સીટોની પેટાચૂંટણીમાં પ્રજા કોંગ્રેસ સાથે રહેશે. ધાનાણીએ કહ્યુ કે, કોંગ્રેસના ધારાસભ્યોએ સ્વૈચ્છિક સંકલ્પ કર્યો કે, રાજ્યસભાની ચૂંટણીમાં કમળને કચડી કોંગ્રેસના બંન્ને ઉમેદવારો જીતશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news