પોરબંદર: માત્ર 300 મીટરનો રસ્તો બનાવવામાં તંત્ર ઉણુ ઉતર્યુ, બસ એકબીજાને ખો આપતા જોવા મળ્યા

વિશ્વ જેને મહામાનવ ગણે છે તેવા સ્વામી વિવેકાનંદનો પોરબંદર સાથે અનેરો નાતો રહ્યો છે કારણ કે કહેવાય છે કે, સન્યાસી ક્યારેય કોઈ સ્થળ પર ત્રણ દિવસથી વધુ રોકાણ કરતા નથી. પરંતુ સ્વામી વિવેકાનંદે ભારત પરીભ્રમણ દરમિયાન પોરબંદરમાં 4 માસથી વધુ સમય વિતાવ્યો હતો

પોરબંદર: માત્ર 300 મીટરનો રસ્તો બનાવવામાં તંત્ર ઉણુ ઉતર્યુ, બસ એકબીજાને ખો આપતા જોવા મળ્યા

અજય શીલુ, પોરબંદર: જેના નામે સમગ્ર ભારતમાં 12 જાન્યુઆરીના રોજ યુવા દિવસ તરીકે ઉજવાય છે. તે વિશ્વ વિભુતી સ્વામી વિવેકાનંદ ભારત પરિભ્રમણ દરમિયાન પોરબંદરના રામકૃષ્ણ મિશન ખાતે 4 માસથી વધુ સમય રોકાયા હતા. આ ઐતિહાસિક સ્થળની મુલાકાતે દેશ-વિદેશથી લોકો આવતા હોય છે. આમ છતાં આજદીન સુધી રામકૃષ્ણ મિશન સહિત નટવરસિંહજી ક્લબ તેમજ દુલીપ સ્કૂલને જોડતો માત્ર 300 મીટર જેટલો રસ્તો બનાવવામાં પણ જવાબદાર તંત્ર ઉણુ ઉતર્યુ છે અને રસ્તો બનાવવા એકબીજાને ખો આપતા જોવા મળી રહ્યુ છે.

વિશ્વ જેને મહામાનવ ગણે છે તેવા સ્વામી વિવેકાનંદનો પોરબંદર સાથે અનેરો નાતો રહ્યો છે કારણ કે કહેવાય છે કે, સન્યાસી ક્યારેય કોઈ સ્થળ પર ત્રણ દિવસથી વધુ રોકાણ કરતા નથી. પરંતુ સ્વામી વિવેકાનંદે ભારત પરીભ્રમણ દરમિયાન પોરબંદરમાં 4 માસથી વધુ સમય વિતાવ્યો હતો. ઈસ.1891-92માં વિવેકાનંદ જ્યારે ભારત ભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે પોરબંદરના ભોજેશ્વર પ્લોટ ખાતે આવેલ સ્થળ પર કે જ્યા હાલ વિવેકાનંદ મેમોરીયલનુ નિર્માણ થયેલુ છે તે સ્થળ પર પોરબંદરના વિદ્ધાન એડમીનીસ્ટ્રેટર શંકર પાંડુરગ રહેતા હતા. આજે પણ સ્વામીજીનો આ ઓરડો અહી હયાત છે અને સાથે એ બેંચ પણ છે.

સ્વામી વિવેકાનંદ પોરબંદરના જે ભોજેશ્વર બંગ્લાના જે ઓરડામાં આટલો લાંબો સમય રોકાણ કર્યુ હતુ. સ્વામી વિવેકાનંદના આ ઓરડામાં તત્કાલિન રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામ સહિતના મહાનુભાવો મુલાકાત લઈ ચુક્યા છે. અહી દેશ વિદેશથી અનેક લોકો આ ઓરોડાની મુલાકાત લઈને અહી ઘ્યાન માટે આવે છે. આટલા આ ઐતિહાસિક ધરોહર સમાન સ્થળની જાળવણી કરવી તે તંત્રની એક ફરજ છે પરંતુ અહીં તો નાનો એવો આશરે 300 મીટર જેટલો રસ્તો બનાવવાની પણ તસ્દી લેવામાં આવતી ન હોવાથી પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી રામદેવ મોઢવાડીયાએ આ ઐતિહાસિક સ્થળ પર તાત્કાલિક ધોરણે રસ્તો બનાવવાની માગ કરી હતી.

વિશ્વ વિભૂતિ અને એક મહાન સંત એવા સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને દિવસે સમગ્ર ભારતમાં વિશ્વ યુવા દિવસ તરીકે ઉજવે છે. પરંતુ સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલ આ ઐતિહાસિક સ્થળ પર નાનો એવો રસ્તો બનાવવા જેવી પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ ન કરાય હોય ત્યારે વર્ષો પૂર્વે રામકૃષ્ણ મિશનની જગ્યા પોરબંદર જિલ્લા પંચાયત હસ્તકની હતી, જે હાલમાં રામકૃષ્ણ મિશન પાસે લીઝ પર છે. ત્યારે આ રામકૃષ્ણ મિશન નજીકથી પસાર થતા રસ્તા બાબતે વર્ષોથી પોરબંદર નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત એકબીજાને ખો આપે છે અથવા હજુ સુધી આ રસ્તો કોનામાં આવે છે નક્કી નહીં કરી શક્યા હોવાથી રસ્તો બનવાની રાહ જોઈ રહ્યો છે.

આ અંગે જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને જ્યારે પુછવામાં આવ્યુ તો તેઓએ આ રસ્તો તેમના વિભાગમાં ન આવતો હોવાનું જણાવ્યું હતું. તો રસ્તા બાબતે પોરબંદર-છાયા નગરપાલિકાના ચીફ ઓફિસરને પુછવામાં આવતા તેઓએ આ રસ્તો કેમા આવે છે તે ચેક કરવા માટે સીટી સર્વેમાથી જાણકારી મેળવી. આ રસ્તો જો જાહેર રસ્તો હશે તો તેને સામાન્ય સભામાં મુકી બનાવવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.

વિકાસની વાતો કરતી પોરબંદર-છાયા નગરપાલિકાએ શહેરમાં ગેરકાયદેસર ઉભા થયેલા વિસ્તારોમાં પણ ડામરથી રસ્તાઓ મળ્યા છે. પરંતુ આટલી ઐતિહાસિક જગ્યાએ માત્ર 300 મીટર જેટલો રસ્તો આટલા વર્ષોથી નથી બન્યો અને આટલા વર્ષે પણ રસ્તો કોનો છે તે પાલિકા અને જિલ્લા પંચાયત નક્કી ન કરી શક્યુ એ ખુબજ દુઃખદ બાબત કહી શકાય ત્યારે જોવું રહ્યું આ રસ્તો હવે ક્યારે બને છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news