કેસરિયો કરતા જ હાર્દિકને યાદ આવ્યાં આંદોલનના શહીદ પાટીદારો, પરિવારોને આપી દીધું મોટું વચન...

Hardik Patel To Joins BJP:​ ગાંધીનગર કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હાર્દિકને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો, તો બીજી તરફ હાર્દિક જેમને પોતાના કાકા કહે છે તેવા નીતિન પટેલે હાર્દિકને ભાજપની ટોપી પહેરાવીને આવકાર્યા હતા.

કેસરિયો કરતા જ હાર્દિકને યાદ આવ્યાં આંદોલનના શહીદ પાટીદારો, પરિવારોને આપી દીધું મોટું વચન...

Hardik Patel To Joins BJP:​ પાટીદાર નેતા હાર્દિક પટેલે આખરે કેસરિયા કરી લીધા છે. કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે હાર્દિકને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો, તો નીતિન પટેલે હાર્દિકને ભાજપની ટોપી પહેરાવી હતી. જો કે, ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલ પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા પાટીદાર યુવાનોના પરિવારોને એક મોટું વચન આપ્યું છે.

ભાજપમાં જોડાતા પહેલા હાર્દિક પટેલે પોતાના ઘરે દુર્ગા પૂજા કરી હતી. ત્યારબાદ હાર્દિક પટેલ SGVP ગુરુકુળ પહોંચી દર્શન કર્યા સાથે જ SGVP ની ગૌશાળામાં તેમણે ગૌપૂજા કરી હતી. ગૌપૂજા કર્યા બાદ હાર્દિક પટેલે શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં હાર્દિકના સમર્થકો જોડાયા હતા. શક્તિપ્રદર્શન કરીને કમલમ પહોંચેલા હાર્દિકનું સમર્થકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ આખરે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ખેસ ધારણ કરીને ભાજપમાં સત્તાવાર પ્રવેશ કર્યો હતો.

ગાંધીનગર કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હાર્દિકને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો, તો બીજી તરફ હાર્દિક જેમને પોતાના કાકા કહે છે તેવા નીતિન પટેલે હાર્દિકને ભાજપની ટોપી પહેરાવીને આવકાર્યા હતા. જો કે, આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા ન હતા. ભાજપમાં પ્રવેશ બાદ હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હું અહીં રાજા નહીં પણ સૈનિક બનીને કામ કરીશ. હું અહીં રામસેતુની ખિસકોલી બનીને કામ કરવા માંગું છું.

હાર્દિકે જણાવ્યું હતું કે, હું કોંગ્રેસમાં રાષ્ટ્ર હિતના કાર્ય કરવા જોડાયો હતો પરંતુ તે દિશામાં કોઈ કામ ન થતા મેં દુખી થઈને તમામ પદેથી રાજીનામું આપી દીધું. આજે હું ભાજપમાં જોડાયો છું, પરંતુ મારું કામ અહીં પુરું થતું નથી, હું આગામી સમયમાં લોકોને ભાજપમાં જોડવાનો પ્રયાસ કરીશ. રાષ્ટ્રહિતના કાર્યમાં જે લોકોને કોંગ્રેસ અથવા તો અન્ય રાજકીય પાર્ટી પર ભરોસો રહ્યો નથી. તેવા તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ, હોદેદારો, ધારાસભ્યો અને સંગઠનના હોદેદારોને હું ભાજપમાં જોડવાનો પ્રયાસ કરીશું.

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ પ્રમાણે કોંગ્રસ સહિત અનેક પાર્ટીમાં એવા ઘણા નેતાઓ છે જે પોતાના સમાજ માટે સેવાનું કામ કરવા માંગે છે, પરંતુ તેમની પાર્ટી તેમને તે કામ કરવા દેતી નથી. ત્યારે હું ગુજરાતના એવા લોકોને શોધી શોધીને ભાજપની વિચારધારા સાથે જોડાવાના પ્રયાસ કરીશ. તો બીજી તરફ ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલે પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા પાટીદાર યુવાનો યાદ આવ્યા હતા. શહીદ પાટીદાર યુવાનોને યાદ કરી હાર્દિક પટેલે તેમના પરિવારને એક મોટું વચન આપ્યું છે. હાર્દિક પટેલે વચન આપતા કહ્યું હતું કે, આગામી 2 મહિનામાં પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા તમામ પાટીદાર યુવાનોના પરિવારને હું નોકરી અપાવીશ.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ સમયે તેમના સમર્થકો ભારે ઉત્સાહમાં જોવા મળ્યાં. લોકોએ ડીજે તાલે ડાન્સ અને ગરબા કરીને કમલમ પહોંચેલા હાર્દિક પટેલને આવકાર્યા હતા. આ તરફ હાર્દિકના ભાજપમાં પ્રવેશને લઈ તેમના સમર્થકો અને ભાજપના કાર્યકરો પણ ખુશખુશાલ દેખાયા અને લોકોએ ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલ સાથે સેલ્ફી લેવા પણ પડાપડી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news