ગુજરાતના આ ગામમાંથી એકાએક ગાયબ થઈ ગયા બધા પુરુષો, એવું તો શું થયું

Sabarkantha Road Accident : સાબરકાંઠાના ગામડી ગામમાંથી તમામ પુરુષો થઇ ગયા છે ગાયબ, એક અઠવાડિયાથી કોઈ અત્તોપત્તો નથી, આ કારણે મહિલાઓના માથે આવ્યું મોટું સંકટ

ગુજરાતના આ ગામમાંથી એકાએક ગાયબ થઈ ગયા બધા પુરુષો, એવું તો શું થયું

Sabarkantha News સાબરકાંઠા : માનવામાં ન આવે તેવી ઘટના ગુજરાતના એક ગામમાં બની છે. સાબરકાંઠાના નાનકડા એવા એક ગામમાંથી એકાએક બધા પુરુષો ગાયબ થઈ ગયા છે. એક અઠવાડિયાથી આ ગામના તમામ પુરુષો ગામ છોડીને ભાગી ગયા છે. હાલ એવી સ્થિતિ છે કે, ગામમાં ચારેતરફ માત્ર મહિલાઓને ને મહિલાઓ જ દેખાઈ રહી છે. એક પુરુષ પણ શોધ્યે જડતો નથી. હાલ ગામમાં 100 જેટલી મહિલાઓ છે, જે ખેતરથી લઈને બધા કામ કરી રહી છે. ત્યારે સવાલ એ છે કે એવું તો શું થયું કે, ગામના બધા પુરુષો અચાનક ફરાર ગયા. આખરે કેમ ગામ પુરુષોવિહોણું બન્યું છે, ચલો જાણીએ મામલો. 

શું બન્યું હતું 
છેલ્લા છ વર્ષથી નેશનલ હાઇવે નંબર આઠના નવીનીકરણની કામગીરીએ ત્રણ વર્ષમાં 6 લોકોનો ભોગ લીધો છે. 24 મેના રોજ, સવારે 6:00 વાગે દૂધ ભરાવવા મંડળીમાં હાઇવે ક્રોસ કરીને જતા ગામડી ગામના આધેડને ગામડી હાઇવે પર અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેમાં તેમનું મોત નિપજ્યુ હતું. ત્યારે છેલ્લા ત્રણ વર્ષમાં આ છઠું મોત થતાં ગામ લોકો ઉશ્કેરાયા હતા અને ગામ લોકોએ વૃક્ષોની આડસો મૂકી હાઇવે ચક્કાજામ કરી દીધો હતો. આ કારણે નેશનલ હાઇવે નંબર આઠ પર ગામડીથી છેક રાજેન્દ્રનગર અને બીજી તરફ હિંમતનગર એમ બંને તરફ 10 થી 12 કિલોમીટર વાહનોની લાંબી લાઈનો લાગતા ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ ઉશ્કેરાયેલા ગામ લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને ગાંભોઈ પીએસઆઈની ગાડીને આગચંપી કરી હતી. તો સાથે સાથે પોલીસના અન્ય ત્રણ વાહનોને પણ નુકસાન કરી પોલીસ પર પથ્થર મારો પણ કર્યો હતો અને હાઇવે પર ત્રણ જગ્યાએ ટાયર સગાવવાના બનાવો પણ બન્યા હતા.

ઘટનાની ગંભીરતા જોઈને સાબરકાંઠા એલસીબી સાબરકાંઠા એસ.ઓ.જી અને જિલ્લા પોલીસ વડા વિજય પટેલ સહિતનો પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો. સવારે 6:00 વાગ્યાથી થયેલો ચક્કાજામ 9:30 કલાક સુધી રહ્યો હતો. ત્યારે પોલીસે ટીયર ગેસના સેલ છોડતા મામલો બિચક્યો હતો. પરંતુ સમાજના અગ્રણીઓ અને અન્ય લોકો વચ્ચે પડતા આશરે છેલ્લે વૃદ્ધની લાશને સ્થાનિક લોકો ઉઠાવવા તૈયાર થયા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. અંતે, સાડા ત્રણ કલાક બાદ ટ્રાફિકજામ ખુલ્લો કરાયો હતો. 

પુરુષોને કેમ છોડવું પડ્યુ ગામ
આ ઘટના બાદ પોલીસે 700 લોકોના ટોળા સામે ફરિયાદ કરી હતી. તેથી ધરપકડના ડરથી ગામના બધા પુરુષો ગામ છોડીને ભાગી ગયા છે. દુકાનો, પંચાયત, ગામની ડેરી બધુ જ પુરુષો વગર બંધ છે. પાંચ દિવસ થઈ ગયા કે, આ ગામના બધા પુરુષો ફરાર છે. પોલીસ પકડીને ન લઈ જાય તે માટે બધા પુરુષો ક્યાંકને ક્યાંક જતા રહ્યાં છે. 

મહિલાઓમાં ડરનો માહોલ
આ ગામની મહિલાઓ ઘરના પુરુષો ન હોવાથી ભયભીત બની છે, સાથે જ તેમની સ્થિતિ પણ કફોડી બની છે. ગામની મહિલાઓએ જણાવ્યું કે, અમે રાતદિવસ ભયના ઓથાર નીચે રહીએ છીએ. ગામમાં દૂધની ડેરીઓ પણ બંધ હોવાને કારણે અમે રસ્તા પર દૂધ ઢોળી રહ્યાં છીએ. અમારી પરિસ્થિત ઘણી જ ખરાબ છે. અમે આખેઆખો દિવસ ખાતા નથી અને રાતે સૂતા પણ નથી. અમારા ઢોર ભૂખ્યા મરે છે. અમે ખેતરમાં જઇ નથી શકતા અને અમારાથી ઘાસચારો પણ લવાતો નથી. રાતે એકલા ઘણું બીક લાગે છે. 

મહિલાઓએ કહ્યું કે, પોલીસ મહેમાનોને પણ ગામમાં આવવા નથી દેતા. મહેમાનો અમારા માટે ખાવાનું લઇને આવે છે. તો પોલીસ મહેમાન આવે તો પણ કહે છે કે, તેમને ઉપાડીને જેલમાં મુકી દઇશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news