શિક્ષણમાં વધુ એક કલંકિત ઘટના, નેસવડમાં ધોરણ 6 થી 8ના પેપર ચોરાયા, આખા રાજ્યમાં ધોરણ-7ની પરીક્ષા રદ

Paper leak in Gujarat : રાજ્યમાં હાલમાં ધોરણ 6થી 8ની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે પ્રાથમિક શાળાની પરીક્ષાના પેપરોની ચોરી થઈ છે. પેપરોની ચોરી થતા LCB, સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. શિક્ષકોએ લગાવેલ તાળું તોડીને કોઈ શખ્સો સ્કૂલમાં પ્રવેશ્યા હતા. ધોરણ 7ના 21 અને ધોરણ 8નું એક પેપરની ચોરી થઈ

શિક્ષણમાં વધુ એક કલંકિત ઘટના, નેસવડમાં ધોરણ 6 થી 8ના પેપર ચોરાયા, આખા રાજ્યમાં ધોરણ-7ની પરીક્ષા રદ

નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગરના તળાજા તાલુકાના નેસવડ ગામમાંથી પેપરોની ચોરીની ઘટના સામે આવી છે. નેસવડ ગામની પ્રાથમિક શાળામાંથી ધોરણ 6 થી 8ના પેપરોની ચોરી થઈ છે. પેપરોની ચોરી થતા શાળાના આચાર્યે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જેના કારણે રાજ્યભરની સરકારી શાળાઓમાં આજે અને આવતીકાલની ધોરણ 7ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. 

પેપર ચોરીની ઘટનાને કેવી રીતે બની

  • નેસવડની શાળામાં ગઈકાલે બિલ્ડીંગના એક રૂમનો દરવાજો ખુલ્લો હતો
  • શિક્ષકોએ લગાવેલ તાળું તોડીને કોઈ શખ્સો સ્કૂલમાં પ્રવેશ્યા હતા
  • રૂમમાંથી પ્રવેશ કરતા લોખંડની બારી પણ તૂટેલી જોવા મળી હતી
  • ધોરણ 6થી 8ના પેપર મૂકેલા રૂમનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો
  • આ રૂમમાં ધોરણ 6થી 8ના 88 પેપર મૂકવામાં આવ્યા હતા
  • તપાસ કરતા તમામ કવરમાંથી પેપર ઓછા હોવાનું સામે આવ્યું
  • ધોરણ 7ના 21 અને ધોરણ 8નું એક પેપરની ચોરી થઈ
  • બારીમાંથી પ્રવેશ કરીને કોઈ શખ્સે પેપરની ચોરી કરી

પેપર ચોરી મામલે શિક્ષક દેવરાજ ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદ થતા LCB, સ્થાનિક પોલીસ કામે લાગી છે. છતા શિક્ષણ વિભાગના પેટનુ પાણી હાલતુ નથી. પરંતુ આ વચ્ચે રાજ્યની આજે અને આવતીકાલની ધોરણ 7ની પરીક્ષા રદ કરાઈ છે. 

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં હાલમાં ધોરણ 6થી 8ની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે પ્રાથમિક શાળાની પરીક્ષાના પેપરોની ચોરી થઈ છે. પેપરોની ચોરી થતા LCB, સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. પેપર ચોરી થવા મામલે ઝી 24 કલાક સાથે ભાવનગરના જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યુ કે, ગામની શાળામાંથી અસામાજિક તત્વોએ પેપરોની ચોરી કરી છે. શાળાના નહી પરંતુ શાળાની બહારના લોકોએ પેપરોની ચોરી કરી છે. આ મામલે શાળાના આચાર્યે પોલીસ ફરિયાદ કરી છે. ચોરી કરનાર વ્યક્તિ પોલીસ તપાસમાં સામે આવશે. તો બીજી તરફ આ મામલે ચોરી મામલે રાષ્ટ્રીય શિક્ષણ સંઘના અધ્યક્ષ ભીખાભાઈએ કહ્યું કે, ગુજરાત માટે આ દુઃખદ ઘટના છે. શિક્ષણ વિરોધી શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો છે.

સમગ્ર મામલે પ્રાથમિક શિક્ષણ નિયામક એમઆઈ જોશીએ જણાવ્યું કે, શિક્ષણ વિભાગની સૂચના અનુસાર તળાજા તાલુકાની નેસવડ પ્રા. શાળા,જી.ભાવનગર માંથી વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રની ચોરી થઈ છે. જે અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ તપાસ ચાલુ છે. વિદ્યાર્થીઓના વિશાળ હિત માટે આજે 22 એપ્રિલ અને 23 એપ્રિલના રોજ યોજાનાર ધોરણ 7 ની પરીક્ષા રદ કરવામાં આવે છે. સોમવારથી રાબેતા મુજબ ધોરણ 7 ની પરીક્ષા યોજવાની રહેશે. અન્ય ધોરણોની પરીક્ષા અગાઉથી આપેલા સમયપત્રક મુજબ લેવાની રહેશે.

ત્યારે આ ઘટના ફરી એકવાર રાજ્યમાં સવાલો ઉભા કરે છે કે ગુજરાતમા કોણ છે વિદ્યાર્થીઓના ભવિષ્યના દુશ્મન. ચાહે સરકારી ભરતી હોય કે પછી ધોરણ 6 ની પરીક્ષા, દરેક પરીક્ષામાં પેપર ચોરીનું ગ્રહણ લાગી રહ્યુ છે. જે બતાવે છે કે, આખરે ગુજરાતમાં શિક્ષણ મામલે કેવા ગોલમાલ ચાલી રહ્યાં છે. ગુજરાતમાં શિક્ષણ તંત્ર ખાડે ગયુ છે. આખરે ધોરણ-6થી 8ના પેપર ચોરનારા શખ્સો કોણ છે. શું શિક્ષણ વિભાગ પેપર સાચવી શકતુ નથી. પેપર ચોરી કરતા શખ્સો સામે કાર્યવાહી થશે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news