સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારની ઝાટકણી કાઢીને કહ્યું, માનવ જીવનના ભોગે 2-3 રૂમમાં ચાલતી હોસ્પિટલો બંધ કરો

સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારની ઝાટકણી કાઢીને કહ્યું, માનવ જીવનના ભોગે 2-3 રૂમમાં ચાલતી હોસ્પિટલો બંધ કરો
  • ગુજરાતની વિવિધ હોસ્પિટલોમાં લાગેલી આગના મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી
  • સુપ્રીમ કોર્ટે કહ્યું, હવે દેશની હોસ્પિટલોમાં માનવતાનો અંત આવી ગયો છે અને આવી હોસ્પિટલો બંધ કરો

ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ અને રાજકોટ સહિતની હોસ્પિટલોમાં આગ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે (supreme court) આકરું વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, દેશની મોટી હોસ્પિટલો લોકોની પીડા પર ધમધમતો મોટો ઉદ્યોગ બની ગઈ છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ એમઆર શાહની બેન્ચે ગુજરાતમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારી હોસ્પિટલો સામે પગલાં નહીં ભરવાના ગુજરાત સરકાર (gujarat government) ના પગલાંની પણ ઝાટકણી કાઢી છે. 

રિપોર્ટ બંધ કવરમાં કેમ રખાયો છે? શું આ કોઈ ન્યુક્લિયર બોમ્બ છે?

હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી (fire safety) ની સમીક્ષા માટે રચાયેલા પંચનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સિલબંધ કવરમાં રજૂ કરાયો હતો. આ અંગે બેન્ચે વળતો સવાલ કર્યો હતો કે, રિપોર્ટ બંધ કવરમાં કેમ રખાયો છે? શું આ કોઈ ન્યુક્લિયર બોમ્બ છે? સુપ્રીમે કહ્યું કે, હવે દેશની હોસ્પિટલોમાં માનવતાનો અંત આવી ગયો છે અને માનવ જીવનના ભોગે 2-3 રૂમમાં ચલાવવામાં આવતી હોસ્પિટલો (fire in hospital) બંધ કરો. અમે તેને માનવીના જીવનની કિંમત પર સમૃદ્ધ થવા કોઈ પણ સંજોગોમાં મંજૂરી આપી શકીએ નહીં. આવી હોસ્પિટલો તાત્કાલિક બંધ કરવામાં આવે અને સરકારે તેની જાહેર સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત કરવી જોઈએ.

આદેશ ન માનવા પર સુપ્રીમ કોર્ટે સરકારની ટીકા કરી 

સુપ્રીમ કોર્ટે ફાયર સેફ્ટી માટે આવશ્યક નિયમોના પાલનને લગતા આદેશ ન માનવા બદલ ગુજરાત સરકારની પણ આકરી ટીકા કરી હતી. ગુજરાત સરકારે 8 જુલાઈના રોજ એક નોટિફિકેશન ઈશ્યુ કર્યું હતું કે, હોસ્પિટલોએ વર્ષ 2022 સુધી નિયમનું પાલન કરવું જરૂરી નથી. સુપ્રીમ કોર્ટે ટકોર કરી કે, શું લોકો મરતા રહેશે અને સળગતા રહેશે...?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news