વાપીના એક નામચીન બિલ્ડરે ઓફિસમાં જ ભાગીદારો પર કર્યું ફાયરિંગ, જાણો શું હતી માથાકૂટ?

ફરી એકવાર વાપીમાં ફાયરિંગ થતા જિલ્લા પોલીસવડા સહિત જિલ્લાભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી આરોપી બિલ્ડરની ધરપકડ કરી હતી. શું હતી આખી ઘટના? કોણ છે આ માથાભારે બિલ્ડર અને કેમ થયું હતું ફાયરિંગ??

વાપીના એક નામચીન બિલ્ડરે ઓફિસમાં જ ભાગીદારો પર કર્યું ફાયરિંગ, જાણો શું હતી માથાકૂટ?

નિલેશ જોશી/વાપી: વાપીમાં એક નામચીન બિલ્ડરે પોતાની જ ઓફિસમાં જમીનના એક સોદામાં ભાગીદારો સામે ફાયરિંગ કરવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી . પોતાની જ ઓફિસમાં કેટલાક લોકો પર એક પછી એક ધડાધણ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરી એકવાર વાપીમાં ફાયરિંગ થતા જિલ્લા પોલીસવડા સહિત જિલ્લાભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી આરોપી બિલ્ડરની ધરપકડ કરી હતી. શું હતી આખી ઘટના? કોણ છે આ માથાભારે બિલ્ડર અને કેમ થયું હતું ફાયરિંગ??

વલસાડ જિલ્લાના વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા શાંતિ કોમ્પલેક્ષના પહેલા માળે આવેલી એક ઓફિસમાં ફાયરિંગની ઘટના બની હતી. બનાવની જાણ થતા જ વલસાડ જિલ્લા પોલીસવડા સહિત જિલ્લા ભરના પોલીસના અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને તપાસ હાથ ધરી હતી.ઓફિસમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું જાણવા મળ્યું હતું.આથી સમગ્ર મામલાને ગંભીતાથી લઈ પોલીસે તપાસ કરતા. 

આ ઓફિસ વાપીના નામચીન મનાતા ગિરિરાજસિંહ જાડેજા નામના બિલ્ડર ની ઓફિસ હતી. અને જે લોકો પર ફાયરિંગ થયું હતું. તે લોકો શિવ શક્તિ ડેવલોપર્સ નામની પેઢીના ભાગીદારો હતા.ફાયરિંગ કર્યા બાદ ગિરિરાજ જાડેજા ફરાર થવાની ફિરાક માં હતો .એ પહેલા આજે ભાગીદારોએ પોલીસને જાણ કરતા જ પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હથિયાર સાથે ગિરિરાજ જાડેજાને ઓફિસમાં જ દબોચી લીધો હતો. અને ત્યારબાદ તપાસનો ધમધમાટ માર્ગ શરૂ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ઓફિસમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયા હોવાનું બહાર આવ્યું હતું. વાપીના આ નામચીન બિલ્ડર અને મોટો રાજકારણી એવા ગિરિરાજે શિવ શક્તિ ડેવલોપર્સ નામની પેઢીના ભાગીદારો પર ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ હતી. 

શું હતો માથાકૂટનો મુદ્દો?
શિવશક્તિ ડેવલોપર્સ દ્વારા વર્ષ 2019 માં ગિરિરાજસિંહ જાડેજા પાસેથી છરવાડા માં આવેલી એક જમીનનો સોદો કર્યો હતો.જોકે જે તે વખતે બંને પક્ષો વચ્ચે થયેલા કરાર મુજબ મોટી રકમની ચુકવણી પણ થઈ હતી .જોકે ત્યારબાદ પણ લાંબા સમય સુધી ગિરિરાજસિંહ જાડેજાએ જમીન ખરીદનાર પેઢીના પાર્ટનરોને ના નામે જમીનનો દસ્તાવેજ નહોતો કરી આપ્યો. આ અંગે અવારનવાર પેઢી દ્વારા ગિરિરાજ સામે માંગ કરતા આખરે 2023માં ગિરિરાજ જાડેજાએ શિવ શક્તિ ડેવલોપર્સ નામની પેઢીના નામે દસ્તાવેજ કરી આપ્યો હતો. જોકે ત્યારબાદ થોડા સમયમાં જ આ સોદો કરેલી જમીન જમીનની સરકારી ચોપડે એન્ટ્રી પડે એ પહેલા જ એ જમીન પર ગિરિરાજ જાડેજાએ અંદાજે સવા બે કરોડથી વધુ એક બેંક નો બોજો પડાવી દીધો હતો. જેની ભાગીદારી પેઢીને જાણ થતા વિવાદ શરૂ થયો હતો. 

શિવશક્તિ ડેવલોપર્સ દ્વારા ખરીદાયેલી જમીન પર અઢી કરોડ નું મોર્ગેજ લેનાર આ શાતીર બિલ્ડર ઘણા સમય થી આ લોકો ને મામુ બનાવતો હતો .જોકે આ વખતે તમામ ભાગીદારો તેની ઓફિસ પર આવી ને બેસી ગયા હતા .જોકે બિલ્ડર ગિરિરાજ પણ 1 કલાક બાથરૂમ માં સંતાઈ ગયો હતો .જોકે શિવશક્તિ ડેવલોપર્સ ના ભાગીદારો ટસ થી મસ થયા નહોતા અને આજે ફાઇનલ કરી જવાના મૂડ માં હતા. જેથી મામલો આટલો ગંભીર બનતા આખરે ગિરિરાજ એ જમીન ખરીદનાર પેઢીના ભાગીદારોની સામે જ પોતાની ઓફિસમાં ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આથી ભાગીદારોએ પોલીસને જાણ કરતા જ સમગ્ર હકીકત બહાર આવી હતી.

ગિરિરાજ પોતાની લાઇસન્સ વાળી જ રિવોલ્વર માંથી ફાયરિંગ કર્યું હોવાનું બહાર આવ્યું છે .વાપી પોલીસે આરોપીના ઘરે તપાસ કરતાં વધુ એક લાયસન્સ વાળું હથિયાર પણ કબજે કર્યું હતું .અને ગિરિરાજ વિરૂદ્ધ જાનથી મારી નાખવાની ધમકી અને આર્મ્સ એકટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.

વાપીના આરોપી અને નામચીન બિલ્ડર ગિરિરાજસિંહ જાડેજા અગાઉ પણ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે. અગાઉ તેઓ વલસાડ જિલ્લા ભાજપના સંગઠનમાં એક હોદ્દો પણ ધરાવતા હતા. જોકે ત્યારબાદ તેમની વિવાદાસ્પદ વર્તુણક ના કારણે ભાજપે તેની પાર્ટીમાંથી હકાલ પટ્ટી પણ કરી દીધી હતી .જોકે અત્યારે તેઓ ભાજપમાં કોઈ હોદ્દા પર નથી.જોકે હવે ગંભીર મામલામાં તેની ધરપકડ થતાં તેણે પોલીસ સ્ટેશનની હવાલાતની હવા ખાવાનો વખત આવ્યો હતો.જો કે પોલીસે હવે આગામી સમયમાં પણ આરોપીનો ગુનાહિત ભૂતકાળ છે કે કેમ?? તે જાણવા સહિત આ સમગ્ર પ્રકરણ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news