હવે આ લોકોને મળશે કોઈપણ પુરાવા વગર કોરોનાની રસી, સીએમ રૂપાણીનો મહત્વનો નિર્ણય

મુખ્યમંત્રીએ આવી સંસ્થાઓમાં વસવાટ કરતા 60 વર્ષથી વધુની વયના વયસ્ક વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેક્સીન આપવાનો માનવીય અભિગમ સ્પર્શી નિર્ણય કર્યો છે

હવે આ લોકોને મળશે કોઈપણ પુરાવા વગર કોરોનાની રસી, સીએમ રૂપાણીનો મહત્વનો નિર્ણય

ઝી મીડિયા બ્યૂરો: રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યના સીએમ રૂપાણી દ્વારા વધુ એક સંવેદના સ્પર્શી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા 45 વર્ષથી વધુની વયના અને કોમોરબીડ- અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું કોવિડ-19 રસીકરણ અન્વયે આધાર કાર્ડના પૂરાવા વગર પણ રસીકરણ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આવી સંસ્થાઓમાં વસવાટ કરતા 60 વર્ષથી વધુની વયના વયસ્ક વડીલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેક્સીન આપવાનો માનવીય અભિગમ સ્પર્શી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણથી રાજ્યના આવા વંચિત અને નિરાધાર લોકોને પણ આરોગ્ય રક્ષા મળી રહે તેવી માનવીય સંવેદનાથી આ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોવિડ-19 ના સંક્રમણ સામે આરોગ્યરક્ષા કવચ આપતી કોરોના વેકસીનનો લાભ સમાજના નિરાધાર-વંચિત વ્યક્તિઓ-વયસ્ક વડિલોને પણ આપવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તેમજ દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓ-ગૃહોમાં વસતા 45 થી 60 વર્ષની વય જૂથના અને કોમોરબીડ એટલે કે અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓને આધાર કાર્ડના પૂરાવા સિવાય પણ વેકસીનેશન અભિયાનમાં આવરી લેવાશે.

એટલું જ નહિ, આવી સંસ્થાઓ એટલે કે ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તેમજ દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં વસતા 60 વર્ષથી ઉપરની વયના વયસ્ક વડીલોને પણ તેમની પાસે આધાર કાર્ડ ન હોય તો પણ કોરોના વેકસીન આપવામાં આવશે તેમ તેમણે જાહેર કર્યુ છે. આ અગાઉ રાજ્યમાં વિવિધ સ્થાનોએ વિચરણ કરતા હોય, સ્થિર વસવાટ ન હોય તેવા સાધુ સંતો, ભગવંતો, મહારાજ સાહેબ-મૂનિઓને આધાર કાર્ડ વિના પણ આ રસીકરણ અભિયાનમાં આવરી લેવાનો નિર્ણય કરેલો છે. હવે, તેમણે સમાજના નિરાધાર, વંચિત, અનાથ વ્યક્તિઓને પણ કોરોના મહામારી સામે આરોગ્ય સુરક્ષા કવચ આપવા તેમને પણ આધાર કાર્ડના પૂરાવા વિના રસીકરણમાં આવરી લેવાની અને સૌના વ્યાપક રસીકરણથી ‘‘હારશે કોરોના-જિતશે ગુજરાતનો’’ મંત્ર સાકાર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના રાજ્યોની કોરોના સ્થિતી અને રસીકરણની સમીક્ષા અંગે તાજેતરમાં યોજેલી વિડીયો કોન્ફરન્સમાં ગુજરાતમાં દૈનિક સરેરાશ રસીકરણની સંખ્યા 1.50 લાખથી વધારીને બે ગણી એટલે કે 3 લાખ સુધી લઇ જવાની નેમ વ્યકત કરી હતી. આ નેમને સાકાર કરવા રાજ્યના આરોગ્ય વિભાગે કોરોના રસીકરણને ઝૂંબેશ સ્વરૂપે ઉપાડીને અત્યાર સુધીમાં 45 થી 60 ની વયજુથના કોમોરબીડ અને 60 વર્ષથી ઉપરના વરિષ્ઠો એમ કુલ 39 લાખ 36 હજાર 104 વ્યક્તિઓનું રસીકરણ પૂર્ણ કર્યુ છે.

આ હેતુસર સમગ્ર રાજ્યમાં 5381 સરકારી અને 452 ખાનગી મળી કુલ 5833 રસીકરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલા છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાતે રસીકરણ માટે પાત્રતા ધરાવતા હોય તેવા 39.36 લાખ વ્યક્તિઓના રસીકરણ દ્વારા દેશભરમાં પાંચ અગ્રીમ હરોળના રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને કોરોના-કોવિડ-19 સામેના રક્ષણાત્મક ઉપાય-તરીકે આ રસીકરણમાં તેમનો વારો આવે ત્યારે અવશ્ય વેકસીન લેવા પ્રજાજોગ અપિલ પણ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news