પૂર્વ PM અટલ બિહારી વાજપેયીના એ 6 નિર્ણયો, જેણે અર્થવ્યવસ્થાનું ચિત્ર બદલી નાખ્યું

 25 ડિસેમ્બર, તે દિવસ છે જેને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જયંતિ પર યાદ કરવામાં આવે છે. દેશની રાજનીતિમાં નૈતિકતાનો નવો પાયો નાખનાર અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં એવા ઘણા નિર્ણય થયા, જેણે ઇકોનોમીની દશા અને દિશા બદલી નાખી.

પૂર્વ PM અટલ બિહારી વાજપેયીના એ 6 નિર્ણયો, જેણે અર્થવ્યવસ્થાનું ચિત્ર બદલી નાખ્યું

નવી દિલ્હીઃ Atal Bihari Vajpayee Birth Anniversary: 25 ડિસેમ્બર, તે દિવસ છે જેને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જયંતિ પર યાદ કરવામાં આવે છે. દેશની રાજનીતિમાં નૈતિકતાનો નવો પાયો નાખનાર અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં એવા ઘણા નિર્ણય થયા, જેણે ઇકોનોમીની દશા અને દિશા બદલી નાખી. વાજયેપીનું દરેક ગામ સુધી રસ્તો બનાવવાની યોજના હોય કે પછી રાજકોષીય સ્થિતિને મબજૂત કરવા પર ભાર આપવાનો હોય, વર્તમાન સમયમાં તેનું મહત્વ સમજાય છે. આજે અમે તમને અટલ જીના તે છ નિર્ણયો વિશે જણાવીશું, જેના કારણે ઇકોનોમીને નવી ગતિ મળી છે. 

માર્ગ નિર્માણ યોજના: કોઈપણ દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવામાં રસ્તાઓ મોટી ભૂમિકા ભજવે છે. પ્રધાનમંત્રી તરીકે અટલ બિહારી વાજપેયી તેનું મહત્વ સારી રીતે સમજતા હતા. આ જ કારણ છે કે તેમણે સુવર્ણ ચતુર્ભુજ રોડ પ્રોજેક્ટ અને પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના શરૂ કરી. સુવર્ણ ચતુર્ભુજ યોજના હેઠળ, ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી અને મુંબઈને હાઈવે નેટવર્ક સાથે જોડવામાં આવ્યા હતા, જ્યારે ગ્રામ સડક યોજનાનો ધ્યેય ગામડાઓને શહેરો સાથે પાકા રસ્તાથી જોડવાનો હતો.

ડિસઇન્વેસ્ટમેન્ટ મંત્રાલય બનાવવાની યોજના: પ્રધાનમંત્રી તરીકે અટલ બિહારી વાજપેયીએ ખાનગીકરણ અથવા ડિસઇન્વેસ્ટમેન્ટ પર ભાર મૂક્યો હતો. વાજપેયીએ 1999માં પહેલીવાર ડિસઇન્વેસ્ટમેન્ટ મંત્રાલયની સ્થાપના કરી હતી. આ એક અનોખો પ્રયોગ હતો, જોકે આ માટે તેને વિપક્ષની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ડિસઇન્વેસ્ટમેન્ટ મંત્રાલયની જવાબદારી અરુણ શૌરીને સોંપવામાં આવી હતી. અરુણ શૌરીના નેતૃત્વમાં ભારત એલ્યુમિનિયમ કંપની (બાલ્કો) સહિત ઘણી કંપનીઓના ખાનગીકરણની પ્રક્રિયા શરૂ થઈ. એટલું જ નહીં, તેણે વીમા કંપનીઓમાં વિદેશી રોકાણની મર્યાદા વધારીને 26 ટકા કરી દીધી હતી.

રાજકોષીય ખાધ અંગે ચિંતાઃ પ્રધાનમંત્રી તરીકે અટલ બિહારી વાજપેયી રાજકોષીય ખાધ અંગે ચિંતિત હતા. આ જ કારણ છે કે નાણાકીય વ્યવસ્થામાં શિસ્ત લાવવા માટે 2003માં ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ (FRBM) એક્ટ ઘડવામાં આવ્યો હતો. તેના દ્વારા સરકારી ખર્ચ અને ખાધ જેવા પરિબળો પર નજર રાખવાના નિયમોનો કડક અમલ કરવામાં આવ્યો હતો. આ કાયદાના અમલ પછી, સરકારે બચતની વિવિધ પદ્ધતિઓ અપનાવી, જેના કારણે રાજકોષીય ખાધ પણ ઓછી થઈ. તમને જણાવી દઈએ કે રાજકોષીય ખાધમાં ઘટાડો એ દેશની અર્થવ્યવસ્થા માટે સારો સંકેત છે.

અંત્યોદય અન્ન યોજનાઃ પ્રધાનમંત્રી તરીકે અટલ બિહારી વાજપેયીએ વર્ષ 2000માં ગરીબોને ભોજન આપવા માટે અંત્યોદય અન્ન યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ, રાજ્યમાં TPDS હેઠળ આવરી લેવામાં આવેલા ગરીબી રેખા હેઠળના પરિવારોમાંથી એક કરોડ ગરીબ પરિવારોની ઓળખ કરવામાં આવી હતી. આ પછી, તેમને 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઘઉં અને 3 રૂપિયા પ્રતિ કિલો ચોખા આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. સમયની સાથે યોજના બદલાતી રહી અને ગરીબ પરિવારોની સંખ્યા વધતી રહી.

શિક્ષણની ક્રાંતિ: અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન શિક્ષણ અને સંદેશાવ્યવહારના ક્ષેત્રમાં અભૂતપૂર્વ ફેરફારો થયા. 2001માં અટલ બિહારી વાજપેયીએ પ્રધાનમંત્રી તરીકે સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય 14 વર્ષ સુધીના બાળકોને મફત શિક્ષણ આપવાનો હતો. આ યોજના દ્વારા દેશના દરેક બાળકને ભણવાનો બંધારણીય અધિકાર મળ્યો.

સંદેશાવ્યવહારની ક્રાંતિ: શિક્ષણની જેમ જ અટલ બિહારી વાજપેયીએ સંદેશાવ્યવહારના ક્ષેત્રમાં પણ કઠિન નિર્ણયો લીધા હતા. નવી ટેલિકોમ પોલિસી લોન્ચ કરવામાં આવી ત્યારે ટેલિકોમ મંત્રી પ્રમોદ મહાજનના નેતૃત્વમાં ખાનગી ટેલિકોમ કંપનીઓનું પણ ધ્યાન ગયું. પીસીઓ અને બૂથ કલ્ચરને ખતમ કરવામાં વાજપેયી સરકારે મહત્વની ભૂમિકા ભજવી હતી. સસ્તા દરે ફોન કોલ હોય કે સસ્તા મોબાઈલ ફોન, તેની શરૂઆત અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન જ થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news