Big Breaking: EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કરી ધરપકડ, 2 કલાક પૂછપરછ બાદ લીધુ એક્શન

દિલ્હીના કથિત દારૂ કૌભાંડ મામલે સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સતત 9 સમન પાઠવ્યા બાદ ઈડીનની ટીમ 10માં સમન સાથે આજે સાંજે કેજરીવાલના ઘરે પહોંચી હતી.

Big Breaking: EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કરી ધરપકડ, 2 કલાક પૂછપરછ બાદ લીધુ એક્શન

દિલ્હીના કથિત દારૂ કૌભાંડ મામલે સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સતત 9 સમન પાઠવ્યા બાદ ઈડીનની ટીમ 10માં સમન સાથે આજે સાંજે કેજરીવાલના ઘરે પહોંચી હતી. સર્ચ અભિયાન અને પૂછપરછ બાદ તપાસ એજન્સીએ કેજરીવાલની ધરપકડ કરી. આ પહેલો એવો કેસ છે જ્યારે કોઈ મુખ્યમંત્રી પદ પર હોય અને ધરપકડ થઈ છે. આવામાં સવાલ એ ઉઠે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારનું શું થશે. એટલે કે સરકાર કોણ ચલાવશે. જેને લઈને આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર છે કે અરવિંદ કેજરવાલ જેલથી સરકાર ચલાવશે. એટલે કે તેઓ પદેથી રાજીનામું નહીં આપે. 

હાઈકોર્ટમાં કરી હતી અરજી
વાત જાણે એમ છે કે 2 નવેમ્બરથી 21 માર્ચ દરમિયાન ઈડીએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 9 સમન મોકલ્યા હતા. પરંતુ કેજરીવાલ કોઈને કોઈ બહાનું બનાવીને ઈડી સામે હાજર થયા નહીં. જ્યારે તેમને 9મું સમન મળ્યું તો તેઓ તેના વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેમના દ્વારા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને માંગણી કરાઈ હતી કે જો તેઓ પૂછપરછ માટે ઈડી સામે હાજર થાય તો તેમને ધરપકડથી સુરક્ષા આપવામાં આવે. 

પરંતુ હાઈકોર્ટથી પણ કેજરીવાલ માટે રાહતના સમાચાર આવ્યા નહીં. ઈડીના એક બાદ એક સમન્સ પર કેજરીવાલ હાજર થતા નહોતા. આમઆદમી પાર્ટી અને કેજરીવાલને સૌથી મોટો ભય ધરપકડનો સતાવતો હતો. જેનાથી બચવા માટે જ હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે પણ ધરપકડ પર પ્રતિબંધ લગાવવાથી ઈનકાર કરી દીધો અને કહ્યું કે હાલ આ અરજી પર વિચાર નહીં કરીએ. જોકે બીજી તરફ હાઈકોર્ટે ઈડીને પણ નોટિસ પાઠવીને જવાબ માગ્યો. હવે ઈડી પાસે જવાબ રજૂ કરવા માટે 22 એપ્રિલ સુધીનો સમય છે..  

— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) March 21, 2024

હાઈકોર્ટના વલણ બાદ હવે સ્પષ્ટ થઈ ગયું હતું કે કેજરીવાલે ઈડીના સમન્સ પર હાજર થવું પડશે. સાથે જ તેમને ધરપકડથી બચવા પણ કોઈ રાહત નથી. હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી થઈ ત્યારે અરવિંદ કેજરીવાલના વકીલે દલીલ કરી કે, લોકસભા ચૂંટણી બાદ તેમની ધરપકડ કરજો, પરંતુ અત્યારે તેમને ચૂંટણી લડવા દો. તમને જો ખુશી મળતી હોય તો જૂન મહિનામાં ધરપકડ કરજો. જોકે ઈડીએ જવાબ આપતા કહ્યું કે, કેજરીવાલ લોકસભા ચૂંટણી માટેના ઉમેદવાર નથી, તેમ છતા તેઓ સમન્સ પર હાજર રહેતા નથી.

— ANI (@ANI) March 21, 2024

આ દરમિયાન દિલ્હી હાઈકોર્ટે ઈડીને સવાલ કર્યો હતો કે, તમે હજુ સુધી કેમ ધરપકડ નથી કરી?  જેનો જવાબ આપતા ઈડી બોલી કે, અમે ક્યારે કહ્યું છે કે અમે ધરપકડ કરીશું, અમે તો પૂછપરછ માટે બોલાવ્યા છે. કેજરીવાલ જૂના આદેશોનો હવાલો આપીને ગેરન્ટી માગે છે, અમે આવા અનેક આદેશ કોર્ટ સમક્ષ રજૂ કરી શકીએ છીએ, જેમા અરજીકર્તાને કોર્ટે કોઈ રાહત ન આપી હોય. ઈડીએ વધુમાં કહ્યું કે, અરવિંદ કેજરીવાલે વ્યક્તિગત રીતે આ અરજી દાખલ કરી છે, પાર્ટીના આધારે અરજી નથી કરી. આમઆદમી પાર્ટી આ કેસમાં પક્ષકાર છે જ નહીં. એટલે પક્ષ સામે કોઈ કાર્યવાહી નથી 

હાઈકોર્ટે માંગ્યા હતા પુરાવા
જોકે સમગ્ર કાર્યવાહી દરમિયાન હાઈકોર્ટે કેજરીવાલ વિરુદ્ધ ઈડી પાસે પુરાવા પણ માગ્યા હતા. જેની સામે ઈડીએ એક દસ્તાવેજોનો રિપોર્ટ કોર્ટને સોંપ્યો હતો. આ દરમિયાન એવું પણ કહ્યું કે, અમે કોર્ટના કહેવા પર આ તમને આપીએ છીએ, અરજીકર્તા તેની માગ ન કરે, હાઈકોર્ટે આ દસ્તાવેજોની તપાસ કર્યા બાદ નિર્ણય કર્યો હતો. ઈડીના સમન્સ અને કોર્ટની કાર્યવાહી વચ્ચે દિલ્લીમાં રાજકીય માહોલ ગરમ છે. આમઆદમી પાર્ટી શરૂઆતથી સમગ્ર કાર્યવાહીને ભાજપનું ષડયંત્ર ગણાવે છે. જોકે હાઈકોર્ટે પણ કેજરીવાલને રાહત ન આપતા ભાજપ પણ આમઆદમી પાર્ટી પર આક્રમક બન્યું છે. ભાજપે કહ્યું કે, કેજરીવાલે કંઈ ખોટું નથી કર્યું તો કેમ સવાલ જવાબથી ભાગી રહ્યા છે. 

નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલને ઈડી તરફથી અત્યાર સુધીમાં 9 વાર સમન્સ મળી ચુક્યા છે. જોકે કેજરીવાલ ઈડીના સવાલોના જવાબ આપવા માટે એક પણ વાર હાજર થયા નથી. મનિષ સિસોદીયા, સંજય સિંહ અને બાદમાં કે. કવિતાને જેલમાં મોકલ્યા બાદ કેજરીવાલને ધરપકડનો ભય વધુ સતાવી રહ્યો હતો. જેનાથી બચવા માટે જ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પરંતુ હાઈકોર્ટથી કોઈ રાહત ન મળતા અરવિંદ કેજરીવાલની ચિંતામાં વધારો થયો હતો. પણ આ ડર સાચો પણ પડ્યો અને હવે કેજરીવાલની ધરપકડ થઈ ગઈ. 

હાઈકોર્ટે બપોરે કેજરીવાલને ધરપકડથી બચાવવા ઈનકાર કર્યો, ત્યાં ઈડી એક્શનમાં આવી ગઈ.  સાંજ પડતા પડતા કેજરીવાલના દ્વારે ઈડીની ગાડીઓનો જમાવડો થઈ ગયો. ઈડીના અધિકારીઓ હાથમાં દસ્તાવેજ અને ફાઈલો લઈને કેજરીવાલના નિવાસે પહોંચી ગયા. 10મા સમન્સ પાઠવવા ઈડીના અધિકારીઓ ખુદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન કેજરીવાલના નિવાસ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો જ્યારે કે અંદર ઈડીના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે, લિકરકાંડમાં અગાઉ મનિષ સિસોદિયા, સંજયસિંહની ધરપકડ કરાઈ હતી ત્યારબાદ થોડા દિવસ અગાઉ જ BRSના નેતા કે.કવિતાની હૈદરાબાદથી ધરપકડ કરી લેવાઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news