Covid 19 ના હળવા લક્ષણોવાળા માટે સરકારની નવી ગાઇડલાઇન, આ વાતોનું રાખવું પડશે ખાસ ધ્યાન

દેશમાં કોરોના વાયરસ (Coronavirus) થી સ્થિતિ બગડતી જાય છે. ગંભીર રીતે બિમાર દર્દીઓનીને હોસ્પિટલમાં બેડ મળી રહ્યા નથી. એવામાં કેંદ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે હળવા લક્ષણો વાળા (માઇલ્ડ) અને એસિમ્પ્ટોમેટિક દર્દીઓ માટે ગાઇડલાઇન જાહેર કરી છે.

Covid 19 ના હળવા લક્ષણોવાળા માટે સરકારની નવી ગાઇડલાઇન, આ વાતોનું રાખવું પડશે ખાસ ધ્યાન

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus) થી સ્થિતિ બગડતી જાય છે. ગંભીર રીતે બિમાર દર્દીઓનીને હોસ્પિટલમાં બેડ મળી રહ્યા નથી. એવામાં કેંદ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે હળવા લક્ષણો વાળા (માઇલ્ડ) અને એસિમ્પ્ટોમેટિક દર્દીઓ માટે ગાઇડલાઇન જાહેર કરી છે. જેથી આવા દર્દીઓ ઘરમાં જ સાજ થઇ શકે અને ગંભીર રૂપથી બિમાર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. આ માર્ગદર્શિકા 2 જુલાઇ 2020ના રોજ આ વિષય સંદર્ભે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાને સ્થાને ગણવામાં આવશે.

માર્ગદર્શિકા અનુસાર, જે દર્દીઓને તબીબી રીતે હળવા લક્ષણો વાળા/લક્ષણો ના ધરાવતા દર્દીઓ તરીકે ગણાવવામાં આવ્યા હોય તેમને હોમ આઇસોલેશનમાં રહેવાની ભલામણ કરવામાં આવે છે.

COVID-19ના લક્ષણો વગરના કેસો; હળવા લક્ષણો ધરાવતા કેસો
લક્ષણો વગરના (એસિમ્પ્ટોમેટિક) એટલે એવા કેસો છે જેમનું લેબોરેટરીમાં પુષ્ટિકરણ થયું હોય પરંતુ તેમનામાં કોઇ લક્ષણો દેખાતા ના હોય અને ઓરડાની હવામાં 94% કરતાં વધારે ઓક્સિજન તૃપ્તતા ધરાવતા હોય. તબીબી રીતે હળવા ગણાવવામાં આવેલા એવા દર્દીઓ હોય છે જેમને ઉપલા શ્વસન માર્ગના લક્ષણો (અને/અથવા તાવ) હોય અને શ્વાસ લેવામાં તકલીફ ના હોય તેમજ ઓરડાની હવાએ 94% કરતાં વધારે ઓક્સિજનની તૃપ્તતા ધરાવતા હોય.

હોમ આઇસોલેશન માટે લાયક દર્દીઓ
i. દર્દીની સારવાર કરી રહેલા મેડિકલ ઓફિસરે તેમને તબીબી રીતે હળવા લક્ષણો વાળા/લક્ષણો વગરના કેસ તરીકે ગણાવ્યા હોવા જોઇએ.

ii. આવા કેસો પાસે તેમના ઘરે સેલ્ફ-આઇસોલેશન માટે અને પરિવારના સંપર્કોથી ક્વૉરેન્ટાઇન થવા માટે પૂરતી સુવિધા હોવી જોઇએ. 

iii. 24X7 ધોરણે દર્દીની સંભાળ લેવા માટે એક કૅર-ગીવર (સંભાળ લેનાર વ્યક્તિ) હાજર હોવા જોઇએ. સમગ્ર હોમ આઇસોલેશન દરમિયાન સંભાળ લેનાર વ્યક્તિ અને હોસ્પિટલ વચ્ચેની કમ્યુનિકેશનની લિંક હોવી આવશ્યક છે.

iv. 60 વર્ષથી વધારે ઉંમરના વયસ્ક દર્દીઓ અને હાઇપરટેન્શન, ડાયાબિટીસ, હૃદયની બીમારી, ગંભીર ફેફસા/લીવર/કિડનીની બીમારી, સેરેબો-વાસ્ક્યૂલર બીમારી વગેરે જેવી સહ-બીમારીની સ્થિતિ ધરાવતા દર્દીઓને તેમની સારવાર કરી રહેલા મેડિકલ અધિકારીએ યોગ્ય મૂલ્યાંકન કર્યા પછી જ હોમ આઇસોલેશનની મંજૂરી આપવામાં આવશે.

v. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા સ્થિતિથી પીડાઇ રહેલા દર્દીઓ (HIV, અંગ પ્રત્યારોપણ મેળવનારા, કેન્સરની સારવાર વગેરે)ને હોમ આઇસોલેશનમાં રહેવાની ભલામણ કરવામાં આવતી નથી અને તેઓને તેમની સારવાર કરી રહેલા મેડિકલ અધિકારી દ્વારા યોગ્ય મૂલ્યાંકન કર્યાં પછી જ હોમ આઇસોલેશનમાં રહેવાની અનુમતિ આપવામાં આવશે.  

vi. દર્દીના કૅર-ગીવર અને આવા કેસોના નજીકના સંપર્કમાં હોય તેવા તમામ લોકોએ પ્રોટોકોલ અનુસાર તેમની સારવાર કરી રહેલા મેડિકલ અધિકારીએ સુચવ્યા અનુસાર હાઇડ્રોક્સિક્લોરોક્વિન પ્રોફાઇલેક્સિસ લેવું જોઇએ. 

vii. આ ઉપરાંત, અન્ય સભ્યો માટે હોમ ક્વૉરેન્ટાઇન સંબંધિત માર્ગદર્શિકા આ લિંક પર ઉપલબ્ધ છે:

 https://www.mohfw.gov.in/pdf/Guidelinesforhomequarantine.pdf, જેનું તેઓ પાલન કરી શકે છે.

દર્દીઓ માટે સૂચનાઓ
i. દર્દીએ પરિવારના અન્ય સભ્યોથી પોતાને આઇસોલેટ કરવા આવશ્યક છે અને તેમણે અલાયદા ઓરડામાં રહેવું તેમજ ઘરમાં અન્ય લોકોથી અલગ રહેવું, ખાસ કરીને ઘરમાં વૃદ્ધો અને હાઇપરટેન્શન, હૃદયની બીમારી અને મુત્રપિંડને લગતી બીમારી જેવી સહ-બીમારી ધરાવતા લોકોથી દૂર રહેવું.

ii. દર્દીએ સારા હવા-ઉજાસવાળા ઓરડામાં રહેવું જ્યાં સામસામે વેન્ટિલેશન અને બારીની સુવિધા હોય અને ઓરડામાં ચોખ્ખી હવાની અવરજવર થાય તે માટે તેને ખુલ્લા રાખવા.

iii. દર્દીએ હંમેશા ત્રિ-સ્તરીય મેડિકલ માસ્ક પહેરી રાખવું. 8 કલાક સુધી માસ્કનો ઉપયોગ કર્યા પછી અથવા તે પહેલાં જો માસ્ક ભીનું થાય અથવા દેખીતી રીતે ગંદુ થાય તો તેનો નિકાલ કરવો. જો કૅર-ગીવર રૂમમાં પ્રવેશે તો, કૅર-ગીવર અને દર્દી બંને જણા N95 માસ્કનો ઉપયોગ કરી શકે છે.

iv. માસ્કને 1% સોડિયમ હાઇપોક્લોરાઇટથી જંતુમુક્ત કર્યા પછી જ તેનો નિકાલ કરવો જોઇએ.

v. દર્દીએ અવશ્ય પૂરતો આરામ કરવો અને વિપુલ પ્રમાણમાં પ્રવાહી લેવું જેથી શરીરમાં પૂરતા પ્રમાણમાં હાઇડ્રેશન જળવાઇ રહે.

vi. હંમેશા શ્વસન સંબંધિત શિષ્ટાચારનું પાલન કરવુ.

vii. વારંવાર સાબુ અને પાણીથી ઓછામાં ઓછા 40 સેકન્ડ સુધી હાથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત સેનિટાઇઝરથી સાફ કરવા.

viii. વ્યક્તિગત ચીજવસ્તુ પરિવારમાં અન્ય કોઇ વ્યક્તિઓ સાથે શેર કરવી નહીં.

ix. ઓરડામાં જે સપાટીઓ (ટેબલટોપ, દરવાજના નોબ્સ, હેન્ડલ વગેરે) પર વારંવાર સ્પર્શ થતો હોય તેને 1% હાઇપોક્લોરાઇટ દ્રાવણથી સાફ કરવામાં આવે તે સુનિશ્ચિત કરો.

x. પલ્સ ઓક્સિમીટરની મદદથી લોહીમાં ઓક્સિજનની તૃપ્તતાનું જાતે મોનિટરિંગ કરવાની ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે.

xi. દર્દી દૈનિક ધોરણે પોતાના શરીરનું તાપમાન માપીને તેના/તેણીના આરોગ્ય પર જાતે દેખરેખ રાખશે અને જો નીચે દર્શાવેલા લક્ષણોમાં સ્થિતિ બગડતી હોય તેવું લાગે તો તુરંત જાણ કરવી.

રાજ્ય/જિલ્લા આરોગ્ય અધિકારીઓની ભૂમિકા

i. રાજ્ય/ જિલ્લાએ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા તમામ કેસો પર દેખરેખ રાખવી જોઇએ.

ii. હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા દર્દીઓના આરોગ્યની સ્થિતિ પર ફિલ્ડ સ્ટાફ/ સર્વેલન્સ ટીમે વ્યક્તિગત મુલાકાત દ્વારા તેમજ દર્દીના ફોલોઅપ માટે સમર્પિત કૉલ સેન્ટર દ્વારા દૈનિક ધોરણે દેખરેખ રાખવી જોઇએ.

iii. દરેક દર્દીની તબીબી સ્થિતિની નોંધ ફિલ્ડ સ્ટાફ/કૉલ સેન્ટર (શરીરનું તાપમાન, હૃદયના ધબકારાનો દર અને ઓક્સિજન તૃપ્તતા) દ્વારા રાખવી જોઇએ. ફિલ્ડ સ્ટાફ દર્દીને આ માપદંડો માપવા વિશે માર્ગદર્શન આપશે અને જરૂરી સૂચનાઓ આપશે (દર્દીઓ માટે અને કૅર-ગીવર્સ માટે). જેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હોય તેવા દર્દીઓની દૈનિક દેખરેખ માટે આ વ્યવસ્થાતંત્રનું દરેકે ચુસ્ત પાલન કરવાનું રહેશે.

 iv. હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા દર્દીઓની વિગતો કોવિડ-19 પોર્ટલ પર અને સુવિધા એપ્લિકેશન (વપરાશકર્તા તરીકે DSO સાથે) પર પણ અપડેટ કરવી જોઇએ. વરિષ્ઠ રાજ્ય અને જિલ્લા અધિકારીઓએ આ રેકોર્ડ્સની અપડેટ સ્થિતિ પર દેખરેખ રાખવી જોઇએ.

 v. જો ઉલ્લંઘન થાય અથવા સારવારની જરૂર પડે તો તેવી સ્થિતિમાં દર્દીના સ્થળાંતરનું વ્યવસ્થાતંત્ર પણ સ્થાપિત હોવું જોઇએ અને તે અમલમાં હોવું જોઇએ. આના માટે પૂરતા પ્રમાણમાં સમર્પિત એમ્બ્યુલન્સની ગોઠવણ કરેલી હોવી જોઇએ. આ બાબતે સમુદાયો સુધી વ્યાપક પ્રચાર પણ કરવામાં આવશે.

 vi. પરિવારના તમામ સભ્યો અને નજીકના સંપર્કો પર દેખરેખ રાખવી જોઇએ અને પ્રોટોકોલ અનુસાર ફિલ્ડ સ્ટાફે તેમનું પરીક્ષણ કરવું જોઇએ.

vii. હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા દર્દીઓને ઉપર સુચવ્યા અનુસાર સારવારમાંથી રજા આપવામાં આવશે. આ રજા માટે માર્ગદર્શિકાઓનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news