નવા વર્ષમાં ભાજપના અનેક ચહેરાઓ ખોવાઈ જશે, આ નેતાઓનું ભવિષ્ય લટક્યું

ભાજપ માટે કંઈ પણ નવું નથી, એ સંગઠનની તાકાતથી ચૂંટણી લડતી હોવાથી હવે નેતાઓનું કદ ઘટતું જાય છે. નવા વર્ષમાં ભાજપ ઘણા મોટા ફેરફારો કરી શકે છે. ભાજપે ગત વર્ષ 2023માં ઘણા સંકેત આપ્યા હતા જેના આધારે 2024માં તેના લક્ષ્યાંકનો અંદાજ લગાવી શકાય છે. લોકસભાની ચૂંટણી હોય કે રાજકીય પ્રચાર, પક્ષને લઈને અનુમાન અને અટકળોનો સમયગાળો હોય છે.

નવા વર્ષમાં ભાજપના અનેક ચહેરાઓ ખોવાઈ જશે, આ નેતાઓનું ભવિષ્ય લટક્યું

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. ભાજપ એક એવી પાર્ટી છે. જેનો તાગ મેળવવો જ મુશ્કેલ છે. જેઓ ભાજપમાં વર્ષોથી મહેનત કરી રહ્યાં છે. તેમના હાથમાંથી પદ જઈ રહ્યાં છે અને નવા નિશાળીયાઓને લોટરી લાગી રહી છે. જૂના જોગીઓ તો રીતસર સાઈડલાઈન થઈ રહ્યાં છે. વર્ષ 2023 પસાર થઈ ગયું છે. ગત વર્ષ કોના માટે કેવું રહ્યું તે અંગે આંકલન કરવામાં આવી રહ્યું છે ત્યારે નવા વર્ષમાં કોના માટે આગળ શું સંભાવનાઓ અને પડકારો છે તેનો અંદાજ કાઢવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. દેશની રાજનીતિમાં વર્ચસ્વ ધરાવતી ભારતીય જનતા પાર્ટી (BJP)ના દૃષ્ટિકોણથી 2023નું વર્ષ ચઢાવ-ઉતાર કરતાં વધુ રહ્યું છે. પાર્ટી હવે 2024માં અનેક મોરચે નવો ઈતિહાસ રચવાની તૈયારી કરી રહી છે. આ માટે તેણે કેટલાક ફેરફારો લાવવા પડશે અને ઘણી જગ્યાએ સાતત્ય જાળવવું પડશે. જેને પગલે સરકાર અને સંગઠનમાં મોટા ફેરફાર આવશે. જેમાં અનેક નેતાઓ ગુમનામીમાં જતા રહેશે. 

સાંસદોને ધારાસભ્ય બનાવી દીધા
તાજેતરમાં, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ ચૂંટાયા છે અને તેમના નામ સૂચવે છે કે આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટીનો 'નવો અવતાર' જોવા મળશે. પાર્ટીના નેતાઓ કહે છે કે, 'લોકસભાની ટિકિટ કોને મળે છે  અને કોઈ મુખ્યમંત્રીને ચૂંટણી લડવાનું કહેવામાં આવે છે કે કેમ તે પણ હવે જોવાનું રહેશે. ઘણા સાંસદો તેમની ટિકિટ ગુમાવી શકે છે, કેટલાક પ્રધાનોને પણ દૂર કરવામાં આવી શકે છે અને નવી ભૂમિકામાં ફિટ કરવાનો પડકાર ચૂંટણી લડતા મુખ્ય પ્રધાનો પર લટકી શકે છે. તેમનો ઉદ્દેશ્ય કેન્દ્રમાં સતત ત્રીજી વખત સત્તા સંભાળીને નેહરુની કોંગ્રેસ પાર્ટીના રેકોર્ડની બરાબરી કરવાનો છે. ભાજપ કોઈ પણ ફેરફાર કરી શકે છે. ભાજપના સાંસદોને ધારાસભ્યો બનાવતાં એક મીનિટનો પણ ખચકાટ અનુભવ્યો નથી. દરેકને માથે કામનું પ્રેશર છે. 

રાષ્ટ્રીય અધ્યક્ષ બદલાશે કે નહીં?
તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત બાદ ભાજપને સતત ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવવાનો વિશ્વાસ છે. પાર્ટીના એક સૂત્રના જણાવ્યા અનુસાર જો ભાજપ જીતશે તો નવા કેબિનેટ પર વિચાર કરવો પડશે. કેટલાક જૂના ચહેરાઓને હટાવીને નવા લોકોને મંત્રાલય આપવામાં આવી શકે છે. કેટલાક નેતાઓનું માનવું છે કે પાર્ટી સંગઠનમાં પણ ફેરફાર થઈ શકે છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે સંગઠનના અનુભવી નેતાઓ ધર્મેન્દ્ર પ્રધાન અથવા ભૂપેન્દ્ર યાદવ નડ્ડાનું સ્થાન લઈ શકે છે. જોકે, એક નેતાએ કહ્યું હતું કે, નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. એમપી અને રાજસ્થાનના મુખ્યમંત્રીની ચૂંટણી જુઓ. જે નામોની ચર્ચા થઈ રહી હતી તેમાંથી કોઈની પસંદગી કરવામાં આવી નથી. આજના ભાજપમાં કોઈ અણધાર્યું નામ નકારી શકાય તેમ નથી.

2024માં ભાજપના ચહેરાઓમાં કેવા પ્રકારનું પરિવર્તન જોવા મળશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી આપી શકતું નથી, પરંતુ નેતૃત્વમાં મોટા પાયે પરિવર્તનની અપેક્ષા છે. જે રીતે 2019માં કેટલાક ચહેરા ગુમનામીમાં ગયા અને નવા ચહેરાઓ સામે આવ્યા, કદાચ 2024માં તેનાથી પણ મોટો ફેરફાર જોવા મળશે.

લોકસભા બાદ આ રાજ્યોનું નક્કી થશે ભવિષ્ય
લોકસભા ચૂંટણી બાદ ભાજપે ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી કરવી પડશે. મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં 2024માં ચૂંટણી યોજાવાની છે. આ સિવાય સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર જમ્મુ-કાશ્મીરમાં સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી યોજાવાની છે. પાર્ટીના આંતરિક સૂત્રોનું કહેવું છે કે વિધાનસભા રાજ્યોમાં પણ કેટલાક આશ્ચર્યજનક નિર્ણયો લેવામાં આવી શકે છે. હરિયાણામાં મનોહર લાલ ખટ્ટરનું ભવિષ્ય તેના પર નિર્ભર રહેશે કે પાર્ટી સામૂહિક નેતૃત્વનો માર્ગ અપનાવે છે કે નહીં. ખેડૂતોના આંદોલન પછી હરિયાણા જીતવું આસાન નહીં હોય. જાટોએ મોટા પાયે આંદોલન કર્યું હતું અને કોંગ્રેસ પાસે જાટ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા છે.

ફડણવીસને લાગશે ગ્રહણ
મહારાષ્ટ્રમાં એનડીએનો વિસ્તાર થયો હોવાથી અને સત્તા માટે વધુ દાવેદારો હોવાથી દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું. ભાજપના એક નેતાએ કહ્યું કે નેતૃત્વના દાવાઓ વધી રહ્યા છે અને પાર્ટી સંતુલન જાળવવાનો પ્રયાસ કરી શકે છે, જે ફડણવીસની તરફેણમાં હોઈ શકે નહીં. બ્રાહ્મણ હોવાના કારણે ફડણવીસ લઘુમતી જાતિમાંથી આવે છે અને રાજસ્થાનમાં ભજનલાલ શર્માના રૂપમાં એક બ્રાહ્મણને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

ઝારખંડમાં એન્ટિઈન્કમ્બસીનો ભાજપ ઉઠાવશે ફાયદો
ભાજપ ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેન વિરુદ્ધ સત્તા વિરોધી લહેરનો ફાયદો ઉઠાવવાની આશા રાખી રહી છે. ભાજપના ઝારખંડ રાજ્યના પ્રમુખ બાબુલાલ મરાંડીનો ગ્રાફ તાજેતરના મહિનાઓમાં ઊંચો જતો હોય તેવું લાગતું હતું, પરંતુ છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે વિષ્ણુ દેવ સાંઈ નામના આદિવાસીની નિમણૂક બાદ આદિવાસી સીએમ ક્વોટા પર વિચારણા થઈ શકે છે. ભાજપના સૂત્રોને શંકા છે કે જો પક્ષ ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) ને હરાવે છે, તો બાબુલાલ મરાંડી ઝારખંડના મુખ્ય પ્રધાન બનશે, તેની ખાતરી હાલ તો આપી શકાતી નથી. કારણ કે ભાજપમાં કંઈ પણ શક્ય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news