Mann Ki Baat: 'વોકલ ફોર લોકલ' ને પ્રોત્સાહન આપવાનું છે- PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું.

Mann Ki Baat: 'વોકલ ફોર લોકલ' ને પ્રોત્સાહન આપવાનું છે- PM મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. આ કાર્યક્રમનો આ 81મો એપિસોડ હતો. મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દુરદર્શનના તમામ નેટવર્ક પર થાય છે. પીએમ મોદીએ કહ્યું કે એક દિવસ એવો પણ છે જે આપણે બધાએ યાદ રાખવો જોઈએ. તે ભારતની પરંપરાઓ સાથે ખુબ સુસંગત છે. સદીઓથી જે પરંપરાઓ સાથે આપણે જોડાયેલા છીએ, આ દિવસ તેની સાથે જોડાનારો છે. આ દિવસ છે વિશ્વ નદી દિવસ (World River Day). 

પીએમ મોદીએ કહ્યું કે આપણા ત્યાં કહેવામાં આવ્યું છે કે 'पिबन्ति नद्यः, स्वय-मेव नाम्भः'. એટલે કે નદીઓ પોતાનું જળ પોતે નથી પીતી. પરંતુ પરોપકાર માટે આપે છે. આપણા માટે નદીઓ એક ભૌતિક વસ્તુ નથી, આપણા માટે નદી એક જીવંત અસ્તિત્વ ધરાવે છે અને એટલે જ આપણે નદીઓને પણ માતા કહીએ છીએ. 

તેમણે કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે મહા મહિનો આવે છે ત્યારે આપણા દેશમાં અનેક લોકો આખો એક મહિનો માતા ગંગા કે કોઈ પણ નદીના કિનારે કલ્પવાસ કરે છે. નદીઓનું સ્મરણ કરવાની આ પરંપરા આજે ભલે લુપ્ત થઈ ગઈ હોય કે પછી ક્યાંક અલ્પમાત્રામાં બચી હોય પરંતુ એક મોટી પરંપરા હતી જે સવારે સ્નાન કરતી વખતે જ વિશાળ ભારતની એક યાત્રા કરાવતી હતી, માનસિક યાત્રા. 

ગુજરાતને કર્યું યાદ
પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતમાં વરસાદની શરૂઆતથાય ત્યારે જળ જીલની એકાદશી ઉજવે છે. તેનો અર્થ એ છે કે આજના યુગમાં આપણે જેને કહીએ છીએ ‘Catch the Rain’ એ વાત હોય છે. એટલે કે જળના એક એક બિન્દુને પોતાનામાં સમેટી લેવું, જળ જીલની. તે જ પ્રકારે વરસાદ બાદ બિહાર અને પૂર્વના ભાગોમાં છઠનું મહાપર્વ ઉજવવામાં આવે છે. મને આશા છે કે છઠ પૂજાને જોતા નદીઓના કિનારા, ઘાટોની સફાઈ અને મરમ્મતની તૈયારીઓ શરૂ કરી દેવાઈ હશે. 

પીએમ મોદીએ કહ્યું કે આપણે નદીઓની સફાઈ અને તેમને પ્રદૂષણ મુક્તકરવાનું કામ બધાના પ્રયાસ અને બધાના સહયોગથી જ કરી શકીએ છીએ. નમામિ ગંગે મિશન પણ આજે આગળ વધી રહ્યું છે તો તેમા બધા લોકોના પ્રયત્નો, એક પ્રકારથી જન જાગૃતિ, જન આંદોલન,તેની ખુબ મોટી ભૂમિકા છે. 

તેમણે કહ્યું કે આજકાલ એક વિશેષ ઈ-ઓક્શન, એટલેકે ઈ-હરાજી ચાલે છે. આ ઈલેક્ટ્રોનિક હરાજી એવી ભેટની થઈ રહી છે જે મને સમયાંતરે લોકોએ આપ્યા છે. આ હરાજીથી જે પૈસા આવશે તે નમામિ ગંગે અભિયાન માટે જ સમર્પિત કરવામાં આવે છે. તમે જે આત્મીય ભાવનાથી મને ભેટ આપો છો તે જ ભાવનાને આ અભિયાન વધુ મજબૂત કરે છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુંકે તામિલનાડુના વેલ્લોર અને તિરુવન્નામલાઈ જિલ્લાનું એક ઉદાહરણ આપવા માંગુ છું. અહીં એક નદી વહે છે નાગાનધી. હવે આ નાગાનધી વર્ષો પહેલા સૂકાઈ ગઈ હતી. આ જ કારણએ ત્યાંનું જળસ્તર પણ ખુબ નીચું ગયું હતું. પરંતુ ત્યાની મહિલાઓએ બીડું ઉઠાવ્યું કેતેઓ પોતાની નદીને ફરી જીવિત કરશે. બસ પછી તો તેમણે લોકોને જોડ્યા, જનભાગીદારીથી નહેરો ખોદી, ચેકડેમ બનાવ્યા, રીચાર્જ કૂવા બનાવ્યા. તમને એ જાણીને આનંદ થશે કે આજે આ નદી પાણીથી ભરાઈ ગઈ છે અને જ્યારે નદી પાણીથી ભરાઈ જાય છે ત્યારે મનને કેટલી શાંતિ મળે છે તેનો મે પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. 

પીએમ મોદીએ કહ્યું કે તમારામાંથી અનેક લોકો જાણતા હશે કે જે સાબરમતીતટ પર મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમ બનાવ્યો હતો, તે નદી છેલ્લા કેટલાક દાયકામાં સૂકાઈ ગઈ હતી. વર્ષમાં 6-8 મહિના પાણી જોવા મળતું નહતું. પરંતુ નર્મદા નદી અને સાબરમતી નદીને જોડી દેવાઈ તો આજે તમે અમદાવાદ જશો તો સાબરમતી નદીનું પાણી મનને પ્રફુલ્લિત કરે છે. 

તેમણે કહ્યું કે મારા વ્હાલા દેશવાસીઓ ક્યારેય નાની વાતને નાની ચીજને નાની જાણવાની ભૂલ કરવી નહીં. જો મહાત્મા ગાંધીના જીવન તરફ આપણે જોઈશું તો દરેક પળ મહેસૂસ કરીશું કે નાની નાની વાતોની તેમના જીવનમાં કેટલું મહત્વ હતું અને નાની નાની વાતોને લઈને કરેલા મોટા મોટા સંકલ્પોને તેમણે કેવી રીતે સાકાર કર્યા હતા. નાના નાના પ્રયત્નોથી પણ ક્યારેક મોટા મોટા પરિવર્તન આવે છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે આઝાદીના 75માં વર્ષમાં આપણે જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છેએ ત્યારે આપણે સંતોષથી કહી શકીએ છીએ કે આઝાદીના આંદોલનમાં જે ગૌરવ ખાદીને હતું આજે આપણી યુવા પેઢી ખાદીને તે ગૌરવ આપી રહી છે. આજે ખાદી અને હેન્ડલૂમનું ઉત્પાદન અનેકગણું વધ્યું છે અને તેની માંગણી પણ વધી છે. તમે પણ જાણો છો કે એવું અનેકવાર બન્યું છે કે જ્યારે દિલ્હીના ખાદી શોરૂમમાં એક દિવસમાં એક કરોડથી વધુનો વેપાર થયો છે. 

પીએમ મોદીએ કહ્યું કે હું ફરીથી યાદ કરાવવા માંગીશ કે 2 ઓક્ટોબરના રોજ પૂજ્ય બાપુની જન્મ જયંતી પર આપણે બધા ફરીથી એકવાર એક નવો રેકોર્ડ બનાવીએ. દિવાળીનો તહેવાર સામે છે. તહેવારોની મોસમ માટે ખાદી, હેન્ડલૂમ, કુટીર ઉદ્યોગ સંલગ્ન તમારી દરેક ખરીદી‘Vocal For Local’ ના આ અભિયાનને વધુ મજબૂત કરનારી હોય. જૂના તમામ રેકોર્ડ તોડનારી હોય. 

ગુજરાતના આણંદનો આ રીતે કર્યો ઉલ્લેખ
તેમણે કહ્યું કે Medicinal Plant ના ક્ષેત્રમાં સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે Medi-Hub TBI ના નામથી એક Incubator ગુજરાતના આણંદમાં કામ કરે છે. Medicinal અને Aromatic Plants સંલગ્ન આ Incubator ખુબ ઓછા સમયમાં જ 15 Entrepreneurs ના  બિઝનેસ આઈડિયાને સપોર્ટ કરી ચૂક્યું છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે આવનારી 2 ઓક્ટોબરના રોજ લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતી હોય છે. તેમની સ્મૃતિમાં આ દિવસ આપણને ખેતીમાં નવા નવા પ્રયોગ કરવાની શીખ આપે છે. પીએમ મોદીએ કહ્યું કે 25 સપ્ટેમ્બરે દેશના મહાન સંતાન પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પણ જન્મજયંતી હોય છે. દીનદયાળજી ગત સદીના સૌથી મોટા વિચારકોમાંથી એક છે. તેમનું અર્થ દર્શન,સમાજને સશક્ત કરવા માટે તેમની નીતિઓ, તેમણે દેખાડેલો અંત્યોદયનો માર્ગ, આજે પણ જેટલું પ્રાસંગિક છે એટલું જ પ્રેરણાદાયક પણ છે. 

તેમણે એમ પણ કહ્યું કે વેક્સીનેશનમાં દેશે અનેક એવા રેકોર્ડ બનાવ્યા કે જેની ચર્ચા સમગ્ર દુનિયામાં થઈ રહી છે. આ લડાઈમાં દરેક ભારતવાસીની મહત્વની ભૂમિકા છે. આપણે આપણો વારો આવેત્યારે રસી તો લેવાની જ છે પણ સાથે સાથે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે કોઈ આ સુરક્ષાચક્રથી છૂટી ન જાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news