CAGનો દાવો: અહીં છૂપાયેલો છે કાળા નાણાનો મસમોટો ભંડાર, 95% કંપનીઓ પાસે નથી PAN

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણયની સૌથી મોટી વધુ અસર રિયલ એસ્ટેટ પર પડી.

CAGનો દાવો: અહીં છૂપાયેલો છે કાળા નાણાનો મસમોટો ભંડાર, 95% કંપનીઓ પાસે નથી PAN

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણયની સૌથી મોટી વધુ અસર રિયલ એસ્ટેટ પર પડી. સતત વધતા ભાવોમાં સુધારો થવા લાગ્યો જે હજુ પણ ચાલુ જ છે. રિયલ એસ્ટેટના ભાવો આટલા આસમાને જઈ રહ્યાં હતાં તેનું સૌથી મોટુ કારણ બ્લેક મની ગણવામાં આવ્યું. રિયલ એસ્ટેટમાં બ્લેક મનીનો બહોળા પાયે ઉપયોગ થતો આવ્યો છે. આથી તેના ભાવ ખુબ ઊંચે જઈ રહ્યાં હતાં. મોદી સરકાર ત્યારબાદ RERA (રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ ) કાયદો લાવી. આમ છતાં CAGના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. કેગના રિપોર્ટ મુજબ 95 ટકા રિયલ એસ્ટેટ  કંપનીઓ જે RoC (રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ)માં રજિસ્ટર્ડ છે, તેમની પાસે પાન કાર્ડ સુદ્ધા નથી, કાં તો તેની જાણકારી RoC પાસે નથી. કેગે આ રિપોર્ટ સંસદને સોંપ્યો છે. 

આરઓસી પાસે તે સમયની જાણકારી હોય છે જ્યારે કંપનીઓને બનાવતી વખતે રજિસ્ટર્ડ  કરવામાં આવે છે. કંપનીઓને આરઓસી પાસે વાર્ષિક રિટર્ન જમા કરાવવાનું હોય છે. કંપનીઝ(Management and administration) નિયમ 2014 હેઠળ ફાર્મ એમજીટી-7માં કંપનીએ પોતાનો વાર્ષિક રિપોર્ટ દાખલ કરવાનો હોય છે. જેમાં પાન નંબર આપવો જરૂરી છે. કેગે કહ્યું કે તેને ફક્ત 12 રાજ્યોના આરઓસી પાસેથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વ્યાપાર કરી રહેલી  કંપનીઓની વિગતો મળી છે. 

કેગના રિપોર્ટમાં કહેવાયું છે કે કુલ 54,578 રિયલ એસ્ટેટ કંપનીઓના આંકડા ઓડિટ માટે ઉપલબ્ધ કરાવાયા છે. આરઓસી પાસે તેમાંથી 51,670 (95 ટકા) કંપનીઓના પેનની સૂચના નથી. રિપોર્ટમાં મહેસૂલ વિભાગ દ્વારા 2013-14થી 2016-17ના નાણાકીય વર્ષો દરમિયાન રિયલ એસ્ટેટ ક્ષેત્રના એસ્ટીમેટર્સનું એસ્ટીમેટ સંબંધી પ્રદર્શન ઓડિટના પરિણામોમાં ઉલ્લેખનીય રીતે સામેલ કરવામાં આવ્યું છે. ઓડિટરે કહ્યું કે આરઓસી પાસેથી મળેલી સૂચનાના આધારે એ ઓડિટ કરવું ખુબ અઘરું છે કે કંપનીઓ આવકવેરા વિભાગના દાયરામાં છે કે નહીં. ફક્ત આંધ્ર પ્રદેશ અને તેલંગણાના મામલે આ પ્રકારની સૂચના ઉપલબ્ધ છે. આ બંને રાજ્યોમાં ઓડિટ દરમિયાન 147 કંપનીઓના પાન નંબર ઉપલબ્ધ હતાં. 

રિપોર્ટમાં કહેવાયું છે કે ઓડિટ દ્વારા એ માલુમ કરવાનો પ્રયત્ન કરાયો કે આરઓસીના આંકડામાં સામેલ કંપનીઓ જેના પાન છે તે નિયમિતપણે આવકવેરા રિટર્ન ફાઈલ કરે છે કે નહીં. રિપોર્ટ મુજબ 840 કંપનીઓ કે જેમની પાસે પાન નંબર હતાં અને જે 'સિલેક્ટ એસેસમેન્ટ' હેઠળ આવે છે તેમાંથી 159 એટલે કે 19 ટકા કંપનીઓ આવકવેરા રિટર્ન ભરી શકી નહતી. કેગે પોતાના રિપોર્ટમાં તારણ કાઢ્યું છે કે આવકવેરા વિભાગ પાસે એવી કોઈ વ્યવસ્થા નવથી કે જેનાથી એ સુનિશ્ચિત થઈ શકે કે તમામ રજિસ્ટર્ડ કંપનીઓ કે જેમની પાસે પાન નંબર છે તેઓ નિયમિત રીતે આવકવેરા રિટર્ન ફાઈલ કરે. 

(ઈનપુટ-ભાષામાંથી પણ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news