Navratri 2023: આજથી નવરાત્રિનો પ્રારંભ; જાણો પ્રથમ નોરતે કેમ થાય છે માતા શૈલપુત્રીની પૂજા

Navratri 2023: આજથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. નવરાત્રિના નવ દિવસોમાં ભક્તો ભાવપૂર્વક નવદુર્ગાની પૂજા અર્ચના કરે તો માતાજી તેમને મનોવાંછિત ફળ આપે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે. પ્રથમ દિવસ પર્વતપુત્રીને સમર્પિત છે.

Navratri 2023: આજથી નવરાત્રિનો પ્રારંભ; જાણો પ્રથમ નોરતે કેમ થાય છે માતા શૈલપુત્રીની પૂજા

Navratri 2023:આજથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. નવરાત્રિના નવ દિવસોમાં ભક્તો ભાવપૂર્વક નવદુર્ગાની પૂજા અર્ચના કરે તો માતાજી તેમને મનોવાંછિત ફળ આપે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે. પ્રથમ દિવસ પર્વતપુત્રીને સમર્પિત છે. પહેલા દિવસે ઘટ સ્થાપનથી પૂજાની શરૂઆત થાય છે. પૌરાણિક માન્યતાઓ મુજબ નવરાત્રિના પર્વમાં દેવીમાતાની આરાધના કરવાથી તે પ્રસન્ન થઈને તેના ભક્તોના તમામ કષ્ટોનું નિવારણ કરે છે અને તેમને સુખ, સમૃદ્ધિ, આપે છે. માતા દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રી તરીકે ઓળખાય છે. દેવી દુર્ગાના નવ સ્વરૂપમાં, શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંધમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી છે. નવરાત્રનો અર્થ નવ રાત થાય છે. આ નવ રાતોમાં ત્રણ દેવી પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીના નવ સ્વરૂપોની પૂજા થાય છે જેને નવદુર્ગા  કહે છે. 

પ્રથમ દિવસ શૈલપુત્રીની પૂજા અર્ચના-
નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે જે નવદુર્ગાની પ્રથમ દુર્ગા છે. પર્વત રાજ હિમાલયના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લેવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું છે. નવરાત્રિના પહેલા દિવસે શૈલપુત્રીની પૂજા અને ઉપાસના થાય છે. આ દિવસે ઉપાસનામાં યોગી પોતાના મનને ચક્રમાં સ્થિત કરે છે અને અહીંથી તેમની યોગી સાધનાનો પ્રારંભ થાય છે. વૃષભસવાર શૈલપુત્રી માતાના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળ સુશોભિત છે. 

પર્વતની પુત્રી કહેવાય છે શૈલપુત્રી દેવી-
શૈલપુત્રી એ માતા પાર્વતીનો જ અવતાર છે. દક્ષના યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન થયા બાદ સતી યોગાગ્નિમાં ભસ્મ થઈ ગયા હતાં. ત્યારબાદ તેમણે હિમાલયના ઘરે પાર્વતી સ્વરૂપે જન્મ લીધો. પર્વત પુત્રી હોવાના કારણે તેમને શૈલપુત્રી કહે છે. માતા શૈલપુત્રીની આરાધનાથી મનોવાંછિત ફળ મળે છે અને કન્યાને સારા વરની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ સાધકને મૂળાધાર ચક્ર જાગ્રુત થવાથી પ્રાપ્ત થતિ સિદ્ધિઓ પણ મળે છે. માતા શૈલપુત્રી પર્વતરાજ હિમાલયના પુત્રી છે, આથી તેમને પાર્વતી કે હેમવતી નામથી પણ ઓળખે છે. 

માતા શૈલપુત્રીને સમસ્ત વન્ય જીવ જંતુઓના રક્ષક માનવામાં આવે છે. તેમની આરાધનાથી મુસિબતોમાંથી મુક્તિ મળે છે. આથી દુર્ગમ સ્થાનો પર વસતા પહેલા માતા શૈલપુત્રીની સ્થાપના કરવામાં આવે છે. કહેવાય છે કે તેમની સ્થાપનાથી તે સ્થાન  સુરક્ષિત થઈ જાય છે. માતાની પ્રતિમા સ્થાપિત થયા બાદ તે સ્થાન પર આફતો, રોગ, વ્યાધિ, રોગનો ખતરો રહેતો નથી અને જીવ નિશ્ચિત થઈને પોતાનું જીવન પસાર કરી શકે છે. 

નવરાત્રિમાં દુર્ગામાતાને માતૃશક્તિ, કરુણાની દેવી માનીને  પૂજે છે. આથી તેમની પૂજામાં તમામ તીર્થો, નદીઓ, સમુદ્રો, નવગ્રહો, દિશાઓ, નગર દેવતા, ગ્રામ દેવતા સહિત તમામ યોગીનીઓને પણ આમંત્રિત કરાય છે અને કલશમાં તેમને વિરાજવા હેતુ પ્રાર્થના અને તેમનું આહ્વાન કરવામાં આવે છે. પ્રથમ પૂજનના દિવસે શૈલપુત્રી સ્વરૂપે ભગવતી દુર્ગા દુર્ગતિનાશિનીની પૂજા ફૂલ, અક્ષત, કંકુ, ચંદનથી થાય છે. તેમની આરાધના કરતા પહેલા ચોકી પર માતા શૈલપુત્રીની તસવીર કે પ્રતિમા સ્થાપિત કરો. ત્યારબાદ તેના પર એક કળશ સ્થાપિત કરો. કળશ પર નારિયેળ અને પાન પત્તા પર રાખીને એક સ્વસ્તિક બનાવો. ત્યારબાદ કળશ પાસે અખંડ જ્યોતિ પ્રગટાવીને 'ऊँ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे ओम् शैलपुत्री देव्यै नम:' નો મંત્ર જાપ કરો. ત્યારબાદ માતાને સફેદ ફૂલની માળા અર્પિત કરતા માતાને સફેદ રંગનો ભોગ જેમ કે ખીર કે મીઠાઈ ધરાવો. ત્યારબાદ માતાની કથા સાંભળીને તેમની આરતી કરો. સાંજે માતા સમક્ષ કપૂર પ્રગટાવીને હવન કરો. 

આ મંત્રોથી કરો શૈલપુત્રીની પૂજા અને જાપ-

1. ऊँ शं शैलपुत्री देव्यै: नम:
2. वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्। वृषारुढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥
3. वन्दे वांछित लाभाय चन्द्राद्र्वकृतशेखराम्। वृषारूढ़ा शूलधरां यशस्विनीम्॥
4. या देवी सर्वभूतेषु माँ शैलपुत्री रूपेण संस्थिता। नमस्तस्यै

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news