સાળંગપુર વિવાદ વચ્ચે મોટો નિર્ણય : સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો કર્યો બહિષ્કાર

salangpur mural controversy : અમદાવાદ ખાતેના સંત સંમેલનમાં સાધુ-સંતોનો મોટો નિર્ણય... સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો કર્યો બહિષ્કાર... સ્વામિનારાયણના કાર્યક્રમોમાં ન જવાના લીધા શપથ
 

સાળંગપુર વિવાદ વચ્ચે મોટો નિર્ણય : સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો કર્યો બહિષ્કાર

boycott swaminarayan religion : સાળંગપુર હનુમાનજી મંદિરમાં વિવાદ બાદ સાળંગપુર મંદિરના તમામ ગેટ બંધ કરાયા છે. જેને કારણે આજે રવિવારે દર્શન કરવા આવતા ભક્તો હેરાન થઈ રહ્યાં છે. હનુમાનજીના દર્શન ન થતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવામળી રહ્યો છે. ત્યારે બીજી તરફ, અમદાવાદ ખાતેના સંત સંમેલનમાં સાધુ-સંતોનો મોટો નિર્ણય લીધો છે. સાધુ-સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કર્યો છે. તમામ સંતોએ મળીને સ્વામીનારાયણના કાર્યક્રમોમાં ન જવાના શપથ લીધા. આજથી એકપણ સ્વામીનારાયણ મંદિરે ન જવાનો નિર્ણય કરાયો. તમામ સાધુ-સંતોએ એકસાથે પ્રતિજ્ઞા લઈ બહિષ્કાર કરાયો છે. 

વડોદરાના જ્યોતિન્દ્રનાથ મહારાજે કહ્યું કે, અમે શાંતિ જ ઈચ્છીએ છીએ. આજથી કોઈ પણ સાધુ સંતો એ સ્વામિનારાયણ મંદિરે નહીં જવાનું. તેમના સ્ટેજ ઉપર એક પણ સનાતન સાધુએ નહી જવાનું. આજથી અમે કોઈ પણ દિવસ તેમના ધર્મસ્થળોએ ગમે તેટલા પ્રલોભન આપે તો પણ નહી જઈએ. આજથી સ્વામિનારાયણ ધર્મનો બહિષ્કાર કરીયે છીએ. નવી પેઢી ધર્મને બદનામ કરી રહી છે, હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં ખબર નથી હોતી કે આ વસ્તુઓ સનાતન ઉપર કલંક લગાડી રહ્યા છે. બે પાંચ મહિલા થાય, બ્રહ્માજીને, માતાજીને લઇ વિવાદ ઉભા કરવાની આ લોકોને કુટેવ પડી ગઈ છે. દરેક તાલુકા લેવલે સનાતનને જાગ્રત થવાની જરૂર છે. 

સાળંગપુર વિવાદમાં લેખિત બાંહેધરીની સંતોએ માંગ કરી છે. અમદાવાદમાં મળેલા સંત સંમેલનમાં ઋષિભારતી બાપુએ માંગ કરતા કહ્યું, લેખિત બાંહેધરી જ વિવાદને શાંત કરવાનો ઉપાય છે. 
 
ઉલ્લેખનીય છે કે, સાળંગપુર વિવાદ મામલે આજે અમદાવાદમા સાધુ-સંતોનું સંમેલન યોજાયું છે. શિલ્પચિત્રોના વિવાદને કારણે સંતોએ આ સંમેલન બોલાવ્યું છે. સનાતન ધર્મના તમામ સંતો એક નેજા હેઠળ આજે મળ્યા છે. અમદાવાદના લંબે નારાયણ આશ્રમમાં આ સંમેલન યોજાયું. જેમાં સમગ્ર ગુજરાતના સંતો સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં છે.  

મુખ્યત્વે આ સાધુ સંતો વિવિધ સ્થળેથી આજે બેઠકમાં હાજર રહ્યાં
મહામંડલેશ્વર મા વિશ્વેશ્વરી ભારતીજી માતા, મહામંડલેશ્વર શ્રી કલ્યાણનંદ ભારતી બાપુ, મહામંડલેશ્વર ઋષિભારતી બાપુ સરખેજ, મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુ જુનાગઢ, મોહનદાસ બાપુ, દિલીપદાસ બાપુ, જ્યોતિનાથ બાપુ, દેવનાથ બાપુ કચ્છ, મહામંડલેશ્વર પ્રેમાનંદ બાપુ, રાજાશાસ્ત્રી બાપુ દાહોદ, હર્ષદ ભારતી બાપુ નાશિક

શું છે સમગ્ર વિવાદ?
સાળંગપુર હનુમાન મંદિરમાં શિલ્પચિત્રોને કારણે વિવાદ ઉઠ્યો છે. હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે હનુમાનજીને દાસ દર્શાવાયા છે. તો હનુમાનજી સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવા બતાવાયા છે. શિલ્પચિત્રોમાં હનુમાનજી સ્વામીનારાયણના ચરણોમાં બેસેલા બતાડાયા છે. વધુ એક શિલ્પચિત્રમાં હનુમાનજી સ્વામીનારાયણને ફળાહાર આપતા દેખાયા છે. વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર મંદિરમાં શિલ્પચિત્રોને કારણે આ વિવાદ થયો છે. સાળંગપુર શિલ્પચિત્રોના વિવાદ બાદ કુંડળ મંદિરમાં પણ વિવાદ થયો. નિલકંઠવર્ણીને હનુમાનજી ફળાકાર કરાવતા હોય તેવી મૂર્તિ સ્થાપિત કરાઈ. 

શિલ્પચિત્રોને કારણે હિન્દુ-સાધુ સંતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. સાધુ-સંતોના રોષમાં વિશ્વ હિન્દુ પરિષદે પણ સૂર પુરાવ્યો છે. સાધુ-સંતોએ પ્રતિમા નીચે રહેલા શિલ્પચિત્રો દૂર કરવા માંગ કરી છે. શિલ્પચિત્રો નહીં હટાવાય તો ઉગ્ર આંદોલનની સંતોએ ચીમકી આપી છે. જેમાં મોરારી બાપુ, હર્ષદ ભારતી બાપુ, મણિધર બાપુએ વિરોધ વ્યક્ત કર્યો છે. કથાકાર મોરારિબાપુએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું, 'આ હીન ધર્મ છે.' તો શંકરાચાર્યએ કહ્યું કે, કોઇપણ સંપ્રદાય અન્ય સંપ્રદાયની નિંદા કરી પોતાની ઉન્નતિ ન કરી શકે. આ વિરોધમાં સાંસદ રામ મોકરિયાએ કહ્યું કે, સ્વામીનારાયણ સંપ્રદાયે શિલ્પચિત્રો દૂર કરવા જોઈએ. ભાજપના સાંસદે કહ્યું, 'મંદિરના પૂજારીને પૂજારી તરીકે રહેવાય, ભગવાન નહીં'.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news