World Cupનું ફોર્મેટ પડકારજનક, કોઈપણ ટીમ સર્જી શકે છે અપસેટઃ કોહલી

ભારતીય ટીમ બુધવારે સવારે વિશ્વ કપમાં ભાગ લેવા માટે ઈંગ્લેન્ડ રવાના થવાની છે. આ પહેલા ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીએ વિશ્વકપમાં ભારતીય ટીમને લઈને મીડિયામાં સંબંધોન કર્યું હતું. 
 

World Cupનું ફોર્મેટ પડકારજનક, કોઈપણ ટીમ સર્જી શકે છે અપસેટઃ કોહલી

મુંબઈઃ  ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપનું ફોર્મેટ પડકારજનક છે અને નાની ટીમ પણ કોઈ મોટી ટીમને હરાવવાની ક્ષમતા રાખે છે. વિશ્વ કપ માટે ઈંગ્લેન્ડ રવાના થતાં પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન પત્રકાર પરિષદમાં કહ્યું, આ વખતે વિશ્વકપનું ફોર્મેટ પડકારજનક છે. મહત્વનું છે કે, વનડે વિશ્વકપની શરૂઆત ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી થશે. આ મહાકુંભ 14 જુલાઈ સુધી ચાલશે. 

આ દરમિયાન તેમણે કહ્યું, વિશ્વકપમાં પરિસ્થિતિથી વધુ દબાવથી છૂટકારો મેળવવાની જરૂર છે. અમારા માટે સારી વાત છે કે તમામ બોલર ફ્રેશ છે કોઈ થાકનો અનુભવ કરતા દેખાઈ રહ્યાં નથી. આઈપીએલમાં તૈયારી કરવાની સારી તક મળી છે. અમારા ખેલાડીઓએ આ ફોર્મેટથી 50 ઓવરના મુકાબલાની સારી તૈયારી કરી છે. આ સાથે કોહલીએ કહ્યું કે, વિશ્વકપમાં બોલરોની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. 

કોઈપણ ટીમ પર ફોકસ કરવાના સવાલના જવાબમાં તેમણે કહ્યું, જુઓ જો વિશ્વકપનું ટાઇટલ જીતવું છે તો અમારે અમારી ક્ષમતાઓ પ્રમાણે રમવું પડશે. કોઈ એક ટીમ પર ફોકસ ન કરી શકો. 

આ દરમિયાન કોચ રવિ શાસ્ત્રીએ વિશ્વકપમાં વધારાનો દબાવ હોવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું, જો તમે તમારી ક્ષમતાઓ પર રમો તો વિશ્વકપ પરત લાવી શકો છો. આ ખૂબ સ્પર્ધાત્મક ટૂર્નામેન્ટ છે અને બાંગ્લાદેશ અને અફગાનિસ્તાન 2015 કરતા વધુ મજબૂત છે. 

આ સાથે તેમણે કહ્યું કે, આ એક મુશ્કેલ ટૂર્નામેન્ટ છે, પરંતુ લીગ સ્ટેજમાં 9 મેચ રમવાથી ટીમને લય મેળવવાની તક મળશે. ગમે તે ટીમ ગમે ત્યારે કોઈપણ ટીમને હરાવવાની ક્ષમતા ધરાવે છે. શાસ્ત્રીએ કહ્યું કે, આ વિશ્વકપમાં કોઈ ટીમ નબળી નથી. આ સાથે રવિ શાસ્ત્રીએ કહ્યું કે, કેદાર જાધવ માટે મોટી તક છે. કોચ શાસ્ત્રીએ જણાવ્યું કે, અમારે ત્યાંની પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડવાનો છે. ધોનીની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, કોઈપણ ફોર્મેટમાં તેનાથી સારો વિકેટકીપર નથી. 

વિશ્વ કપ 30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થવાનો છે. ભારતીય ટીમ 5 જૂને સાઉથ આફ્રિકા સામે રમીને પોતાના વિશ્વ કપ અભિયાનનો પ્રારંભ કરશે. 

વિશ્વ કપ માટે ભારતીય ટીમઃ 
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા.

વિશ્વ કપ 2019માં ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ

1. ભારત vs સાઉથ આફ્રિકા, સાઉથેમ્પ્ટન - 5 જૂન

2. ભારત vs ઓસ્ટ્રેલિયા, ધ ઓવલ - 9 જૂન

3. ભારત vs ન્યૂઝીલેન્ડ, ટ્રેન્ટ બ્રિજ - 13 જૂન

4. ભારત vs પાકિસ્તાન, ઓલ્ડ ટ્રૈફોર્ડ - 16 જૂન

5. ભારત vs અફગાનિસ્તાન, સાઉથેમ્પ્ટન - 22 જૂન

6 ભારત vs વેસ્ટ ઈન્ડિઝ, ઓલ્ડ ટ્રૈફોર્ડ - 27 જૂન

7. ભારત vs ઈંગ્લેન્ડ, એઝબેસ્ટન - 30 જૂન

8. ભારત vs બાંગ્લાદેશ, એઝબેસ્ટન - 2 જુલાઈ

9. ભારત vs શ્રીલંકા, લીડ્સ - 6 જુલાઈ 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news