ડુંગળીના ભાવ ગગડ્યા, ખેડૂતોને રોવાનો વારો આવ્યો

ભાવનગર જિલ્લામાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, ડુંગળીની આવક શરૂ થતાં સમયે ખેડૂતોને ડુંગળીના પ્રતિમણના 500 થી 600 રૂપિયા મળી રહ્યા હતા, હાલમાં માર્કેટયાર્ડ ખાતે ડુંગળીની આવકમાં વધારો થતાં ભાવ ગગડીને તળિયે બેસી ગયા છે ખેડૂતોને હાલમાં ડુંગળીના ભાવ પ્રતિમણના 150 થી 400 સુધી મળી રહ્યા છે જે ભાવ તેના ઉત્પાદન ખર્ચ સામે ખૂબ ઓછા ભાવ મળતા હોવાથી ખેડૂતો સરકાર પાસે યોગ્ય ભાવ ની માંગ કરી રહ્યા છે.
ડુંગળીના ભાવ ગગડ્યા, ખેડૂતોને રોવાનો વારો આવ્યો

નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગર જિલ્લામાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, ડુંગળીની આવક શરૂ થતાં સમયે ખેડૂતોને ડુંગળીના પ્રતિમણના 500 થી 600 રૂપિયા મળી રહ્યા હતા, હાલમાં માર્કેટયાર્ડ ખાતે ડુંગળીની આવકમાં વધારો થતાં ભાવ ગગડીને તળિયે બેસી ગયા છે ખેડૂતોને હાલમાં ડુંગળીના ભાવ પ્રતિમણના 150 થી 400 સુધી મળી રહ્યા છે જે ભાવ તેના ઉત્પાદન ખર્ચ સામે ખૂબ ઓછા ભાવ મળતા હોવાથી ખેડૂતો સરકાર પાસે યોગ્ય ભાવ ની માંગ કરી રહ્યા છે.

રાજ્યમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગર જિલ્લામાં
ભાવનગર જિલ્લો ડુંગળીનું મોટું હબ ગણાય છે, સમગ્ર રાજ્યમાં થતી ડુંગળીનો 40 ટકાથી વધુ હિસ્સો એકલા ભાવનગર જિલ્લાનો હોય છે, જેમાં મહુવા અને તળાજા તાલુકાના ખેડૂતો સૌથી વધુ ડુંગળીનું વાવેતર કરતા હોય છે, ખેડૂતોને ડુંગળીના વાવેતરથી લણવા સુધીમાં અનેક ગણો ખર્ચ થાય છે, ડુંગળીનું બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, પિયત, જાળવણી, લણવા ની મજૂરી અને ખેતરેથી માર્કેટયાર્ડ સુધી લઈ જવા પાછળ ખૂબ ખર્ચ ભોગવવો પડે છે.

ચોમાસા દરમ્યાન ભારે વરસાદ થતાં પાકનો ઉતારો ઘટ્યો
ગત ચોમાસા અને ત્યાર બાદ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો મોટો ભાગનો ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે, ડુંગળીમાં પ્રતિ હેકટર 200 મણથી વધુનો ઉતારો મળતો હોય છે, જે કમોસમી વરસાદના કારણે ઘટીને 50 થી 60 મણ પ્રતિ હેક્ટર થઈ ગયો છે, ઉતારો ઓછો મળવાના કારણે ખેડૂતોની ડુંગળીની પડતર કિંમતમાં પણ વધારો થતો હોય છે, જેથી ડુંગળીના ભાવો ગગડી જતાં વાવેતર પાછળ થયેલા ખર્ચની પણ ભરપાઈ કરવી મુશ્કેલ બની છે.

ડુંગળીની આવક વધતા ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે
હાલ માર્કેટયાર્ડમાં નવી ડુંગળીની પુષ્કળ આવક શરૂ થઈ ગઈ છે, માર્કેટયાર્ડ ખાતે રોજની ૧૦ થી ૧૫ હજાર ગુણી ડુંગળી ઠલવાઈ રહી છે, આવકની શરૂઆત સમયે ખેડૂતોને ડુંગળીના ખૂબ સારા ભાવ પ્રતિમણ 500 થી 600 રૂપિયા મળતા હતા, પરંતુ આવક વધતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. હાલમાં ખેડૂતોને ડુંગળીના પ્રતિમણના 150 થી સારામાં સારી ડુંગળીના 400 રૂપિયા સુધીના ભાવ મળતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ડુંગળીના ભાવ જાળવવા સરકાર પાસે ખેડૂતોની માંગ
ડુંગળીની આવક વધવા સામે તેના ભાવ સતત ગગડી રહ્યા છે, ખેડૂતો ને ડુંગળીના ઓછા ભાવ પોષાય તેમ નથી, તેમજ હજુ તો ડુંગળીની આવક શરૂ જ થઈ છે અને આગળ જતાં જેમ જેમ આવક વધશે તેમ તેમ ભાવ પણ સતત નીચા જતા રહેશે જેથી ખેડૂતોએ સરકાર પાસે ડુંગળીના યોગ્ય ભાવ જળવાય રહે એવી માંગ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news